મોદીના ગ્રહો વિજય ભણી આગેકૂચ કરવામાં મદદરૂપ થતા જણાય છે. ઝારખંડ તો ભાજપને હવાલે થશે એ નિર્વિવાદ છે, પણ જમ્મુ-કાશ્મીરમાં ભાજપની સરકાર રચાય એ દિશામાં મોદી વ્યૂહ ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં આવનારાં પરિણામો થકી ચોંકાવી દે તો નવાઈ નહીં. એક અર્થમાં મોદીનું ઈન્દિરાકરણ થયાનું સમગ્ર દેશ અનુભવી રહ્યો છે.
હરિયાણામાં ભાજપની પૂર્ણ બહુમતી સાથે સરકાર રચાઈ, પણ મહારાષ્ટ્રમાં ૧૯૮૪થી મિત્રપક્ષ રહેલી શિવ સેનાને એનું સ્થાન બતાવી દીધા પછી ઉપકાર કરતા હોય એ રીતે મોદીવ્યૂહે પ્રધાનપદના થોડાં લટકાં નાંખ્યાં. ચોટલી તો મારા હાથમાં જ છે એ વાતની પોતાના પક્ષના મહારથી લેખાનારા મહાનુભાવોને પ્રતીતિ કરાવ્યા પછી મોદીએ મિત્રપક્ષોનો ય વારો કાઢી લઈને ભાજપ જ એકલપંડે શાસન કરવા જ નહીં, વિશ્વગુરુ બનવા સર્વશક્તિમાન હોવાનું સૌને અનુભવ કરાવી દેવાનું નિર્ધારિત કર્યું છે. અલગાવવાદ અને આતંકવાદગ્રસ્ત જમ્મુ-કાશ્મીરને મોદી ભાજપસ્વરૂપે નવો વિકલ્પ આપવા પ્રતિબદ્ધ છે.
જમ્મુ-કાશ્મીર ભાજપને માટે કાયમ લાગણી સંબંધ ધરાવતું રહ્યું છે. ભાજપના પૂર્વાશ્રમી અવતાર જનસંઘની સ્થાપના કરનાર ડો. શ્યામા પ્રસાદ મુખરજીની શહાદત કાશ્મીરને મુખ્ય ધારામાં ભેળવવાના સંકલ્પ સાથે થઈ હતી. હિંદુ મહાસભાના અધ્યક્ષ રહેલા ડો. મુખરજી ક્યારેક બંગાળમાં (૧૯૪૨) માર્ચ ૧૯૪૦માં મળેલા મુસ્લિમ લીગના અધિવેશનમાં પાકિસ્તાનનો ઠરાવ રજૂ કરનાર ફઝબુલ હકની સરકારમાં પ્રધાન રહ્યા હતા.
મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભાની સંયુક્ત સરકારોના કલ્પી ના શકાય એવી ઘટના ગણાય, છતાં સિંધ, પંજાબ અને બંગાળમાં હિંદુ-મુસ્લિમના ભેદ ભૂલીને સત્તાને કાજે સહશયન કરવામાં હિંદુ મહાસભા અને મુસ્લિમ લીગના આગેવાનો હતા એ નક્કર હકીકત છે. એમ તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૮ ડિસેમ્બરે શ્રીનગરના શેર-એ-કશ્મીર સ્ટેડિયમ પર ચૂંટણીસભા સંબોધને જેમને પગલે ચાલવા માટે તેમના ‘ઈન્સાનિયત, જહૂરિયત અને કાશ્મિરિયત’ના કોલને યાદ કર્યો એ ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની સરકારમાં અત્યારના જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન અને શેર-એ-કશ્મીર શેખ અબ્દુલ્લાના પૌત્ર ઓમર અબ્દુલ્લા વિદેશ રાજ્ય પ્રધાન હતા.
એ વેળા લોકતાંત્રિક રાષ્ટ્રીય મોરચા (એનડીએ)ની વાજપેયી સરકારના સાથી તરીકે શેખ અબ્દુલ્લાના પુત્ર ડો. ફારુક અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન હતા. ‘શેર હમારા મારા હૈ, શેખ અબ્દુલ્લાને મારા હૈ’ કહીને ડો. મુખરજી હત્યા પ્રકરણમાં નેહરુના અંતરંગ મિત્ર અબ્દુલ્લાનો હાથ હોવાનું સંઘ-જનસંઘ-ભાજપનું સૂત્ર હવે ભૂતકાળની ગર્તામાં વિલીન થઈ ગયું છે. પક્ષનો પ્રભાવ વિસ્તારવા માટે સવારે કોંગ્રેસ કે અન્ય પક્ષમાં હોય એવી વ્યક્તિઓને પણ ભાજપમાં લાવીને સાંજે લોકસભા કે વિધાનસભાની ટિકિટો આપીને વિજયપતાકા લહેરાવાના અંતિમ લક્ષ્યને મોદી-અમિત શાહની જોડી રાષ્ટ્રીય કક્ષાએ સર કરી રહી છે.
