રે મજબૂરી....દીપાવલિના સપરમા દિવસોમાં

પત્ની તેમજ બે પુત્રીઅોની હત્યા બાદ પિતાએ આત્મહત્યા કરી?

Saturday 01st November 2014 14:43 EDT
 

બ્રેડફર્ડ નજીકના ક્લેયટન ખાતે રહેતા અને ગુજરાતના નવસારીના ગણદેવા ગામના મૂળ વતની જીતેન્દ્રભાઇ લાડ (ઉ.વ.૪૯) તેમના પત્ની દક્ષાબેન લાડ (ઉ.વ.૪૪), પુત્રી ત્રિશા (ઉ.વ.૧૯) અને નિશા (ઉ.વ. ૧૭) ગત સોમવાર તા. ૨૭-૧૦-૧૪ના રોજ રાત્રે પોતાના ઘરમાંથી મૃત હાલતમાં મળી આવતા સમગ્ર બ્રિટનમાં અેરેરાટી વ્યાપી ગઇ હતી. એવી શંકા સેવાય છે કે કોઇક ગંભીર કારણસર જીતેન્દ્રભાઇ લાડે પોતાની બે વ્હાલસોયી દિકરીઅો ત્રિશા અને નિશા તેમજ પત્ની દક્ષાબેનની હત્યા કરી હશે અને પછી જાતે જ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હશે. પોલીસે પ્રાથમિક તબક્કે હત્યાનો ગુનો નોંધી કેસ અંગે તપાસ આદરી છે અને વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે.

મળતી આધારભૂત માહિતી મુજબ દક્ષાબેનના પિતા જગજીવનભાઇએ દક્ષાબેન અને પરિવારજનોને શનિ-રવિ દરમિયાન વારંવાર ફોન કર્યા હતા પરંતુ કોઇ જવાબ ન મળતા તેઅો પડોશી મિત્ર સાથે દક્ષાબેનના ઘરની પોતાની પાસે રહેતી ચાવી લઇને દક્ષાબેનના ઘરે આવ્યા હતા. ચાવી દ્વારા ઘર ખોલીને નીચે તપાસ કરી હતી પરંતુ નીચે બધુ બરોબર જણાયું હતું પરંતુ ઉપરના માળે જઇને તપાસ કરતા ચારેય જણાના મૃતદેહ મળ્યા હતા. સોમવાર તા. ૨૭-૧૦-૧૪ના રોજ રાત્રે ૮-૩૧ કલાકે જાણ કરતા પોલીસ ઘટના સ્થળે ધસી આવી હતી. લાડ પરિવારના ઘરમાં તપાસ કરતા ઘરમાંથી પરિવારના ચારેય સદસ્યોના મૃતદેહ મળી આવ્યા હતા. સ્થાનિક પડોશીઅોના જણાવ્યા મુજબ તેમણે લાડ પરિવારના સભ્યોને છેલ્લે શુક્રવાર તા. ૨૪-૧૦-૧૪ના નૂતન વર્ષના રોજ જોયા હતા. પોલીસે તુરંત જ સ્થાનિક ફોરેન્સિક નિષ્ણાંતોની મદદ લઇ તપાસ આદરી હતી અને મોતનું ચોક્કસ કારણ જાણવા માટે ચારેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પોલીસે આ હત્યા અંગે અન્ય કોઇ ઉપર શંકા ન હોવાનું જાહેર કર્યું છે.

જીતેન્દ્રભાઇ લાડ મૂળ નવસારી જીલ્લાના ગણદેવા ગામના વતની છે અને તેમના પત્ની દક્ષાબેન સુરત જીલ્લાના પલસાણા નજીકના ટૂંડી ગામના વતની હોવાનું જાણવા મળ્યું છે. જીતેન્દ્રભાઇ બ્રેડફર્ડ કાઉન્સિલમાં કંટ્રોલ એન્ડ પેયમેન્ટ સ્પેશ્યાલીસ્ટ તરીકે કામ કરતા હતા. દક્ષાબેન પણ બ્રેડફર્ડ કાઉન્સિલમાં કામ કરતા હતા. તેમની મોટી દિકરી ત્રિશાએ બ્રેડફર્ડની થોર્નટન ગ્રામર સ્કૂલમાંથી એ-લેવલનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને હાલમાં લીડ્ઝ યુનિવર્સીટીમાં મેડિકલ બાયોકેમેસ્ટ્રી વિદ્યાશખામાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. જ્યારે નાની દિકરી નિશાએ તાજેતરમાં જ થોર્નટન ગ્રામર સ્કૂલમાંથી GCSEનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.

