દીપોત્સવી અને ૨૦૭૧ વિક્રમ સંવતનું નવું વર્ષ ‘ગુજરાતી માણુષે’ રંગેચંગે ઊજવ્યું. લાભપાંચમ અને દેવદિવાળી સુધી તેનો માહોલ રહેશે. ડાકોરના રણ-છોડરાય, દ્વારકાના દ્વારિકાધીશ, અંબાજીના ‘મા અંબા’, બહુચરાજીનાં ‘માતા બહુચરા’, મહુડીના ઘંટાકર્ણ, કચ્છનાં આશાપુરા, સોમનાથના મહાદેવ, સમુદ્ર તટે હરસિદ્ધિ દેવી, પાવાગઢનાં આરાસુરી, જસદણ પાસે ઘેલા સોમનાથ, ગીરમાં સતાધારના ‘સત દેવીદાસ’, આપા ગીગાનો ઓટલો, સાયલાના ‘ભગતની જગા’, ચોટિલાનાં ચામુંડા, વીરપુરના ‘જલા ભકત’, દેવાધિદેવ મહાદેવ ક્યાંક ઉત્કંઠેશ્વર, ક્યાંક ધોળેશ્વર, ક્યાંક કર્ણમુક્તેશ્વર, ક્યાંક ભીમનાથ તો વળી ગિરનાર તળેટીમાં ભવનાથ સ્વરૂપે આ દિવસોમાં ભક્તોની તીર્થયાત્રા, ભજનવાણીનો મહોત્સવ અને પ્રાર્થનાના રંગોથી સભર બને છે. હિન્દુસ્તાન વિશે એક ડાબેરી ક્રાંતિપૂજક સમાજશાસ્ત્રીએ કહ્યું હતું કે અહીં સામ્યવાદ લાવવો તદ્દન અશક્ય છે.
પ્રજાકીય ખૂબી અને ખામી
કારણ સાફ છે. મૂડીવાદના પરિણામે જન્મેલો સામ્યવાદ લંડનનાં એક પરામાં કાર્લ માર્ક્સે ઉછેર્યો અને ઇંગ્લેન્ડને બદલે રશિયામાં તેનો ઉદય થયો, ગોર્બાચોફે આ સામ્યવાદમાં છૂપાયેલા શોષણ અને જુલમની વિરુદ્ધ બગાવત કરીને ‘ગ્લાસનોસ્ત’ તેમ જ ‘પેરિસ્ટ્રોઇકા’નાં હથિયારોથી સમાપ્ત કરી દીધો.
ભારતીય પ્રજાની પોતાની ખૂબી અને ખામી છે. તેને માટે એક તરફ ધર્મ એ નરથી નારાયણ સુધી પહોંચવાની વ્યક્તિગત ઉપાસના સીડી છે, બીજી તરફ ધર્મની વ્યાપક ભાવના રાજસિંહાસન સુધીની રાખી. જેમ કે, સંસારધર્મ, પિતાધર્મ, પુત્રધર્મ, સમાજધર્મ, નાગરિકધર્મ અને દેશધર્મ. આવું મિલન બીજે ભાગ્યે જ થયું છે. હા, તેનો ગેરલાભ કેટલાકે જરૂર ઊઠાવ્યો અને આજે ય ઊઠાવી રહ્યા છે. પણ તમે મોરારીબાપુ, રમેશભાઈ ઓઝા, કનકેશ્વરીદેવી, શ્રી શ્રી રવિશંકર, ઋતુંભરાદેવી, સત્યમિત્રાનંદ સ્વામી, બેંગલોરના સત્ય સાંઈબાબા, આચાર્ય તુલસી અને એવી બીજા સંતો - કથાકારો - ઉપદેશકો - ગુરુજનોની ‘પ્રવૃત્તિ’ તરફ નજર કરશો તો જણાઈ આવે કે તેમનામાં સમાજ ચૈતન્યનો આગ્રહ પડ્યો છે. માધવપ્રિયદાસજી ઇંગ્લેન્ડમાં ઘણી વાર આવે છે તેમનો પણ આવો જ અનુભવ સૌને થયો હશે.
સ્વામી કૃષ્ણાનંદજીનું સ્મરણ
ગુજરાત સાથે પણ જોડાયેલા એક સ્વર્ગસ્થ સ્વામી કૃષ્ણાનંદનું સ્મરણ થઈ આવે છે. દસેક વર્ષ પૂર્વે તેમનું દેહાવસાન થયું. વિશ્વ જ્યોતિ સંઘ ચલાવતા. નેપાળમાં રતાંધળા બાળકોની સારવાર કરી અને સમગ્ર દેશના ‘આંખે વાલા બાબા’ બની રહ્યા હતા. મોરિશિયસમાં દરેક ઘરમાં ગીતા-મહાભારત ગ્રંથો હોય જ છે તેનું શ્રેય કૃષ્ણાનંદ સ્વામીને જાય છે. જહાજ ભરીને તે ગ્રંથો ત્યાં લઈ ગયા, સૌની વચ્ચે જઈને બેઠા. મોરિશિયસ સરકાર તેમને ‘દેશના પ્રથમ પ્રતિનિધ’ જેટલું સન્માન આપતા! તેમનાં માનમાં ત્યાં ટપાલ ટિકિટ પણ બહાર પડી હતી.
