કરણવીર બોહરા ‘કસિનો’ નામની વેબસિરીઝના શૂટિંગ માટે મુંબઈથી નેપાળ જવા નીકળ્યો હતો. કરણવીરને યોગ્ય દસ્તાવેજો ન હોવાથી મુંબઈ તો નહીં, પણ નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર અટકાવાયો હતો. કરણવીરને દિલ્હીથી કાઠમંડુની ફ્લાઈટ પકડવાની હતી. ઓળખના પુરાવા તરીકે તેની પાસે માત્ર આધારકાર્ડ હતું. હવાઈ રસ્તે ભારતથી નેપાળ જવા માટે ભારતીયોની ઓળખ માટે આધારકાર્ડ માન્ય રખાતું નથી.
ટ્વિટર પર હૈયાવરાળ
એરલાઈનની સામે ગુસ્સો ઠાલવીને ભારતીય એલચી કચેરી અને ભારતીય વિદેશ પ્રધાન એસ. જયશંકરને ટેગ કરીને કરણવીરે ટ્વિટર પર સવાલ કર્યો કે જો હવાઈમાર્ગે નેપાળ જવા માટે આધારકાર્ડ માન્ય ન હોય તો તેને મુંબઈ એરપોર્ટ પર જ શા માટે ન રાકાયો? નેપાળ સરકાર સડકમાર્ગે જનારા ભારતીયો માટે પાસપોર્ટ, વોટર આઈડી અને આધારકાર્ડને માન્ય ગણે છે, પરંતુ હવાઈ યાત્રામાં માત્ર પાસપોર્ટ અને વોટર આઈડી કાર્ડની જ પરવાનગી છે. જો એવું જ હતું તો મને મુંબઈથી આધાર કાર્ડ સાથે યાત્રા શા માટે શરૂ કરવા દેવામાં આવી? મને ત્યાં જ શા માટે ન રોકવામાં આવ્યો? આ સાથે કરણે કહ્યું કે, આ એરલાઈન કોઈ ખાનગી કંપની હેન્ડલ કરતી હોત તો સારું થાત.
એર ઈન્ડિયાની સ્પષ્ટતા
કરણની ટ્વિટ પર એર ઈન્ડિયાનો જવાબ પણ આવ્યો. એર ઈન્ડિયાએ ઓફિશિયલ હેન્ડલ પરથી લખ્યું કે, મિ. બોહરા, નેપાળ યાત્રા માટે જરૂરી દસ્તાવેજો વિશે જાણવા આ લિંક પર ક્લિક કરો. આ દસ્તાવેજો ઈમિગ્રેશન ઓથોટિરીઝ દ્વારા માગવામાં આવે છે. કરણે તેના જવાબમાં લખ્યું કે, આ લિંક આપવા બદલ આભાર. હું માનું છું કે આ માત્ર પ્રવાસીઓ માટે જ નહીં, બલકે અધિકારીઓ માટે પણ છે. તેઓએ કેવી રીતે મને અમાન્ય દસ્તાવેજો સાથે મુસાફરી કરવા દીધી? જો મને મુંબઈમાં જ કહેવાયું હોત તો હું તરત જ અરેન્જ કરી શક્યો હોત.