અમદાવાદઃ શહેરના છારોડી સ્થિત સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ (SGVP)ના અધ્યક્ષ પરમ પૂજ્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી સનાતન સંસ્કૃતિને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવાના દૃઢ સંકલ્પ સાથે સતત વિચરણ કરતા રહે છે. તાજેતરમાં આફ્રિકાની સત્સંગયાત્રા દરમિયાન સ્વામીજી યુગાન્ડાની મુલાકાતે પધાર્યા હતા. જ્યાં તેમણે યુગાન્ડાના ડેપ્યુટી સ્પીકર ડો. થોમસ તૈયબ્વા સાથે મુલાકાત કરી હતી. યુગાન્ડામાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ વસે છે. આ પ્રવાસ દરમિયાન પૂ. સ્વામીજીએ યુગાન્ડા સરકારના ડેપ્યુટી સ્પીકર ડો. થોમસ તૈયબ્વાના વિશેષ આમંત્રણથી દેશની રાજધાની કંપાલા ખાતે આવેલા સંસદ ભવનની ખાસ મુલાકાત લીધી હતી.સંસદ ભવન ખાતે સ્પીકર ડો. થોમસ અને સહયોગી સાંસદોએ પૂ. સ્વામીજીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. યુગાન્ડાના સાંસદો અને સરકારના પ્રતિનિધિ ડો. થોમસ સાથે સ્વામીજીએ પ્રાચીન ગુરુકુલ શિક્ષા પદ્ધતિ દ્વારા કઈ રીતે આવનારી પેઢીને વધુ સ્વાભિમાની, સશક્ત, સંસ્કારી બનાવી સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ માટે તૈયાર કરી શકાય એ વિષય ઉપર ચર્ચા કરી હતી!રાજસત્તા અને ધર્મસત્તાની આ મુલાકાત ભારત અને આફ્રિકાના દેશો વચ્ચે આધ્યાત્મિકતા, શિક્ષણ અને સંસ્કૃતિનો સેતુ નિર્માણ કરશે એવી આશા છે.