હૈદરાબાદ, જુનાગઢ, માણાવદર અને હવે પાક-અધિકૃત કાશ્મીર

ઘટના દર્પણ

- વિષ્ણુ પંડ્યા Wednesday 07th May 2025 07:40 EDT
 
 

સરહદ પરના યુદ્ધો એકલો ઇતિહાસ જ નહિ, ભૂગોળનો નક્શો પણ બદલે છે. સ્વતંત્રતા પછીનો આપણો અનુભવ એવો જ છે અને અનેકવારનો છે. પૂર્વેની પરિસ્થિતિ જોતાં મ્યાંમાર, નેપાળ, ભૂટાન, શ્રીલંકા ભારતીય પ્રદેશો હતા. સંસ્કૃતિ-યુગમાં તો બૃહદ ભારત એશિયામાં અનેક દેશો પર આધિપત્ય ધરાવતું હતું. દુનિયા બદલતી ગઈ. સામ્રાજ્યો બદલાયા, આક્રમણોએ તખ્ત બદલાવ્યા. બાબર કે ગઝની કે ખીલજી ભારતના તો નહોતા, આવ્યા, લૂંટફાટ કરી અને જમીન સોંપતા ગયા. મુઘલો સહિત એવા બાદશાહોએ ભારતમાં રાજ્ય કર્યું. 1947 પછી પહેલી વાર ભારત સ્વતંત્ર અને સાર્વભૌમ સ્થાપિત થયું, પણ બ્રિટિશ, મુસ્લિમ અને કેટલાક મહત્વાકાંક્ષી હિન્દુ રાજાઓને પોતાની સત્તા સોંપી દેવી ગમી નહિ. એટલે હલચલ શરૂ થઈ. તેમાં સૌથી ખતરનાક કોશિશ જુનાગઢ અને હૈદરાબાદ નવાબ અને નિઝામ રાજાઓની રહી. પછી દીવ, દમણ, ગોવા ભારતમાં ભેળવવા સૈન્ય મોકલવું પડ્યું, હવે પાક કબ્જાગ્રસ્ત કાશ્મીરની ઘડી ગણાઈ રહી હોય તેવું વાતાવરણ છે.
આ બધામાં દીવ, દમણ, ગોવાને છોડતા બાકીના ત્રણેયની અનેક રીતે વ્યૂહાત્મક સમાનતા છે. હૈદરાબાદ કસોટીના સમયે ભારતને દક્ષિણ ભારતથી વિખૂટું પાડી શકે તેવી ભૌગોલિક સ્થિતિ છે. જુનાગઢ અને સોમનાથનો પાકિસ્તાન સાથેનો સંભવિત વિલય સમગ્ર પશ્ચિમ ભારતમાં પાકિસ્તાની વિક્ષેપ પેદા કરે તેવી રીતે અસ્તિત્વ ધરાવતું રાજ્ય. અને ‘PoK’ એટલે કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર તો સરહદ પર પાકિસ્તાની આતંકવાદનું મોટું મથક છે. એટલું જ નહિ, ત્યાં કેટલાક વિસ્તારોમાં ચીન હકૂમત કરે છે, રસ્તાઓ બાંધ્યા છે, આણવિક અડ્ડા બનાવ્યા છે, એટલે બેવડા દુશ્મનોનો ખતરો અહીં છે.
હૈદરાબાદ-જુનાગઢને તો સરદાર વલ્લભભાઇએ સાથીદાર જવાહરલાલના નિરર્થક ઉદારવાદની પરવા કર્યા વિના જ વિલીનીકરણ માટે મજબૂર કર્યા. પ્રજા તો ઇચ્છતી જ હતી કે આ પ્રદેશોના નવાબ જે હોય તે, ભારતનું આ અભિન્ન અંગ છે. પણ સરદારની વ્યૂહરચના અને દૃઢતા તેમાં કામ ના લાગ્યા હોત તો? 1926માં સ્થાપિત ઇત્તેહાદ (મજલિસે-ઇત્તેહાદ-અલ-મુસલમીન)નો એજન્ડા જ ધર્માન્તર પ્રવૃત્તિ અને રઝાકાર પ્રવૃત્તિથી એક ઈસ્લામિક રાજ્ય બનાવવાનો હતો.
