ભારતની રક્ષા

Tuesday 14th October 2014 13:02 EDT
 

પંદરસો વર્ષોથી પરદેશીઓના આક્રમણોથી ગુલામગીરી, અત્યાચારો, ધર્માંતરો અને જનસંહાર સહન કર્યો તોય આપણી આંખ ઉઘડતી નથી. પાકિસ્તાન અને શ્રીલંકા આપણા માછીમારોની બોટો જપ્ત કરી તેમને જેલમાં પુરે! આપણા બેજવાબદાર દરિયાઈ રક્ષા દળોએ એમની કેટલી બોટો પકડી? છે જવાબ? આ વિટંબણાને સદંતર બંધ કરવી હોય તો આપણી બોટોને દેશની સીમા જણાવતાં અધ્યતન યંત્રોથી સજજ કરવી પડશે.

કહેવાતું ‘આઝાદ કાશ્મીર’ પણ ભારતનો નિર્વિવાદ ભાગ છે. ત્રણ ત્રણ યુદ્ધ થયાં, હજારો જવાનોનાં રક્ત રેડાયાં, પરંતુ પ્રજાએ મીડીયાએ કે સરકારોએ આ બાબતમાં એક હરફ પણ ઉચ્ચાર્યો નથી. ચીનાઓ આપણી સરહદ પર દાદાગીરી કરી ઘૂસી જાય તોય કોઈ કડક પગલાં ભરાતાં હોય એમ જણાતું નથી.

આઝાદી પછીથી આજ સુધી આપણા નબળા, અજ્ઞાની અને ભ્રષ્ટાચારી રક્ષામંત્રીઓ, પ્રધાનો આપણી ત્રણેય સેનાઓને અદ્યત્તન શસ્ત્રો, વિમાનો, મનવારો, જહાજો કે સબમરીનો વગેરે પુરતા પ્રમાણમાં આપી શક્યા નથી. જે કંઈ મેળવ્યાં તે ઉતરતી કક્ષાનાં હોઈ નિષ્ફળ નીવડ્યાં અને કેટલાંક તો ખતમ થઈ ગયાં. દેશની રક્ષાને નબળી બનાવીને આપણા જવાં મર્દોનો જુસ્સાને ઠેસ પહોંચાડી છે.

૬-૬ સૈકાઓથી જી હજુરીયા જેવા બનીને ‘સુલેહ અને શાંતિ’ની વાટાઘાટોથી શું મેળવ્યું?

પૃથ્વી પર જ્યારથી જીવન પાંગર્યું ત્યારથી ‘મારે એની તલવાર’ અને ‘બળીયાના બે ભાગ’ એ સત્યને અનુસરીને કેટલાય દેશો આજે સર્વોપરી બનીને, મહાસત્તાઓ થઈ ગઈ. આપણું ભારત ક્યાં છે?? એમાં પણ આપણે ‘ભાઈ ભાઈ અને અહિંસા તેમજ અમે તો પહેલા ઘા નહિ કરીએ.’ એવી નમાલી વાતો કરી, એમાં ઊણા ઊતર્યાં.

હા, સમયસુચકતા અને કુનેહની સતત જરૂર છે. પરંતુ આપણી સહનશક્તિની પણ હદ હોવી જરુરી છે. દેશની સંરક્ષણ અને પરદેશ નીતિમાં બદલાવ લાવવાનો સમય પાકી ગયો છે એમાં બે મત નથી.

- ડો. નગીનભાઈ પી. પટેલ, નોરવુડ હિલ.

સ્વચ્છ ભારત અભિયાન

મોદીજીનો જાદુ અમેરિકાની ધરતી ઉપર પણ છવાઈ ગયો. પ્રજા તરફથી જેટલો અદર - સત્કાર મોદીજીને મળ્યો તેટલો ભારતના કોઈ રાષ્ટ્રપતિ કે વડાપ્રધાનને મળ્યો નથી. મોદીજીએ ન્યુયોર્ક મેડીસન સ્ક્વેર ગાર્ડનમાં ઉમટી પડેલા વીસ હજાર શ્રોતાઓને ભવ્ય પ્રવચન આપી સૌના હૃદય જીતી તેમના આગવી પ્રતિભાની પ્રતીતિ કરાવી. મોદીજીને ધન્યવાદ.

