હિન્દુ અને જૈન કોમ્યુનિટીઓ ઓર્ગન ડોનેશનને દિવાળીના ખાસ સંદેશ દ્વારા પુષ્ટિ આપી રહ્યા છે. ૨૦૨૦ના વસંતથી ઇંગ્લેન્ડમાં અને પાનખરથી સ્કોટલેન્ડમાં આ નવો કાયદો અમલી બની રહ્યો છે. એ મુજબ જેઓએ ફોર્મ ભરી પોતાની સંમતિ કે અસંમતિ દર્શાવી છે તેઓને બાદ કરતા બાકીના બધા જ અવયવ દાન માટે સહમત છે એમ માની લેવામાં આવશે. આ નવા કાયદાને લક્ષમાં લઇ સાથ આપવા માટે ખાસ વીડિયો અને પત્રિકાઓ જે તે કોમ્યુનિટીને ધ્યાનમાં રાખી બનાવવામાં આવી છે. હિન્દુ અને જૈન ઓર્ગન ડોનેશન સ્ટીયરીંગ કમિટિના ચેરમેન શ્રી કિરિટભાઇ મોદીએ જણાવ્યું છે કે, “અમે હિન્દુ અને જૈન કોમ્યુનિટીના અગ્રણીઓના મક્કમ સાથ આપતા નિવેદનોવાળી, સૌને સાથ આપવા ભલામણ કરતી દિવાળી પર્વના સંદેશની વીડિયો લોંચ કરી છે. આ વીડિયોમાં શિવમ અને શ્યામલ કક્કડે તાજેતરમાં એમના પિતાશ્રી ભરતભાઇ કક્કડના અવસાન બાદ એમના અવયવોનું દાન કરી કેટલાયને જીવત દાન બક્ષ્યું એની પ્રરક કહાની સામેલ કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું છે કે, આ વર્ષે દિવાળી ઉજવતા સૌ કોઇને હું અરજ કરૂં છું કે, ઓર્ગન ડોનેશન માટે વિચારો અને બીજાના જીવ બચાવવામાં મદદરૂપ બનો. “
બ્રિટનભરમાં ૧૦૦૬ એશિયનો ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે દાતાઓ મળે એની આશામાં જીવી રહ્યા છે. ૨૦૧૮-૧૯ના વર્ષમાં યુ.કે.ભરમાંથી ૧૪૯ અવયવ દાતાઓ આગળ આવ્યા હતા જેમાંના ૮૩ લીવીંગ કિડની દાતા અને ૫૬ મૃત્યુ બાદના દાતા હતા. આ આંક અગાઉની સરખામણીમાં સારો કહી શકાય પરંતુ હજી પણ ૧૦૦૬ એશિયનો દાતાઓની રાહ જોઇ રહ્યા છે.
મોટાભાગના એશિયનોને ગોરા દાતા તરફથી અવયવ મળે છે પણ વાસ્તવિકતા એ છે કે એમના બ્લડ અને ટીસ્યુ એશિયનો સાથે ઓછા મેળ ખાય છે. એનો મતલબ એ થયો કે ટ્રાન્સપ્લાન્ટ માટે એમના જ ગૃપના દાતા હોય એ હિતાવહ છે.
NHS બ્લડ અને ટ્રાન્સપ્લાન્ટના ચેર મીલી બેનરજીએ જણાવ્યું છે કે, દિવાળી એ કરૂણા દર્શાવવાનું પર્વ છે. અન્યો માટે કંઇક સારું કાર્ય કરવાની ભાવનાનું પ્રતિબિંબ એમાં પડઘાય છે. હિન્દુઓ સેવામાં અને એ ય નિ:સ્વાર્થ સેવામાં માને છે. મૃત્યુ બાદ તમારા અવયવો બીજાના કામમાં આવે એથી મોટું પુણ્ય કયું હોઇ શકે?
યુ.કે.માં દરરોજ "ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની રાહ જોતા કોઇ ને કોઇ વ્યક્તિ મોતના મુખમાં ધકેલાય છે. સૌથી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે રાહ જોતા હોય છે. અને સવિશેષ ગોરા કરતા BAME ગૃપનાને વધુ રાહ જોવી પડે છે. આ દિવાળીના અવસરે આપણે વધુ ને વધુ વ્યક્તિઓ ઓર્ગન ડોનેશન માટે નામ નોંધાવીએ એવી મારી આપ સૌને નમ્ર અપીલ છે. અને તમારી અવયવ દાનની ઇચ્છાની જાણ આપના કુટુંબીજનોને પણ કરજો.
અવયવ દાન કરવું કે ના કરવું એ વ્યક્તિની પોતાની મરજી પર આધાર રાખે છે. હાલ એ માટેના આંકડાઓ જોતા જણાયું કે, મોટાભાગના ગૃપોએ અવયવ દાન નકાર્યું છે. અમે દરેક વ્યક્તિ અને એમના ધર્મની માન્યતાને માન આપીએ છીએ તેમછતાં
NHS બ્લડ અને ટ્રાન્સપ્લાન્ટ તરફથી લઘુમતિ ગૃપોને વધુ ને વધુ દાન કરવા પ્રેરીએ છીએ.
લોર્ડ જીતેશ ગઢિયા હિન્દુ અને જૈનો ઓરગન ડોનેશન માટે વધુ સંખ્યામાં સહકાર આપે એની ઝૂંબેશનું નેતૃત્વ કરી રહ્યા છે.
તેઓ જણાવે છે કે, તમે ઓર્ગન ડોનેશન માટે નિર્ણય લો અને એની જાણ તમારા કુટુંબીજનોને કરો. દિવાળી એ દાનવ પર દેવના વિજયનું પર્વ છે, એનો આ નવો અભિગમ આજના સંદર્ભમાં છે.
આ વર્ષ મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણીનું છે. માનવતા માટેના એમના બે મહત્વપૂર્ણ અવતરણો પ્રેરણાદાયી છે, * હજારો શીશ પ્રાર્થના માટે નમાવવા કરતા એક જ જણને જીવનની ખુશી અંત:કરણ પૂર્વક આપવી એ વધુ માનવીય લેખાશે. * વર્ષના બે દિવસો, ગઇકાલ અને આવતીકાલ માટે આપણે કાઁઇ જ કરી શકતા નથી! ગાંધીજીના આ પ્રેરક
વિધાનો અનુસરી ઓર્ગન ડોનેશનનું ફોર્મ ભરી કોઇકને જીવનની ભેટ આપવાનો ઉમદા નિર્ણય લઇ જીવન સફળ કરીએ એવી હું નમ્ર વિનંતિ કરૂં છું.
આ નવી ઝૂંબેશમાં હિન્દુ અને જૈન અગ્રણીઓ સક્રિય બની અગ્રગણ્ય ભૂમિકા ભજવી રહ્યા છે.
વધુ વિગત અને ઓર્ગન ડોનેશન રજીસ્ટ્રેશન માટે વિઝીટ કરો વેબસાઇટ : www.organdonation.nhs.uk અથવા ફોન કરો: 0151 268 7205
email: [email protected]