અત્યાર સુધી તે બેન્ક એકાઉન્ટમાંથી ૩૦૦૦ પાઉન્ડની મર્યાદામાં જ કર-લેણાં વસૂલ કરી શકતી હતી. અલબત્ત, બાકી કર વસૂલવા માટેની આ મર્યાદા કમાણીના સ્તર અનુસાર અલગ અલગ હશે. HMRC સત્તાવાળાઓ કરન્ટ અને જોઈન્ટ એકાઉન્ટ્સ અથવા તો ઇન્ડિવિડ્યુઅલ સેવિંગ્સ એકાઉન્ટ્સ (ISA)માંથી સીધાં જ નાણાં મેળવી શકશે. જે કરદાતાના ઓછામાં ઓછાં ૧૦૦૦ પાઉન્ડ લેણાં હશે અથવા તો HMRC દ્વારા ચાર વખત કરદાતાનો સંપર્ક કરાયો હશે તો તેવા કિસ્સામાં પહેલા પગલાં લેવાશે.
જે લોકોએ ઈન્કમ ટેક્સ, કેપિટલ ગેઈન ટેક્સ અથવા નેશનલ ઈન્સ્યુરન્સના હિસ્સાની રકમ ઓછી ભરી હશે તેમના સામે આ સુધારો અમલી બનશે. ચાન્સેલર ઓસ્બોર્ને જાહેર કરેલા સંખ્યાબંધ પગલાંથી કરવિભાગને અબજો પાઉન્ડ મળશે તેમ મનાય છે. સરકારના દેવાની સીધી વસૂલાતના આ વિવાદી પગલાંથી કોર્ટમાં ગયાં વિના જ HMRC બેન્ક એકાઉન્ટ અને બિલ્ડિંગ સોસાયટી એકાઉન્ટ્સમાંથી બાકી વેરાની વસૂલાત કરી શકશે.
ઔદ્યોગિક સંસ્થાઓએ આવાં પગલાને મનસ્વી અને સામંતશાહી ગણાવ્યું છે, જ્યારે અન્ય લોકોએ HMRCનું વર્તન જજ, જ્યૂરી અને જલ્લાદ જેવું હોવાનું ગણાવ્યું છે.
લિન હોમરના નેતૃત્વ હેઠળના HMRC પાસે બાકી કરનાં નાણાં વસૂલવા માટે છેક ૧૯૪૪થી રોકડ પગારો જપ્ત કરવાની સત્તા છે. જોકે કર સત્તાવાળા ભારપૂર્વક કહે છે કે કોઈ પણ લેવાનારી રકમ ૧૨ માસિક હપ્તામાં હશે.
આ મહિનાથી સરકારના ‘એક્સીલરેટેડ પેમેન્ટ’ નિયમો અમલી થશે. જેના પરિણામે કોર્ટની કેસની સુનાવણી પહેલાં જ બિઝનેસીસ અને વ્યક્તિઓએ વિવાદી ટેક્સની રકમ ચૂકવવાની ફરજ પડશે.