પરંતુ શું આ સાચું છે? ના. વિશ્લેષકો આનાથી તદ્દન વિરોધી મત ધરાવે છે. તેઓ કહે છે કે નરી આંખે દેખાતા તથ્યોના બદલે, ન દેખાતાં તથ્યોને સમય, સંજોગ અને પ્રવર્તમાન વૈશ્વિક માહોલની એરણે ચકાસશો તો જણાશે કે ભલે ધીમી ગતિએ, પણ ભાજપ સરકારે દેશનું સુકાન સંભાળ્યા બાદ વિદેશી સંબંધોના સમીકરણો ધરમૂળથી બદલાઇ રહ્યા છે. પડોશી દેશો નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, ભૂતાન સાથેના સંબંધો ઘનિષ્ઠ બન્યા છે તે સહુએ સ્વીકારવું રહ્યું. અને રહી વાત પાકિસ્તાન અને ચીનની... તો આ બન્ને દેશને તેમની ભાષામાં ‘પાઠ’ ભણાવાઇ રહ્યા છે. જેમ કે, પાકિસ્તાને છેલ્લાં કેટલાંક મહિનાઓમાં સરહદી ક્ષેત્રમાં અનેક વખત યુદ્ધવિરામનો ભંગ કર્યો છે તે સાચું, પણ ભારતીય સેનાએ દરેક વખતે - ભૂતકાળથી વિપરિત - જડતાબોડ જવાબ આપ્યો છે. સંરક્ષણ નિષ્ણાતો પણ સ્વીકારે છે કે છેલ્લાં થોડાંક મહિનાઓમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને આક્રમક પ્રતિભાવ આપ્યો છે. થોડાક સમય પૂર્વે, પાકિસ્તાની સેનાના છમકલાંથી, સરહદી ક્ષેત્રમાં ભારે તનાવ પ્રવર્તતો હતો ત્યારે સંરક્ષણ પ્રધાન અરુણ જેટલીએ તો સત્તાવાર નિવેદન કર્યું હતું કે પાકિસ્તાની સેનાને તેની જ ભાષામાં જવાબ આપવા ભારતીય સેનાને સ્પષ્ટ આદેશ અપાયા છે. ભારતે નજીકના ભૂતકાળમાં તો ક્યારેય આટલું આકરું વલણ અપનાવ્યું નથી એ તો કદાચ ટીકાકારો પણ સ્વીકારશે.
ભારત સરકારની પૂર્વાભિમુખ નીતિમાં પણ બદલાવના સંકેત દેખાય છે. એકાદ મહિનાના ઘટનાક્રમ પર નજર ફેરવશો તો જણાશે કે અત્યાર સુધી મોટા ભાગે ચીનના વાંધાવિરોધને ધ્યાને લેતાં રહેલાં ભારતે હવે તેની (ધમકીરૂપ) ચેતવણીને ગંભીરતાથી લેવાનું વલણ બદલ્યું છે. જેમ કે, ગયા સપ્તાહે વિયેતનામના વડા પ્રધાનના ભારત પ્રવાસ દરમિયાન વેપાર-સંરક્ષણ સહિતના ક્ષેત્રે સાત દ્વિપક્ષી સમજૂતી કરારો થયા. જેમાં દક્ષિણ ચીન સાગરમાં આવેલા વિયેતનામ હસ્તકના બે ઓઇલ કૂવા ડ્રિલીંગ માટે ભારતની ઓએનજીસીને સોંપવાનો પણ સમાવેશ થાય છે. તો ભારતે વિયેતનામને દરિયાઇ પેટ્રોલિંગ જહાજ આપવાનું જાહેર કર્યું છે. ચીને સમજૂતી પૂર્વે જ તીવ્ર નારાજગી વ્યક્ત કરી હતી, પણ ભારત કે વિયેતનામ તેને ગણકારી નથી. લગભગ આ જ અરસામાં ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના જવાનોએ તેમની (કુ)ટેવ અનુસાર લેહ-લદ્દાખના પેગોંગ ઝીલ ક્ષેત્રમાંથી જળ- જમીન એમ બન્ને માર્ગે ભારતીય સીમામાં ઘુસણખોરી કરી. ચીની સૈનિકો પાંચેક કિલોમીટર ભારતીય પ્રદેશમાં ઘુસી ગયા હતા, પણ ભારતીય સેનાએ આ વખતે મૂક સાક્ષી બની રહેવાના બદલે તેમને આગળ વધતાં અટકાવ્યા. એટલું જ નહીં, તેમને પાછા ખદેડ્યા. એકદમ તાજું ઉદાહરણ જોઇએ તો, ભારતે અરુણાચલ પ્રદેશના તવાંગમાં માગો-થિંગ્બુથી ચાંગલાંગ જિલ્લા સુધી પાકા રસ્તા બનાવવાનું શરૂ કર્યું કે તરત ચીને નિવેદન કર્યું કે - અમને આશા છે કે ભારત આ ક્ષેત્રમાં કોઇ પણ જાતનું નિર્માણકાર્ય નહીં કરે અને મતભેદ વકરે તેવું કોઇ પગલું નહીં ભરે. પણ ભારતના વિદેશ રાજ્યપ્રધાન કિરેન રિજ્જુએ તેમની આશા પર પાણી ફેરવતાં સ્પષ્ટ કર્યું છે કે આ ભારતીય પ્રદેશ છે અને તેમાં કોઇ પણ જાતનું નિર્માણકાર્ય કરતાં કોઇ દેશ અમને અટકાવી શકશે નહીં. ભારત પોતાની હદમાં કેટલીક માળખાકીય સુવિધાનું નિર્માણ કરશે જ, જે છેલ્લા ૬૦ વર્ષમાં થઇ શકી નથી.
ભારતનું આ વલણ દર્શાવે છે કે તે પડોશી દેશો સારા-સૌહાર્દપૂર્ણ સંબંધો જરૂર ઇચ્છે છે, પણ સ્વહિતના ભોગે નહીં. ભારતે દરેક પડોશી દેશ સામે મિત્રતાનો હાથ લંબાવ્યો છે, તો સાથોસાથ મિત્રતાના ઓઠા તળે પીઠમાં ખંજર ભોંકવાની ફિરાકમાં રહેતા પાકિસ્તાન અને ચીનને સાનમાં સમજાવ્યું પણ છે કે ભારતના મૌનને નબળાઇ માની લેવાની ભૂલ કરતા નહીં.
