સદાબહાર ભારતીય સુંદરી તરીકે ઓળખાતા લિજન્ડરી એક્ટ્રેસ મધુબાલાના જીવન આધારિત ફિલ્મ અંગે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. આ અટકળોને યથાર્થ ઠેરવતા હવે સોની પિક્ચર્સે મધુબાલાની બાયોપિક બનાવવાનું એલાન કર્યું છે. આલિયા ભટ્ટને ‘ડાર્લિંગ્સ’માં ડાયરેક્ટ કરનારા જસમીત કે. રીનને ડાયરેક્શનની જવાબદારી સોંપાઇ છે. સોની પિક્ચર્સ ઈન્ટરનેશનલ પ્રોડક્શન્સ-ઈન્ડિયા દ્વારા ઈન્સ્ટાગ્રામ પર આ જાહેરાત કરાઇ છે. સોની પિક્ચર્સ અને બ્રૂઈંગ થોટ્સ ભેગા મળીને આ ફિલ્મના કો-પ્રોડ્યુસર છે. મધુબાલાની સુંદરતાને તાજમહેલ સાથે સરખાવાતી હતી તો ઘણાં લોકો તેને ભારતની મેરલિન મનરો પણ તરીકે ઓળખાવતા હતા. માત્ર 36 વર્ષની વયે નિધન પામેલા મધુબાલાએ ફિલ્મોમાં અપાર લોકપ્રિયતા મેળવી હતી. તે જમાનામાં સોશિયલ મીડિયા જેવા પ્લેટફોર્મ નહીં હોવા છતાં મધુબાલાના ચાહકો દુનિયાભરમાં પથરાયેલા હતા. અંગત જીવનમાં અનેક સમસ્યાઓથી ઘેરાયેલા મધુબાલાએ પોતાની તકલીફો દુનિયાથી છુપાવીને રાખી હતી. મધુબાલાના જીવન આધારિત બાયોપિકનું કામ હજુ સ્ક્રિપ્ટિંગના તબક્કામાં છે.