જમ્મુ-કાશ્મીરની પાંચ તબક્કાની ચૂંટણીમાં ભાજના મુસ્લિમ ઉમેદવારોની યાદી ભણીની એક નજર કરતાં આ વાતની પ્રતીતિ થયા વિના રહેતી નથી. એવું જ કાંઈક જમ્મુ-કાશ્મીને અલગ દરજ્જો બક્ષતી બંધારણની કલમ ૩૭૦ને દૂર કરવા સંદર્ભે ભાજપની પરંપરાગત નીતિમાં આવેલા યુ-ટર્નનું છે. જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં બે-તૃતીયાંશ બહુમતી સાથે જ આ કલમને દૂર કરી શકાય. એવા સંજોગોમાં ભાજપે એ વિશે મૂકપ્રેક્ષક બની રહેવાનું અને અબદુલ્લાની નેશનલ કોન્ફરન્સ (એનસી) અને મુફ્તી મોહમદ સઈદની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ને એ વિશે ચૂંટણીલક્ષી નિવેદનો કરવાની મોકળાશ કરી આપીને મોદીએ મૌન રહેવાનું પસંદ કર્યું છે.
જમ્મુ-કાશ્મીરની સાથે લડાખ એ પ્રદેશમાં પણ ભાજપનો પ્રભાવ વધે એ દિશામાં સંઘ-ભાજપ ઘણા વખતથી પ્રયત્ન કરતા રહ્યા છે. ૩૭૦ની કલમ જમ્મુ-કાશ્મીરના લોકો માટે લાગણીનો સંબંધ ધરાવે છે અને ક્યારેક સંસદમાં ‘ઘિસતે ઘિસતે ઘિસ જાયેગી’ એવું નિવેદન કરનાર પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ વિદેશ હતા ત્યારે બંધારણ સભામાં સરદાર વલ્લભભાઈ પટેલ જેવા કોંગ્રેસના સૌથી મજબૂત નેતા અને નાયબ વડા પ્રધાનના સહયોગથી ૩૭૦ની કલમ થકી જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો મળ્યો હોવાની વાત બહુ ઓછાને યાદ રહે છે.
નેહરુના મિત્ર શેખ અબ્દુલ્લા થકી જમ્મુ-કાશ્મીર ભારતમાં જોડાયું એ વાતને પણ વિસારે પડાય છે. કારણ મહારાજા હરિ સિંહને તો સ્વતંત્ર જમ્મુ-કાશ્મીર દેશ ખપતો હતો. શેખ અબદુલ્લા સૌથી લોકપ્રિય જનનેતા હતા. તેમણે ઝીણાની વ્યૂહરચનાને નિષ્ફળ બનાવી અને કબાઈલી હુમલાખોરો બારામુલ્લા સુધી આવી પહોંચ્યા ત્યારે મહારાજા હરિ સિંહને ભારત સાથે જોડાઈને બચવા માટે વિવશ કર્યા હતા. સરદાર પટેલે જોડાણ વખતે એરોડ્રામ પર પહોંચતાં જ દિલ્હીથી લશ્કરી વિમાનોનો કાફલો જમ્મુ-કાશ્મીરને પાઠવ્યો. એટલે અત્યારનું રહ્યું-સહ્યું પચાસ ટકા જેટલું જમ્મુ-કાશ્મીર ભારત કને બચ્યું.
સરદાર પટેલના નિર્વાણ દિન (૧૫ ડિસેમ્બર) ટાણે જમ્મુ-કાશ્મીર સાથેના એમના સંબંધ અને યોગદાનને યાદ કરવું પડે. તત્કાલીન વડા પ્રધાન નેહરુએ સરદાર રિયાસતી બાબતોના પ્રધાન હોવા છતાં તેમને કાશ્મીર અંગે દૂર રાખવાનો પ્રયાસ કર્યો એનાં વિષફળ આજેય આપણે ભોગવી રહ્યાં છીએ, અન્યથા સરદાર પટેલે હૈદરાબાદ અને જૂનાગઢને જે રીતે ભારતની મુખ્ય ધારામાં જોડ્યું, એવું જ જમ્મુ-કાશ્મીરને વિશે કરી શક્યા હોત. હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતે સરદારના એ અધૂરા સ્વપ્નને પૂર્ણ કરવા ભણી આગળ વધી રહ્યા છે, ત્યારે ઘણું મોડું ભલે થયું હોય, કશું અશક્ય નથી.
ઈતિહાસ કડવો હોય છે. જમ્મુ-કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે છતાં ક્યારેક પ્રથમ ભારતીય ગવર્નર-જનરલ સી. રાજગોપાલાચારી જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાનને સોંપી દેવાના પક્ષધર હતા. એમ તો ડો. બાબાસાહેબ આંબેડકર પણ આઝાદી પછી પહેલી ચૂંટણીમાંય કાશ્મીર ખીણપ્રદેશ પાકિસ્તાનને હવાલે કરવાના આગ્રહી હતા. ઈતિહાસની આ હકીકતો વચ્ચે નરેન્દ્રભાઈ જમ્મુ-કાશ્મીરને દેશની મુખ્યધારામાં લાવે એવી અપેક્ષા કરીએ.