ભારત સાથેની મંત્રણામાં પણ આવી જ માંગણી રહી. ચર્ચિલે તેને ટેકો આપ્યો હતો. 1947ના ઓક્ટોબરમાં લોર્ડ માઉન્ટબેટને દરમિયાનગીરી કરી યથાવત સ્થિતિના કરાર થયા. સરદાર તેમાં રાજી નહોતા કારણ કે નિઝામ અને માઉન્ટબેટનના મલીન ઈરાદાની તેમને બરાબર ખબર હતી. રઝાકારોએ 30,000ના ટોળાં સાથે નિઝામની પાસે જઈને હૈદરાબાદ રાજ્ય પાકિસ્તાનની સાથે જોડી દેવાની જાહેરાત કરવા જણાવ્યું. તેણે રઝાકારોને સમજાવ્યા કે આ મંત્રણાઓ સફળ જવાની નથી, એટલે તે પછી આવો નિર્ણય લેશું. એવું જ બન્યું. ભારતના ચલણને આ રાજ્યે માન્ય ના કર્યું. 20 કરોડની ભારતીય સિક્યુરિટીને પાકિસ્તાનમાં ફેરવી નાખી. અનેક આંટીઘૂંટી પછી 13 સપ્ટેમ્બર, 1948ના ભારતીય સેનાને મોકલાઇ. નિઝામની શરણાગતિ તો થઈ, હૈદરાબાદ ભારતમાં વિલીન થયું, પણ રઝાકારોએ જે હિન્દુ નિવાસીઓની કત્લેઆમ કરી, ઘરોને આગ લગાવી તે એક અલગ, હાહાકાર મચાવી દે તેવી તવારીખ છે. જુનાગઢ અને માણાવદરમાં નવાબે તેમના ‘સલાહકારો’ના કહેવાથી જે મૂર્ખ નિર્ણય લીધો તે આ રાજ્યોને પાકિસ્તાનની સાથે જોડી દેવાનો હતો.
નવાબે તો રાજકીય સલાહકાર શાહનવાઝ ભુટ્ટોની સલાહ અનુસાર 13 ઓગસ્ટ, 1947ના જાહેરાત કરી દીધી કે અમે પાકિસ્તાન સાથે વિલીન થઈ રહ્યા છીએ. જૂનાગઢની પ્રજા ખળભળી ઉઠી. કાઠિયાવાડ રાજકીય પરિષદે આ જાહેરાતનો સખત વિરોધ કર્યો, બાબરિયાવાડ અને સુરગભાઈ વરુએ આઝાદી જંગના મંડાણ કર્યા. મુંબઈના સોરઠ-નિવાસીઓએ જુનાગઢ સમિતિ જાહેર કરી.
કનૈયાલાલ મુનશીએ રચેલા આરઝી હકૂમતના બંધારણ સાથે શામળદાસ ગાંધી, અમૃતલાલ શેઠ, દુર્લભજી ખેતાણી, નરેન્દ્ર નથવાણી, મણિલાલ દોશી, સુરગભાઈ વરુ, રસિકલાલ પરીખ, ઢેબરભાઇ, જેઠાલાલ જોશી, પુષ્પાબહેન મહેતા, હરિસિંહજી ગોહિલ, ગુણવંતરાય પુરોહિત, જશવંત મહેતા, સનત મહેતા, રતુભાઈ અદાણી, મોતીગર મહંત, દિવ્યકાન્ત નાણાવટી, મયારામદાસ મહારાજ, પુરુષોત્તમ લાલ મહારાજ, ચંદ્રસિંહ ભાડવા દરબાર... આ અને બીજા ઘણાએ નવાબી ફરમાનનો છેદ ઉડાવી દીધો.
