ભારતીય સિનેમાના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારે ૧૧ ડિસેમ્બરે ૯૭મો જન્મદિવસ ઊજવ્યો. આ પ્રસંગે બોલીવૂડમાંથી તેમના પર શુભેચ્છઓનો વરસાદ થયો હતો. આ દિવસે તેમના ચાહકો તરફથી સોશિયલ મીડિયા પર તેમને ઘણી શુભેચ્છાઓ મળી હતી. પીઢ અભિનતાએ પોતાની તસવીર મુકીને આ તમામનો આભાર માન્યો છે. દિલીપસા’બે ટ્વિટર પર ટ્વિટ કર્યું હતું કે, ‘૯૭મા જન્મદિને નિમિત્તે મને ૧૦ ડિસેમ્બરની રાત્રિથી જ ફોન અને સંદેશા આવવા લાગ્ય છે. આ માટે હું બધાનો આભાર માનું છું. મારા માટે આ ઉજવણીનું ખાસ મહત્ત્વ નથી, પરંતુ તમારા અસીમ પ્રેમ, સ્નેહ અને દુવાઓ જોઇને મારી આંખો કૃતજ્ઞતાના આંસુઓથી ભીની થઇ જાય છે.’ ઉલ્લેખનીય છે કે, દિલીપ કુમારના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ તેમના જીવનસાથી પત્ની સાયરા બાનુ સંભાળી રહ્યાં છે. તાજેતરમાં લતા મંગેશકર હોસ્પિટલમાંથી સારવાર બાદ ઘરે પરત ફર્યા ત્યારે પણ દિલીપ કુમાર વતી તેમણે જ સોશિયલ મીડિયા પરથી શુભેચ્છા આપી હતી.