સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી (યુકે)એ મનોમંથન કરવાની જરૂર

Saturday 08th November 2014 12:49 EST
 

તા. ૧૧ અોક્ટોબર, ૨૦૧૪ના 'એશિયન વોઈસ'માં સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી (યુકે) વિશે કેટલાક નકારાત્મક સમાચાર વાંચીને હું ઘણી વ્યગ્રતા અનુભવું છું. સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી (યુકે) જેવી સંસ્થા કેવી રીતે કરોડરજ્જુ વિનાની ધંગધડા વગરની સરકારની માફક વર્તન કરી શકે તે મને સમજાતું નથી. કોઈ પણ ન્યાયી વિચારધારાની વ્યક્તિ યોગ્ય નોટિસ અને સંબંધિત વ્યક્તિને વ્યક્તિગત અથવા પ્રતિનિધિ મારફત ખુલાસો કરવાની પૂરતી તક આપ્યા વિના જ મનસ્વીપણે તેનું સભ્યપદ રદ કરી શકે?

દિવંગત સરદાર વલ્લભભાઈ પટેલ ૧૯૪૭માં ભારતના વિભાજન સમયે વિવિધ ભારતીય રજવાડાઓને ભારતીય સંઘમાં લાવવાના શ્રેષ્ઠ કૌશલ્ય દાખવવા બદલ મહાન ગણાય છે. બીજી તરફ ૨૦૧૪માં ઈંગ્લેન્ડમાં તેમના મહાન કાર્યનું અનુસરણ કરવા રચાયેલી સંસ્થા તદ્દન વિપરીત કામગીરી કરી રહી છે. બીન ભારતીયો અને ખુદ ઘણા ભારતીયો પણ આપણી હાંસી ઉડાવે તેમાં કોઈ શંકા નથી.

શ્રી સી.બી. પટેલનું સભ્યપદ રદ કરવાની તરફેણમાં મત આપનારાઓમાં જયંતી પટેલનો પણ સમાવેશ થાય છે. મારા માનવા અનુસાર તેઓ જયંતી ફૂલાભાઈ પટેલ છે, જેઓ યુકેમાં હિન્દુ સ્વયંસેવક સંઘમાં અતિ વરિષ્ઠ વ્યક્તિ છે. જો આ સત્ય હોય તો હિન્દુ સમુદાય માટે આ ઘણા ખરાબ સમાચાર છે. ડો. કેશવરાવ બલિરામ હેડગેવારે હિન્દુઓની એકતા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની સ્થાપના કરી હતી. કદાચ આ કિસ્સામાં જયંતી ફૂલાભાઈ પટેલ RSS / HSSને બરાબર સમજ્યા નથી અથવા તેનાથી વિપરીત પણ હોઈ શકે.

સરદાર પટેલને ભારતના લોહપુરુષ માનવામાં આવે છે. સરદાર પટેલ મેમોરિયલ સોસાયટીના પદાધિકારીઓના કાર્યથી એટલું તો સ્પષ્ટ થાય છે કે તેમાંના કોઈ ભારતના આ મહાન નેતાનો આ ગુણ ધરાવતા નથી. સરદાર પટેલ મેમોરિયલ સોસાયટીએ મનોમંથન કરવાની જરૂર છે.

- ચુની ચાવડા, બ્રેન્ટ

000000000

યુકેમાં ગુજરાતીઓ માટે સી.બી. ખુદ એક સંસ્થા છે

'એશિયન વોઈસ'ના તા. ૧૧ ઓક્ટોબરના અંકમાં ‘સરદારે કેવો પ્રત્યાઘાત આપ્યો હોત?’ લેખના પ્રતિસાદમાં મારે એ જણાવવું છે કે આ પ્રશ્નનો મારી પાસે કોઈ ઉત્તર નથી. મારો પ્રત્યાઘાત એ છે કે મૂઠી ઊંચેરા માનવી શ્રી સી.બી.પટેલને સંસ્થામાંથી દૂર કરવામાં આવ્યાનું જાણતા મને ઘણું જ દુઃખ થયું છે. મેં ઘણા પ્રસંગોએ મારા પ્રવચનોમાં કહ્યું છે કે યુકેમાં ગુજરાતીઓ માટે સી.બી. ખુદ એક સંસ્થા છે.

