લંડનઃ કિંગ ચાર્લ્સે તેમના ભાઇ પ્રિન્સ એન્ડ્રુને 30 ઓરડા ધરાવતા રોયલ લોજને ખાલી નહીં કરવા પર તમામ પ્રકારના સંબંધો તોડી નાખવાની ધમકી ઉચ્ચારી છે. કિંગ ચાર્લ્સે ચેતવણી આપી છે કે જો પ્રિન્સ એન્ડ્રુ રોયલ લોજ ખાલી નહીં કરે તો તેમની જિંદગીમાં મુશ્કેલીઓ સર્જાશે. પ્રિન્સ એન્ડ્રુ 2002થી આ મેન્શનમાં વસવાટ કરે છે.
પેલેસના સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રિન્સ એન્ડ્રુના તમામ ખર્ચ ઉઠાવતા કિંગ ચાર્લ્સ જો એન્ડ્રુ નવા મકાનની ઓફર ન સ્વીકારે તો તેમને અપાતી તમામ પ્રકારની સહાય પર પુનઃવિચારણા કરશે. પ્રિન્સ એન્ડ્રુ છેલ્લા 18 મહિનાથી આ મેન્શન ખાલી કરવાનો ઇનકાર કરી રહ્યા છે. ગયા વર્ષે તેમને ફ્રોગમોર કોટેજ ખાતે રહેવા જવા કહેવામાં આવ્યું હતું પરંતુ તેમણે આ ઓફર ઠુકરાવી દીધી હતી.
પ્રિન્સ એન્ડ્રુના મિત્રે જણાવ્યું હતું કે, ગમે તે રીતે પ્રિન્સ પાસે આ મકાન ખાલી કરાવાશે પરંતુ તે દુઃખદ હશે. જો તેઓ કિંગની વાત નહીં માને તો તેમના માટે જીવન સરળ નહીં હોય. સવાલ એ છે કે પ્રિન્સે જિદ છોડી દેવી જોઇએ. જો તેઓ કિંગની વાત માનશે તો તેમને રાજવી પરિવારની સહાય મળતી રહેશે.