સ્વચ્છ ભારતની મોદીજીએ ઝુંબેશ ઉપાડી છે તે બહુ આવકારદાયક છે. ભારતમાં પ્રવર્તતી ગંદકી માટે આપણને સૌને અણગમો કે ત્રાસ છે. આપણી યુવાન પેઢી આ ગંદકીને લીધેજ કંઇક અંશે ભારત જવાનું ટાળે છે. કહેવાય છે કે જ્યાં સ્વચ્છતા છે ત્યાં પ્રભુતા છે. ભારત સ્વચ્છ થશે તો લોકોના મનનું શુધ્ધીકરણ પણ થશે, સ્વાસ્થ્ય સુધરશે, રોગચાળો નાબુદ થશે અને બીજા અનેક લાભો થશે. ગરીબ દેશવાશીઓને કુદરતી હાજત માટે ખૂણે ખાંચરે જવું પડે છે ત્યારે લાગે કે મંદિરો કરતા શૌચાલયની અવશ્યક્તા વધારે છે.

મહાત્મા ગાંધીજીની ૧૫૦ જન્મજયંતીના અવસરે તેમના ચરણોમાં 'સ્વચ્છ ભારત' ભેટ ધરવાનો મોદીજીએ નિર્ધાર કર્યો છે. આ કાર્યમાં દેશવાસીઅો મોદીજીને પુરેપુરો સાથ અને સહકાર આપશે એવી હું આશા સેવું છુ.

નિરંજન વસંત, નોરવુડ.

માતાજીના ગરબા અને ફીલ્મી ગીતો

ફીલ્મી ગીતોનો ગરબામાં ઉલ્લેખ વિષે શ્રી અતુલભાઈ પુરોહીતના મંતવ્ય વિશે વાંચ્યું. અતુલભાઈ પ્રત્યે ખૂબ જ માન થયું. તેમની વાત સાચી જ છે. માતાજીના ગરબાના બદલે શા માટે ફિલ્મી ગીતો પર ગરબા થાય છે?

સબ ટીવી પર એક સિરિયલ ‘બડી દૂર સે આયે હૈ’માં માતાજીના ગરબામાં એક જ પગ ધરાવતી અપંગ છોકરીએ ‘ચીકની ચમેલી’નો ફીલ્મી ડાન્સ કર્યો હતો. તે કન્યાએ સરસ નૃત્ય કર્યું પણ માતાજીના ગરબા ઉપર તે કઇ રીતે નૃત્ય કરી શકે? તે દિકરી પર માન છે પણ એ સિરિયલમાં બધાએ ફિલ્મી ગીતો પર ડાન્સ કર્યા હતા. ભલે હું ધાર્મિક નથી, મંદિરે પણ બહુ નથી જતી. પણ આપણા ધર્મનું અપમાન, માતાજીનું અપમાન થાય છે જાણી ખૂબ જ દુઃખ થાય છે. આપણા ધર્મગુરૂઓ મોટી મોટી વાતો કરે છે. આ તેમને કેમ નથી દેખાતું? આશા છે કે ભવિષ્યમાં માતાજીના ગરબા ગવાશે.

- સરોજબહેન જોશી, નોર્થ હેરો

અનોખી પદયાત્રા

૧૯૬૨માં વિનોબાજીના સૂચનથી અહીંસા અને શાંતિના વિચારને લઈને અણુશસ્ત્રોના વિરુદ્ધમાં તેમજ નિઃશસ્ત્રીકરણના ટેકામાં સતીષકુમાર તેમજ ઈ.પી. મેનને પદયાત્રા યોજી હતી. આ યાત્રા ભારતથી અમેરિકા સુધીની હતી. શાકાહારી રહેવાનું અને સાથે પૈસા નહીં રાખવાના સંકલ્પ સાથે તે યાત્રા કરી હતી.

