વેરાવળઃ જગવિખ્યાત સોમનાથ મંદિરના શિખરોને ભાવિક દાતાઓના સહયોગથી સુવર્ણ કલશથી મઢવા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા યોજના જાહેર કરી હતી. જેને સારો પ્રતિસાદ મળ્યો છે. મંદિરના શિખર પરના કુલ ૧૪૫૧ કળશો પૈકી ૧૧૦૦ જેટલા કળશ સુવર્ણ મઢીત કરવા માટે દાતાઓએ અનુદાન નોંધાવેલું છે. જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલના પરિવારજનો ૧૧ અને રઘુભાઈ હુંબલેએ ૨ મળી કુલ ૧૩ કળશો સુવર્ણ મઢીત કરવા માટે અનુદાન આપી કળશ પૂજા કરી હતી. અત્યાર સુધીમાં સોનાથી મઢેલા ૪૮૫ જેટલા સુવર્ણ કળશો મંદિરના શિખરો પર લગાડાઈ ચૂક્યા છે.
થોડા દિવસ પૂર્વે સોમનાથ દર્શનાર્થે આવેલા પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા કળશની યોજનામાં અનુદાન આપવાની ઈચ્છા દર્શાવી હતી. બાદમાં તેમના પરિવાર દ્વારા ૧૧ જેટલા કળશો માટે અનુદાન આપવામાં આવ્યું હતું. જ્યારે તેમના સાથી ભાજપના આગેવાન રઘુભાઈ હુંબલે પણ ૨ કળશ માટે અનુદાન આપેલું હતું. જેથી સી. આર. પાટીલ અને રઘુભાઈ હુંબલ બંને મહાનુભાવો સોમનાથના પ્રવાસે આવ્યા હતા.
મંદિરમાં ભાવિકોને હવે પાસ વગર પણ પ્રવેશ
સોમનાથ મહાદેવ મંદિરમાં અમલી બનાવાયેલા કોરોનાના નિયમો હળવા કરાયાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જેમાં સોમનાથ મહાદેવના દર્શન માટે અમલી ૧૪ મહિનાઓથી અમલી બનાવાયેલ પાસ સિસ્ટમ બંધ કરવામાં આવી છે.
જે મુજબ સોમનાથ મંદિરએ દર્શનાર્થે આવતા શિવ ભક્તોએ દર્શન માટે ઓફલાઇન કે ઓનલાઈન પાસ નહીં લેવો પડે પરંતુ માસ્ક, સેનેટાઈઝીંગ સહિતની સાવચેતી રાખવી પડશે.