અમદાવાદઃ જવાહરલાલ નહેરુ અને ઇન્દિરા ગાંધી અંગે સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરવા મામલે રાજસ્થાન પોલીસે બોલિવૂડ અભિનેત્રી પાયલ રોહતગીની અમદાવાદમાંથી ધરપકડ કરી છે. સોમવારે તેને જયપુર કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટે તેને ૨૪ ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધી છે. બોલિવૂડ એકટ્રેસ પાયલ રોહતગીએ સ્વતંત્રતા સેનાની મહિલાઓ, પૂર્વ વડા પ્રધાનો સ્વ. જવાહરલાલ નેહરુ, સ્વ. ઇન્દિરા ગાંધી અને સ્વ. રાજીવ ગાંધી પર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાંધાજનક ટિપ્પણી કરી હતી. જેથી કોંગ્રેસના પૂર્વ પ્રદેશ મહા સચિવ ચમેશ શર્માએ ગત ૧૦ ઓક્ટોબરે રાજસ્થાનના બુંદી જિલ્લામાં કેસ દાખલ કર્યો હતો. આ પછી અભિનેત્રીના અમદાવાદ સ્થિત નિવાસસ્થાનેથી રાજસ્થાન પોલીસે તેની ધરપકડ કરી હતી.
સતત વિવાદોમાં રહેવા માટે જાણીતી પાયલે ટ્વિટર પર લખ્યું કે, ગુગલમાંથી માહિતી લઈને મોતીલાલ નેહરુ વિશે મેં વીડિયો બનાવ્યો હતો. જેથી રાજસ્થાન પોલીસે મારી ધરપકડ કરી. આ દેશમાં વાણી સ્વાતંત્ર્ય મજાકસમાન છે. ઉલ્લેખનીય છે કે પાયલે રાજસ્થાન પોલીસ, પીએમઓ, હોમ મિનિસ્ટ્રીના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટને પણ આ ટ્વિટમાં ટેગ કર્યાં હતાં.