ગાંધી સમાધિ (રાજઘાટ-દિલ્હી)થી તેમણે યાત્રા શરૂ કરી હતી અને વોશિંગ્ટન ડીસી જ્હોન એફ કેનેડીની સમાધિએ તે પૂરી કરી હતી.

આ પદયાત્રા - શાંતિયાત્રા વિના પૈસે, લોકોની શુભેચ્છા-મહેમાનગતિ પર આધાર રાખીને અઢી વરસે તેમને પૂરી કરેલી. તેઓ મુસ્લિમ, ખ્રિસ્તી, મૂડીવાદી, સામ્યવાદી દેશોમાંથી પસાર થયેલા, તેમણે અણુશસ્ત્રોના ચાર મુખ્યમથકોઃ મોસ્કો, પેરિસ, લંડન અને વોશિંગ્ટનમાં વિશ્વ નેતાઓને શાંતિ-અહિંસાનો સંદેશ આપેલો.

આ યાત્રાને બીબીસી વર્લ્ડ સર્વિસે 'નો ડેસ્ટિનેશન' નામે દસ્તાવેજી ફિલ્મમાં આવરી લીધી હતી. આ યાત્રાને તેની ૫૦મી જયંતિએ ભારતીય અંગ્રેજી તેમજ ગુજરાતી પ્રચાર માધ્યમોએ પણ બિરાદવી છે.

- ભીખુભાઈ દેસાઈ, નોટિંગહામ

સંસાર હૈ એક નદિયા, દુઃખ, સુખ દો કિનારે હૈ

દરેક 'જીવંત પંથ' વાંચવાનો ખરેખર આનંદ અનુભવું છું અને એમાંથી ઘણું ઘણું જાણવાનું પણ મળે છે. ખરેખર સીબી, આપ અતિ સુંદર રીતે લખી શકો છે એ પ્રભુની કૃપા વગર આ બધું અસંભવ છે.

આપના 'જીવંત પંથ' તા. ૨-૮-૧૪ના અંકમાં આપે ગેલ્ડોફની દીકરી પીચીસની કહાની તેમજ જસ્ટીન રીસ લાકોમ્બના જીવનની કહાની લખી જણાવી જે વાંચી દુઃખ થાય છે અને એમના જીવનમાં બનેલી ઘટનાઓથી મન વિચારોના વમળમાં ખોવાઈ ગયું છે. આપણને ભગવાને મનુષ્યદેહ આપ્યો જે મળવો ઘણો જ દુર્લભ છે. જીવન જીવવા માટે પ્રભુએ મન અને બુદ્ધિ આપ્યા. વિચાર કરવાની શક્તિ આપી અને કામ કરવા માટે બળ આપ્યું. આપણું મન એવું ચંચળ છે કે જે ન કરવાના કામો કરાવે છે. ઈચ્છા ન હોવા છતાં મનને વશ થઈ આપણે અનેક જાતને તર્ક-વિતર્કમાં પડી જઈને ન કરવાનું કર્મ મન અને તનથી થઈ જાય છે. આ દુનિયામાં એવો કોઈપણ માનવી નથી જેણે જાણતા-અજાણતા પાપ ન કર્યા હોય. ભગવાને માનવીને જીવન વ્યવહાર ચલાવવા માટે એમની જરૂરિયાત કરતા પણ વધારે આપ્યું છે. જીંદગીને ખરા અર્થમાં જાણ્યા વગર - સમજ્યા વગદર જીંદગી જીવી જાણતા નથી. પૈસાના મદમાં અનેક જાતનાં દૂષણોને આમંત્રણ આપે છે. અને પોતાના પતનને નોતરે છે. ફિલ્મ- રફ્તારનું એક ગાયન છે (મુકેશ-આશા)

‘સંસાર હૈ એક નદિયા, દુઃખ, સુખ દો કિનારે હૈ

ન જાને કહા જાયે, હમ બહેતે ધારે હૈ.

