બાંદાઃ ઉત્તર પ્રદેશના બાંદામાં સોમવારે રોડવેઝ બસ અને ટ્રક વચ્ચે સામ સામે ટક્કર થઈ હતી. જેમાં ૯ લોકોના મોત થયાં છે જ્યારે ૨૦ કરતાં વધારે વ્યક્તિઓને ઈજા પહોંચી છે. આ ઘટના બાદ સ્થાનિક લોકોએ બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા. બાંદાના ડીએમ હીરાલાલે જણાવ્યું હતું કે બાંદા ડિપોની રોડવેઝ બસ યાત્રીઓ લઈને ફતેહપુર જઈ રહી હતી. તે સમયે તિંદવારી ક્ષેત્રના સૈમરી ગામ પાસે સામેથી આવી રહેલા ટ્રક સાથે અથડાઈ હતી. ઈજાગ્રસ્તોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોને શક્ય તમામ મદદ પહોંચાડવામાં આવી રહી છે. એસપી ગણેશ પ્રસાદ સાહાએ કહ્યું હતું કે મૃતકોમાં ૧ બાળક, ૧ મહિલા અને ૭ પુરુષનો સમાવેશ થાય છે. પરિવહન વિભાગે આ ઘટનામાં મૃત્યુ પામનારના પરિવારને રૂ. ૫-૫ લાખ વળતર આપવાની જાહેરાત કરી છે.