હું સરદાર પટેલ મેમોરિયલ સોસાયટીનો આજીવન સભ્ય અને પૂર્વ ટ્રસ્ટી છું. શ્રી પ્રવીણ અમીન, સી.બી., શ્રી ભાનુભાઈ પંડ્યા (વી.પી.) સાથે કામ કરવાનું મને સદ્ભાગ્ય સાંપડ્યું છે. મારે હાઈ કમિશન ખાતે ભારતના નાયબ વડા પ્રધાનના હસ્તે સરદારની પ્રતિમાની સ્થાપના, ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન શ્રી કેશુભાઈ પટેલના મુખ્ય મહેમાનપદે હાઉસ ઓફ કોમન્સમાં ઊજવણી, વર્તમાન વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ દ્વારા ચોક્કસ વિષય (જો સરદાર ન હોત તો) પર સંબોધન સહિતના ખાસ મહત્ત્વના કાર્યક્રમોનો ઉલ્લેખ કરવો જ રહ્યો. આ ઉપરાંત, પૂજનીય જશભાઈ સાહેબજીનું સરદાર વિશે પ્રેરણાદાયી પ્રવચન પણ યોજાયું હતું. આ બધામાં સી.બી.એ મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાનું મને બરાબર યાદ છે.

૧૦ પાઉન્ડની ટિકિટના વેચાણ સિવાય ભાગ્યે જ કોઈ કાર્યક્રમ આપનારા વર્તમાન વહીવટદારે ગાદી સંભાળી તે અગાઉS.P.M.Sના ભવ્ય પ્રસંગોની સફળ ગાથાને ધ્યાનમાં લેતા કોઈને પણ ભારે આઘાત લાગે. મારે સૌ વાચકોનું ધ્યાન દોરવું જોઈએ કે ઉપરોક્ત કાર્યક્રમો વિશે કોઈ પ્રકારના આક્ષેપો થયાં નથી.

મારા મત અનુસાર પ્રમુખે અને તેમની કમિટીએ નવા કે જૂના બંધારણની કઈ જોગવાઈ અન્વયે આવો અનાવશ્યક વિભાજનકારી નિર્ણય લીધો છે તેનો ઉત્તર સી.બી.પટેલને આપવો જ જોઈએ. જો સી.બી.એ બેજવાબદારપણે કશું ખોટું કર્યું હોય તો તેમને શો કોઝ નોટિસ પણ અપાવી જોઈએ. તેમની કમિટીના સભ્યો વિશે કશું પ્રકાશિત ન કરવું કે તસવીરો પ્રગટ ન કરવાની બાબત ઉચ્ચ પ્રામાણિકતા ધરાવતી વ્યક્તિની કઠોર અવમાનના માટે યોગ્ય ન જ ગણાય. હું આશા રાખું કે સૌ સારા વાના થાય અને જયંતીભાઈ પટેલ અને જીતુભાઈ જેવા વર્તમાન ટ્રસ્ટીઓ આ મડાગાંઠને ઉકેલવા આગળ આવશે.

- લાલુભાઈ પારેખ, નોર્થ લંડન.

000000000

સી.બી.ને કોઇ જશ ખાટવો નથી!

'ગુજરાત સમાચાર'માં મેં વાચ્યું કે સરદાર પટેલ મેમોરીયલ સોસાયટીના સ્થાપક સભ્યપદેથી શ્રી સી.બી. પટેલને હટાવી દેવાયા છે. વિચારણા અને વિશ્લેષણના મધ્યસ્થાને મુદ્દો એ છે કે સંસ્થાના વહીવટી માળખામાં સી.બી. કોઈ જ હોદ્દો ધરાવતા નથી. આમ છતાં ગેરબંધારણીય રીત રસમથી તરાપ મારીને શ્રી પી.જી. પટેલ કયો હિસાબ સરભર કરવા માંગે છે તે સમજાતું નથી.

છેલ્લા ૨૭ વર્ષથી શ્રી સી.બી. પટેલને હું ઓળખું છું. 'ગુજરાત સમાચાર'માં હંમેશા સાચું અને સારું કાર્ય કરનારાઓને મહત્ત્વ આપીને સંસ્થાઓને વધુ મજબૂત બનાવી છે. તો દંભી નેતાગીરી કરનારાઓને છોડ્યા પણ નથી.

લેચમોરહિથ (વોટફોર્ડ) હરેકૃષ્ણ મંદિર ઉપર જોખમ ઊભું થયું ત્યારે આંદોલનનું નેતૃત્વ સી.બી.એ ઉપાડી લીધું હતું. પાર્લામેન્ટ સામેના દેખાવો વખતે બ્રિટનભરના હિન્દુઓ ઉમટી પડ્યા હતા. વેલિંગબરોથી હું પણ એક કોચનું નેતૃત્વ કરીને ૫૦ જણાને સાથે લઇને આવ્યો છું અને અમે એ આ આંદોલનમાં ભાગ લીધો હતો. ત્યારે દરેક ઘટનાને મૂલવવાની સી.બી.ની દૃષ્ટિ જોઈને સૌ કોઈ પ્રભાવિત થયા હતા.

સી.બી. પાસે બધું છે, તેમને કોઈ જશ ખાટવો નથી કે કોઈ મહત્વાકાંક્ષા સિદ્ધ કરવી નથી.

- જગદીશ ગણાત્રા, વેલિંગબરો

૦૦૦૦૦

SPMS-Charcha-8-11-KR


    comments powered by Disqus