- રતિલાલ ટેલર, સાઉથ ગેટ.

માના માતૃત્વને કલંક

'મા' જે સ્નેહ, મમતા, સદ્ભાવનાની મંગલમૂર્તિ અને પ્રેમનો મહાસાગર છે તે 'મા' અતી નીચ કામ કરી શકે? 'ગુજરાત સમાચાર' અને 'એશિયન વોઈસ'માં જ્યારે વાંચ્યું કે એક માએ પોતાના ૩ વર્ષના કૂમળા બાળકને ઢોર માર મારીને મારી નાંખ્યો અને તે મૃત બાળકને બેગમાં મૂકીને દૂર જંગલમાં ફેંકી આવી અને ઢોંગ કર્યો કે મારું બાળક ગુમ થયું છે. પોલીસોએ ચારેકોર બાળકને શોધવા અથાક પ્રયત્નો કર્યા અને છેલ્લે તે નિર્દય માએ કહ્યું કે તેણે તો તેના બાળકને મારી નાંખીને છૂપાવ્યું છે. છી આવી નીચ હરકત!

કળિયુગમાં ઈન્સાન કરતા પશુ બહેતર છે. ધિક્કાર છે કે આવી કેટલી 'મા'એ આ દેશની ધરતી 'મા'ના મમતાના ગળા ઘૂંટ્યા છે અને આવી કલંકીની 'મા'એ માતૃત્વનું ખૂન કરીને 'મા'ની મમતાને લજવી છે.

- સુધા રસીક ભટ્ટ, બેન્સન

મારૂ અનેરૂ 'ગુજરાત સમાચાર'

આપના તરફથી 'ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ' દર શુક્રવારે સમયસર મળી જાય છે. દરેક સમાચાર વિગતવાર વાંચીને ખૂબ જ સંતોષ થાય છે. 'ગુજરાત સમાચાર'ના ગ્રાહકો અને વડીલો સમાચારો વાંચીને ખૂબ જ આનંદ સાથે સંતોષ અનુભવે છે.

દરેક ધાર્મિક પ્રોગ્રામ અને નવરાત્રિના ગરબા રાસ અને સ્થળો, ફોટાઓ સાથે ગરબાના ગીત-ભજનોનો સમાવેશ કરીને જણાવો છો તેથી વિશેષ આનંદ પ્રાપ્ત થાય છે.

આપણા સર્વેના લાડીલા અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા ગયા. આપણા સેવાભાવી શ્રી સી.બી.એ પણ ત્યાં જઇ તન-મનની લાગણી બતાવી. નરેન્દ્ર મોદીએ ભારત પ્રત્યેની લાગણી બતાવી અને આપણા ગુજરાતી, ઈન્ડિયાની કોમ્યુનિટીની યાદ કરીને તન-મન-ધનથી લાગણી બતાવીને પોતાના અમૂલ્ય સમયનો ભોગ અને સદુપયોગ કર્યો છે.

આપણા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના વિસ્તારપૂર્વક સમાચાર ફક્ત 'ગુજરાત સમાચાર'માં ફોટા સાથે દરેક વાંચ્યા જ હશે.

- પ્રભુદાસ જે. પોપટ, હંસલો

ટપાલમાંથી તારવેલું

* સાઉથ ફિલ્ડઝથી દિનેશ માણેક જણાવે છે કે 'ગુજરાત સમાચાર' નિયમિત મળી જાય છે અને વાંચનામૃત જરૂર સંતુષ્ટી સાથે આનંદ આપે છે. નિયમિત સાપ્તાહિક વાંચું છું અને બસ આનંદ ઉર સમાવું છું. આપ સર્વેની અથાક મહેનત અને કામની ધગશ ખરેખર દાદ માગી લે છે. અભિનંદન.

૦૦૦૦૦


    comments powered by Disqus



    to the free, weekly Gujarat Samachar email newsletter