સ્વામીને મળવાનું નિમિત્ત વડોદરામાં જ્યોતિ આશ્રમ ચલાવનારા દાદુભાઈ પટેલ બન્યા હતા. તેમણે પણ સેવા અને પ્રવાસમાં જિંદગી વિતાવી હતી. વિમલા તાઈએ ‘ગુજરાત બિરાદરી’ અને ‘અભિનવ ભારત’ને માર્ગદર્શન આપ્યું ત્યારે તેમાં તેઓ અમારી સાથે સામેલ હતા. સ્વામી કૃષ્ણાનંદ સાથેની બે કલાક - સાવ એકલા - થયેલી વાતોએ મને આ વ્યક્તિવિશેષના અદભૂત વિચારો અને કાર્યનો અંદાજ આવ્યો હતો. ‘હું ભગવાં ભલે પહેરું, પણ સાંગોપાંગ મારું ચિત્ત સમાજ પરિવર્તન ચાહે છે’ એમ તેમણે કહ્યું, પછી પત્રાચાર થતો રહ્યો. રાજસ્થાન - મધ્ય પ્રદેશના પ્રવાસમાં અને પછી કાયમ તેમની સાથે રહું એવો આગ્રહ હતો, પણ થોડાંક વર્ષોમાં તેમણે આંખો મીચી લીધી. આવી વ્યક્તિઓ સમાજ અને ધર્મને એકબીજાની સાથે નવાં સ્વરૂપે જોડતી રહે છે.
રાજકારણીઓઃ ‘જૂના’ અને ‘નવા’
ઉત્સવપ્રિય ગુજરાત હવે વળી પાછું પોતપોતાની પ્રવૃત્તિમાં ગરકાવ થવા માંડ્યું છે. રાજકારણીઓ - જૂના અને નવા-નો નકશો રસપ્રદ છે. પૂર્વ અધ્યક્ષ વજુભાઈ વાળા હવે કર્ણાટકના રાજ્યપાલ છે. કઈ ભાષામાં ત્યાં રમૂજ ફેલાવતી વાતો કરશે? કોની સાથે? યેદિયુરપ્પા તેમાં ફીટ બેસી શકે તેમ નથી!
નવા રાજકારણી-સમાજસેવી-ઉદ્યોગપતિ શોધવા પડશે. વજુભાઈ જે બેઠક પરથી લગાતાર ચૂંટણી જીતી આવતા હતા ત્યાં વિજય રૂપાણીએ મહેનતપૂર્વક બેઠકને જાળવી રાખી છે. સામે કડવા પટેલ અને સજ્જન રાજકીય ઉમેદવાર જયંતિલાલ કાલરિયા હતા, પણ પટેલોએ ભાવિ નકશો નજરમાં રાખ્યો ને ‘વિરુ’ની ‘જય’ સામે જીત થઈ. કેટલાકને ‘શોલે’ ફિલમનાં એ બે પાત્રો યાદ આવી ગયાં! ‘જૂના રાજકારણી’ઓ ભલે રોજેરોજ છાપામાં ન દેખાતા હોય કે ભાગ્યે જ કાર્યકર્તા તેને યાદ કરતો હોય, તેમનું ગુજરાતનાં રાજકારણમાં ઓછું પ્રદાન નથી.
હમણાં વડોદરામાં સનત મહેતાને મળવાનું થયું. સાથે કૃષ્ણકાંત વખારિઆ હતા. આ બે સમાજવાદીથી મારા અભિપ્રાયો થોડાક અલગ હતા, પણ એકંદરે દેશકારણની જે ચર્ચા થઈ તેનાથી મને, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તે સમયના કુલપતિ કમલેશ જોશીપુરાને કરેલું સૂચન યાદ આવી ગયું. મેં કહ્યું હતું કે રાજ્યશાસ્ત્ર-ઇતિહાસ-પત્રકારત્વ જેવા વિભાગો દ્વારા ‘ગુજરાતના ૧૯૪૭ પછીના રાજકીય આગેવાનો અને તેમના કાર્ય’ વિશે દસ્તાવેજી સંશોધન થવું જોઈએ. જે હજુ જીવિત છે તેમની તો રૂબરૂ મુલાકાત પણ રેકોર્ડેડ થઈ શકે.
કેટકેટલાં નામો...
