કોલ્હાપુર: રાણી પદ્માવતી અને દિલ્હીના બાદશાહ અલ્લાઉદ્દીન ખિલજી પર આધારિત સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવતી’ના કોલ્હાપુર નજીક પન્હાળા વિસ્તારમાં બનાવેલા સેટની કેટલાક અજ્ઞાત લોકોએ તોડફોડ કરીને પેટ્રોલ બોમ્બથી એ સેટ ૧૪મીએ રાતે સળગાવી દીધો હતો. પથ્થર લાઠી સાથે ત્રાટકેલા ૪૦થી ૫૦ જણના ટોળાએ સેટ પર હાજર સિક્યોરિટી ગાર્ડસની પણ મારઝૂડ કરી હતી. એટલું જ નહીં સેટ પર પાર્ક કરાયેલી કારની પણ તોડફોડ કરી તેને નુકસાન પહોંચાડ્યું હતું. પોલીસે આ સંદર્ભે તપાસ કરી કેટલાક લોકોને તાબામાં લઈ તેમની પૂછપરછ ચાલુ કરી છે.
રાણી પદ્માવતીને અલ્લાઉદ્દીન ખિલજીના અત્યાચાર સામે ન ઝૂકતાં જોહર કરી ચિતામાં ઝંપલાવી આત્મવિલોપન કર્યં હતું એમ કહી રાજસ્થાનની રાજપૂત કરણી સેનાએ સંજય લીલા ભણસારી પર એવો આરોપ મૂક્યો છે કે તે ઇતિહાસ સાથે તેઓ ચેડાં કરી રહ્યા છે. તેથી આ પહેલાં સંજય લીલા ભણસારીને ધમકીઓ પણ મળી છે અને તેમને કહેવાયું છે કે રાણી પદ્માવતીના ચરિત્ર સાથે છૂટછાટ ન લો. નહીં તો તેના પરિણામ સારા નહીં આવે. જયપુરમાં શૂટિંગનો વિરોધ થતાં ભણસાલીએ મહારાષ્ટ્રના કોલ્હાપુર નજીકના પન્હાળામાં તેનો સેટ ઊભા કરી શૂટિંગ ચાલુ કર્યું હતું. ત્યાં પણ તેના શૂટિંગમાં વિઘ્ન આવ્યું છે.