એક કાર અકસ્માત કેસમાં જેની પર સજાની તલવાર તોળાઇ રહી છે તે મુદ્દે સલમાનખાને કોર્ટમાં મહત્ત્વનું નિવેદન આપ્યું છે. આ અકસ્માત કેસમાં પોતાના પરના આરોપોને ખોટા ગણાવી સલમાનખાને અદાલતમાં કહ્યું હતું કે તે વર્ષ ૨૦૦૨માં બનેલી ઘટના વખતે કાર ચલાવતો નહતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ચાર લોકો ઘાયલ થયાં હતાં. ૪૯ વર્ષીય સલમાને કહ્યું કે કાર તેમનો ડ્રાઈવર ચલાવતો હતો. તેણે એ આરોપો પણ નકાર્યા હતા કે અકસ્માતના થોડા સમય પહેલાં જ તેણે દારૂ પીધો હતો. સલમાને ન્યાયમૂર્તિ ડી. ડબલ્યુ. દેશપાંડે દ્વારા પૂછાયેલા પ્રશ્નોનો ઉત્તર આપતા કહ્યું હતું, જે સમયે અકસ્માત થયો ત્યારે મારો ડ્રાઈવર અશોકસિંહ કાર ચલાવતો હતો. બીજી તરફ સલમાનના ડ્રાઇવરે પણ કોર્ટમાં જણાવ્યું હતું કે, અકસ્માત વખતે પોતે જ કાર ચલાવતો હતો.