અમદાવાદઃ આંતરાષ્ટ્રીય પુસ્તક દિન નિમિત્તે 23 એપ્રિલના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે સત્સંગ સભામાં પુસ્તકો અને ગ્રંથોનું પૂજન કરાયું હતું. આ પ્રસંગે શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી અને શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામીએ યુવા પેઢીને સંબોધતા શાસ્ત્રો અને પુસ્તકોનું મહત્ત્વ સમજાવ્યું હતું.
આ પ્રસંગે સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આજની યુવા પેઢીને પ્રશ્ન થશે કે જીવનમાં પુસ્તકો અને શાસ્ત્રોનું શું મહત્ત્વ છે? તો જે પ્રકારે આજના જમાનામાં કોમ્પ્યુટર, ટીવી, ફ્રીજ, એરકંડીશન વગેરે સાધનો કેમ વાપરવાં તેનું માર્ગદર્શન આપતી માર્ગદર્શિકા પુસ્તિકા કે પેમ્ફલેટ જે પ્રકારે આવશ્યક છે અને યોગ્ય સમજણ વિના જો સાધનનો ઉપયોગ કરાય તો જેમ કિંમતી સાધનો બગડી જાય છે તેમ અતિ દુર્લભ માનવદેહનો ઉપયોગ કઇ રીતે તેની માર્ગદર્શિકા એટલે આપણાં પુસ્તકો અને શાસ્ત્રો. આમ, શાસ્ત્રો એ અતિ અનિવાર્ય છે. દીપ જેમ અંધકારને દૂર કરે છે તેમ પુસ્તકો અને શાસ્ત્રો આપણા હૃદયમાં રહેલા અંધકારને દૂર કરે છે. આપણામાં રહેલા દોષોને દૂર કરે છે. તેથી આપણે નિત્ય પ્રત્યે સત્શાસ્ત્રોનું પઠન પાઠન અવશ્ય કરવું જ જોઈએ.
પુસ્તકોના નિત્ય વાંચનથી માનસિક તણાવ દૂર થાય છે. આપણી યાદશક્તિ વધે છે, હતાશામાંથી આપણે બહાર આવી શકીએ છે અને પોઝિટિવ વિચારધારા પ્રાપ્ત થવાના કારણે આપણામાં સાહસનો ગુણ ખીલી ઉઠે છે. મુકેશ અંબાણી, એલન મસ્ક, વોરન બફેટ, અબ્રાહ્મ લિંકન, ગાંધીજી આદિ મહાપુરુષો પણ નિત્ય પુસ્તકો વાંચતા હતા જેના કારણે જ તેઓ જીવનમાં સફળ થયા છે.
કુમકુમ મંદિરના સંસ્થાપક સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી 100 વર્ષની ઉંમરે પણ નિત્ય છ કલાક સુધી જીવનપ્રાણ બાપાશ્રી અને વચનામૃત આદિ ધર્મગ્રંથોનું પઠન કરતાં હતા. તેથી આપણે તેમના જીવનમાંથી નિત્ય વાંચનનો ગુણ કેળવવો જોઈએ અને આપણા જીવનને આદર્શ બનાવવા માટે પ્રયત્નશીલ બનવું જોઈએ.