જીતેન્દ્રભાઇના પિતાનું મગનભાઇ નારણભાઇ લાડ અને માતાનું નામ રતનબેન લાડ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે દક્ષાબેનના પિતાનું નામ જગજીવનભાઇ જીવણભાઇ લાડ અને માતાનું નામ સવિતાબેન લાડ હોવાનું જાણવા મળ્યું છે. બન્નેના પરિવારજનો બ્રેડફર્ડમાં જ રહે છે. નૂતન વર્ષના દિવસે લાડ દંપત્તિએ પોતાના પરિવારજનો અને સ્વજનોની મુલાકાત પણ લીધી હતી અને મોડેથી ઘરે પરત થયા હતા.

જીતેન્દ્રભાઇ લાડના ફેસબુક એકાઉન્ટ પરથી મળતી માહિતી મુજબ તેમણે ગ્રેન્જ ટેક્નોલોજી કોલેજમાંથી સેકન્ડરી શિક્ષણ અને લાફબરો યુનિવર્સટીમાંથી કોલેજનું શિક્ષણ મેળવ્યું હતું અને આઇટી ક્ષેત્રમાં સેવા આપતા હતા. તેઅો 'અોશન ડાઇવર' તરીકે પણ ક્વોલીફાઇડ હતા. દક્ષાબેનના ફેસબુક એકાઉન્ટ પરથી મળતી માહિતી મુજબ તેમણે સટન હાઇસ્કૂલ, સેન્ટ હેલન્સ અને બટરશો બિઝનેસ એન્ડ એન્ટરપ્રાઇઝ કોલેજમાંથી અભ્યાસ કર્યો હતો. ખૂબજ નાની ઉંમરે મોતને ભેટેલા દક્ષાબેને પોતાના ફેસબુકમાં ખૂબજ સુંદર વાક્ય ટાંક્યું હતું 'વર્ક હાર્ડ એન્ડ એન્જોય લાઇફ, યુ અોનલી હેવ વન ચાન્સ'.

આનંદથી રહેતા દક્ષાબેન અને જીતુભાઇએ તાજેતરમાં જ નવું વિશાળ ઘર અને નવી કાર ખરીદી હોવાની માહિતી મળી છે. તેમના પરિવારજનો પણ નજીકમાં જ રહેતા હતા. દિકરીઅોનું શિક્ષણ અને બન્નેની નોકરી પણ સારી હતી. આવી હાલતમાં આવો ગોઝારો બનાવ કયા કારણે બન્યો તે સમજાઇ શકતું નથી. પડોશીઅોએ મીડીયાને જણાવ્યું હતું કે લાડ દંપત્તી લગભગ આઠેક વર્ષ પહેલા જ કલ-ડી-શેકના ડીટેચ્ડ હાઉસમાં રહેવા આવ્યાં હતાં પરંતુ તેઅો છેલ્લા ૨૦ વર્ષથી ક્લેયટનમાં રહેતા હતા અને ખૂબજ પ્રેમાળ પરિવાર હતો. તાજેતરમાં તેમણે દીપાવલિ પર્વની ઉજવણી પણ કરી હતી.

ત્રિશાની મિત્ર જેસિકા ગારસાઇડે જણાવ્યું હતું કે 'ત્રિશા ખૂબજ પ્રેમાળ હતી અને હંમેશા તેના ચહેરા પર તેજસ્વી સ્મિત રમતુ રહેતું હતું. તે હંમેશા ખુશ જણાતી અને શાળામાં પણ મળતી ત્યારે હંમેશા મારા ખબરઅંતર પૂછતી. તેને સાયન્સ વિષય ખૂબજ પસંદ હતો. આ આઘાતજનક બનાવથી મને ખૂબજ શોક લાગ્યો છે અને હજુ મને લાગે છે કે જાણે હું કોઇ દિવસ બસ સ્ટોપ તરફ જતી હોઇશ ત્યારે તે ત્યાં મને મળી જશે.'

લાડ પરિવારના અન્ય પડોશી જમશેદ મલીકે જણાવ્યું હતું કે 'લાડ દંપત્તી ખૂબજ સરસ પડોશી હતા અને તેમના બાળકો હંમેશા હસતા ખેલતા હતા. બ્રેડફર્ડ કાઉન્સિલના નેતા ડેવિડ ગ્રીને જણાવ્યું હતું કે લાડ દંપત્તીના કરૂણ મોતને પગલે અમારા કાઉન્સિલર્સ અને સહયોગી કર્મચારીઅો ઘેરા શોકની લાગણી અનુભવી રહ્યા છે.


    comments powered by Disqus