ગુજરાતમાં સનત મહેતા તેમના અભ્યાસી સ્પિરિટ સાથે પ્રવૃત્ત છે. કોલમ પણ લખે છે, અને આંદોલનોમાં યે ભાગ લે છે. આ ‘સમાજવાદી બ્રાહ્મણ’ની રાજકીય શૈલી અનેક ઉતારચઢાવવાળી રહી છે. ‘ખામ’ થિયરીના તો તેમને પિતા માનવામાં આવ્યા હતા! એ જ ‘ખામ’ના પુરસ્કર્તા માધવસિંહ સોલંકી સંપૂર્ણ નિવૃત્તિનો આનંદ માણી રહ્યા છે. જનતા પક્ષના ઇન્દુલાલ પટેલનો રસ્તો એવો જ છે. કેશુભાઈ પટેલ પાસે લાંબી રાજકીય યાત્રાના સ્મરણો છે. ગુજરાતને મળેલા રાજકીય ચહેરાઓમાં ચીમનભાઈ શુક્લ, રસિકલાલ પરીખ, ઉછરંગરાય ઢેબર, નાનાભાઈ ભટ્ટ, રતુભાઈ અદાણી, સુબોધ મહેતા, ચંદ્રસિંહ ભાડવા દરબાર, ધ્રોળ ઠાકોર, જામ સાહેબ, બિહારીલાલ અંતાણી, હરીસિંહજી ગોહિલ, મકરંદ દેસાઈ, અરવિંદ મણિયાર, બાબુભાઈ જ. પટેલ, જયંતિ દલાલ, ઇન્દુલાલ યાજ્ઞિક, શામળદાસ ગાંધી, લવણપ્રસાદ શાહ, વજુભાઈ શાહ, વજુભાઈ શુકલ, ડો. અમુલ દેસાઈ, ચીમનભાઈ પટેલ, ડો. જીવરાજ મહેતા, બળવંતરાય મહેતા, હિતેન્દ્ર દેસાઈ... આ યાદી પણ અધુરી છે. એકથી બીજા છેડાના આ રાજકીય નેતાઓ વિશે સંશોધનાત્મક પ્રકાશન થાય તો યુનિવર્સિટીઓ સાચા અર્થમાં નામથી સાર્થક બને. નહિંતર ત્યાં, ઊડાઉ કુલપતિઓ અને માનસિક વિક્ષિપ્ત અધ્યાપકોની સંખ્યા વધી જશે! વિદ્યાની જગ્યા યુનિયનોની દાદાગીરી અને હડતાળો જ લેશે. સિંડિકેટ અને સેનેટ તેમ જ નબળા કુલપતિઓ (અપવાદ તેમાં યે છે.) ને લીધે ગુજરાતનાં ઉચ્ચ શિક્ષણમાં ઉકરડો ફેલાયો છે તેનું સ્વચ્છતા અભિયાન ચલાવવા જેવું છે.
ઓહ, ગાંધી વિદ્યાપીઠ!!
યુનિવર્સિટીઓની વાત નીકળી એટલે ગૂજરાત વિદ્યાપીઠના હોદ્દાની યે ચર્ચા કરવા જેવી છે. તેના કુલપતિ કોણ બને કુલનાયક કોણ હોય વગેરે વગેરે (આ ‘ગુરુ’, ‘નાયક’, ‘પતિ’ વગેરે શબ્દોથી ખાસ ભરમાવા જેવું નથી). ગાંધીજી, રાજેન્દ્ર પ્રસાદ વગેરે પણ આ સ્થાનોને શોભાવ્યું છે, હવે તો તે કર્મકાંડમાં ફેરવાઈ ગયું. રાજેન્દ્ર ખીમાણીએ કહ્યું કે પીઠના વડા તરીકે આવે તેણે આજીવન ખાદી પહેરી હોય તેવો નિયમ છે એ હવે કેટલોક વ્યવહારું ગણાય? ગોપાળકૃષ્ણ ગાંધીએ આ પદનો સવિનય અસ્વીકાર એટલે જ કર્યો હતો કે પોતે કંઈ જન્મજાત ખાદીધારી નથી!
હાલ વિદ્યાપીઠનો કારભાર સંભાળનારા સુદર્શન આયંગર અભ્યાસુ સમાજસેવી છે, પરંતુ પૂર્વગ્રહોનું પોટલું લઈને ફરે છે. પદવીદાન સમારોહમાં એવું જ ભાષણ ઠપકાર્યું હતું. પદવીપ્રાપ્ત એક વિદ્યાર્થી પૂછતાં પૂછતાં રહી ગયો કે સાહેબ, નવજીવનનાં પ્રકાશનમાં પૂંઠા પર ‘ચક્ર’ મુકાય તેને તમે ગાંધીજીની અહિંસાની ખિલાફ ગણાવ્યું હતું. આવું કઈ રીતે તે સમજાવશો? ચક્ર, સુદર્શન ચક્ર ચરખાનું ચક્ર... આ પ્રતીકોનો વૈચારિક વિતંડાવાદ વિદ્યાપીઠના વડાને શોભે?
પણ આ તો બાલમુકુંદ દવેની પંક્તિ જેવું છેઃ
અમે, બાપુ તણા પગલે
બધા એવા છીએ ચાલ્યા,
હવે બાપુ તણા પગનું
પગેરું શોધવું પડશે!