હિજરત અને સંગ્રામ સાથે ચાલ્યા. નવાબને લાગ્યું કે ભેરવાઈ પડ્યા, હવે બીજો રસ્તો નહોતો એવું નહીં પણ પ્રજાકીય જુસ્સો અને અન્ય રજવાડાઓનો રોષ એટલો હતો કે તેમણે બીબી-બચ્ચા, ઘરેણાં, પ્રિય શ્વાન-સમૂહ સાથે કેશોદથી વિમાનમારગે કરાચી ચાલ્યા ગયા. 24 ઓકટોબરે તેમનું અને તે પહેલા માણાવદર નવાબનું પાકિસ્તાન ચાલ્યા જવું એ 1947માં આઝાદી પછીના સ્વાતંત્ર્ય જંગનો અધ્યાય છે. 9 નવેમ્બર, 1947 ઉપરકોટ પર રાષ્ટ્રધ્વજ ફરક્યો, 13 નવેમ્બર, 1947 ના સરદાર વલ્લભભાઇ જુનાગઢ આવ્યા, બહાઉદ્દીન કોલેજના પ્રાંગણમાં સભા થઈ. (આ ઐતિહાસિક તવારીખને જાળવતું સ્મારક તો નથી, એક નાનકડી તખતી છે.) સરદાર જુનાગઢથી સોમનાથ ગયા, સોમનાથના જિર્ણોદ્ધારનો સંકલ્પ લેવાયો અને તે આકારિત પણ થયો. યાદ રહે કે સોમનાથ જુનાગઢના સોરઠ રાજ્યને હસ્તક હતું. જો આ રાજ્ય પાકિસ્તાનની સાથે જોડાયું હોત તો?
ભારતને માટે વિભાજન એ માત્ર બે રાજકીય સરકારો પૂરતું ક્યારેય રહ્યું નથી. મુસ્લિમ લીગ અને બ્રિટિશ રાજકીય લુચ્ચાઈથી વિભાજન થયું. એક માતાના બે જાહેર ટુકડા! પછી સામસામા રહેવાનું બદનસીબ, પાકિસ્તાને કરેલા હુમલાઓ, યુદ્ધો, કાશ્મીર અને બીજે ત્રાસવાદી-આતંકવાદીઓની ઘુસપેઠ, નિર્દોષોની હત્યાઓ, પૂર્વ પાકિસ્તાનને કચડી નાખવા માટે પશ્ચિમ પાકિસ્તાને કરલું દમન અને બાંગ્લા દેશનું નિર્માણ, વળી પાછું ત્યાં કટ્ટરવાદનું વર્ચસ્વ, અને કથિત શાંતિપ્રેમી યુનુસ સલીમનું તેને સમર્થન, છેલ્લી લડાઈ કારગિલની... અને હવે પહેલગામમાં નિર્દોષ મુસાફરોની હત્યાઓ! આપણે ત્યાં એક ‘ઝીરો ટોલરન્સ’નો શબ્દપ્રયોગ કરાય છે. પણ તેનો ઉપયોગ અઘરો છે. 1947માં જ ભારત પર આક્રમણ થયું. આ હુમલો હટાવવા માટે ભારતીય સેના તત્પર હતી પણ નેહરુજીએ સંપૂર્ણ જીતને રોકી. યુનોમાં વાત ગઈ. એ દરમિયાન પાકિસ્તાનનાં હાથમાં રહેલા ભાગને 24 ઓકટોબર, 1947ના આઝાદ કાશ્મીર નામ અપાયું. કહેવાતી સ્વતંત્ર વહીવટની સત્તા હતી, પણ પાકિસ્તાનનો હાથ ઉપર રહ્યો છે, કેટલોક ભાગ ચીનને આપી દેવાયો છે, કારગિલ ખેલ નિષ્ફળ ગયો. હવે? ભારતીય સંસદે તો ક્યારનો ઠરાવ કર્યો છે કે સંપૂર્ણ કાશ્મીર ભારતનો ભાગ છે. પાકિસ્તાનના રાજકારણીઓ અને સૈનિકી નેતાઓને ડર છે કે જમ્મુ-કાશ્મીર પોતાનું છે એવું કહ્યા કર્યું અને આતંકવાદીઓને મોકલતા રહ્યા, હવે જો ભારતીય સેના બાકીના કાશ્મીરને મેળવી લેશે તો...?


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter