લંડન
બીબીસીની દસ્તાવેજી ફિલ્મને ભારત સરકારે પ્રોપેગેન્ડા પીસ ગણાવ્યા બાદ બીબીસીએ જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરની દસ્તાવેજી ફિલ્મ સીરિઝ વ્યાપક રિસર્ચ બાદ તૈયાર કરાઇ છે. તેમાં મહત્વના મુદ્દા ઉઠાવવામાં આવ્યાં છે. બીબીસીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, બીબીસીની ડોક્યુમેન્ટરી પત્રકારત્વના ઉચ્ચ ધોરણો સાથે તૈયાર કરાઇ છે. આ દસ્તાવેજી ફિલ્મ તૈયાર કરવા માટે અમે સંખ્યાબંધ લોકોનો સંપર્ક પણ કર્યો હતો. અમે સાક્ષીઓ અને નિષ્ણાતોનો સંપર્ક કરીને તેમના દ્વારા અપાયેલી માહિતી અને મંતવ્યો રજૂ કર્યાં છે. અમે આ દસ્તાવેજી ફિલ્મમાં ઉઠાવાયેલા મામલાઓનો જવાબ આપવા ભારત સરકારનો પણ સંપર્ક કર્યો હતો પરંતુ ભારત સરકારે તેના પર કોઇ જવાબ આપવાનો ઇનકાર કરી દીધો હતો.
બીબીસીએ જણાવ્યું હતું કે, અમે વિશ્વભરમાંના મહત્વના મામલા ઉઠાવવા પ્રતિબદ્ધ છીએ.નરેન્દ્ર મોદી પરની દસ્તાવેજી સીરિઝ ભારતમાં હિન્દુ અને મુસ્લિમો વચ્ચે પ્રવર્તતા તણાવ અને આ તણાવના સંદર્ભમા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવી રાજનીતિ કરી રહ્યાં છે તે શોધવાનો પ્રયાસ કરાયો છે. તાજેતરના વર્ષોમાં ભારત અને સમગ્ર વિશ્વમાં આ રિપોર્ટિંગ અને હિતનો સ્ત્રોત છે.