અમદાવાદઃ લંડનમાં વસતાં ગુજરાતી સમુદાયમાં આગવી લોકચાહના ધરાવતા ‘સર્વમિત્ર’ સ્વ. ભાનુભાઇ પંડ્યાને તેમના મનપસંદ ગીતસંગીત દ્વારા સૂરિલી સ્મરણાંજલિ આપવાનો યાદગાર કાર્યક્રમ 20 એપ્રિલના રોજ અમદાવાદના આંગણે યોજાઇ ગયો. ભદ્રાબહેન ભાનુભાઇ પંડ્યા પરિવાર દ્વારા યોજાયેલા આ અનોખા કાર્યક્રમમાં જાણીતાં ગાયિકા માયાબહેન દીપકે ભાનુભાઇને ગમતીલા ભજન અને ગીતસંગીતની રસલ્હાણ પીરસીને મહેમાનોની ભરપૂર પ્રશંસા મેળવી હતી.
સતત હસતા - હસાવતા અને મિત્રો-સ્વજનોમાં ‘ભાનુકાકા’ના હુલામણા નામે ઓળખાતા ભાનુભાઇ તેમના આતિથ્ય-સત્કાર માટે જાણીતા હતા. ભારત કે અન્ય કોઇ દેશમાંથી લંડન પહોંચતા કલાકારો માટે ભાનુભાઇનું નિવાસસ્થાન મનગમતો મુકામ હતો. શરણાઇવાદક ઉસ્તાદ બિસ્મિલ્લાખાં અને સંગીતકાર રવિથી લઇને પરવીન સુલ્તાના જેવા કલાકારો સાથે તેમને ઘરોબો હતો તો આજના ફિલ્મ-ટીવી જગતના કલાકારો, લેખકો-કવિઓ-સાહિત્યકારો તેમનું ઉષ્માસભર આતિથ્ય માણી ચૂક્યા છે. સેવાભાવી સ્વભાવ ધરાવતા ભાનુભાઇ લંડનની અનેક સંસ્થાઓ સાથે સક્રિયપણે સંકળાયેલા હતા. પોતાના મિલનસાર સ્વભાવ થકી અજાણ્યાને પણ પોતાના કરી લેવાની આવડત ધરાવતા ભાનુભાઇ પાસે જોક્સનો ખજાનો હતો એમ કહો તો પણ તેમાં અતિશ્યોક્તિ નથી. 13 નંબર સાથે તેમનો કંઇક વિશેષ ઋણાનુબંધ હતો એમ કહી શકાય. તેમની જન્મતારીખ 13 હતી, તેમના ઘરનો નંબર 13 હતો અને તેમણે આ ધરતી પરથી વિદાય પણ 13 તારીખ (જાન્યુઆરી 2024)ના રોજ લીધી હતી.
એબીપીએલ પરિવારના સ્વજન એવા ભાનુભાઇની સ્મૃતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં શરદભાઇ રાવલ (યુકે), દીપકભાઇ રાવલ, આશિષભાઇ અમીન, સુધીરભાઇ દવે, સંજયભાઇ પટેલ (યુએસ), શિલ્પાબહેન છાબરા, મયુરભાઇ પંડ્યા, શીતલબહેન, ભાવિબહેન વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ઉમદા વ્યક્તિત્વ ધરાવતા ભાનુભાઇ સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા.
આ સંગીતમય કાર્યક્રમમાં માયાબહેન સાથે સંગીત કલાકારો અરુપ ઘોષ, કિર્તી શાહ, રાજેશ શાહ, કુનાલ ભીમાશિયા, મંથન ભટ્ટ અને મિનેશ ભટ્ટે સંગત કરી હતી.