ઉત્સવપ્રિય ગુજરાત
જાન્યુઆરી મહિનાને હવે બહુ વાર નથી, ખાસ કરીને ‘વાયબ્રન્ટ સમિટ’ તેમ જ ‘ભારતીય પ્રવાસી દિવસ’ની ઊજવણીમાં રોકાયેલી સરકાર માટે! દિલ્હી-જયપુરમાં ઊજવાતા ભારતીય પ્રવાસી દિવસનો આ સમયે ગાંધીનગરમાં સમારંભ થશે. વડા પ્રધાન તેમાં અને વાયબ્રન્ટ સમિટમાં અચૂક હાજર રહેવાના છે. આ એક વૈશ્વિક મેળાવડો થશે એટલે દુનિયાના મીડિયા મહેતાબોની યે હાજરી રહેશે. એકંદરે ગાંધીનું ‘મહાત્મા મંદિર’ ત્રણ-પાંચ દિવસ સુધી ગાજતું-ગરજતું રહેવાનું છે. એક વિદેશી પત્રકારમિત્રે મજાકમાં મને કહ્યું કે આપણે ગુજરાતને ‘ઉત્સવભૂમિ’ નામ આપીએ તો? મને જવાબ આપવાનું મન થઈ ગયું કે અગાઉ દેશમાં અને અન્યત્ર ગુજરાતને ‘હત્યારો પ્રદેશ’, ‘રમખાણીયા ગુજરાત’, ‘અસલામત પ્રદેશ’ વગેરે નામે ઓળખાવતા હતા, તેનાથી તો આ ઘણું સારું છે!! ગુજરાત ઉત્સવભૂમિ હતી અને રહેશે. જુઓને, અહીં માધવપુરમાં દર વર્ષે કેવો રંગેચંગે કૃષ્ણ-રુકમણીનો વિવાહ સંપન્ન થાય છે! તેની કંકોતરીઓ લખાય, માંડવો ઊભો કરાય, જાન નીકળે, ગીતો ગવાય... આવું જ ‘દેવ દિવાળી’ પર તુલસી વિવાહનું માહાત્મ્ય છે. એ જ દરમિયાન ગિરનારની ‘લીલી પરકમ્મા’માં પાંચ-સાત લાખ લોકોએ ભાગ લીધો. નૂતન વર્ષથી, એ વર્ષની દિવાળી સુધી અમે નાચતા-કૂદતા જ રહીએ છીએ, જીવનનો સંઘર્ષ તો આવે અને જાય!
આમાં નવરાત્રિ, શ્રાવણી-ભાદરવી પૂનમના મેળા, ‘શિવરાત’નો ભવનાથ મેળો, ડાકોર-અંબાજીમાં ઊમટતા યાત્રાળુઓ, સોમનાથમાં ઉત્સવી માહોલ, દ્વારિકાધીશની અષ્ટમી. આ બધું તો ચાલ્યા જ કરે છે, નવા ઉત્સવોમાં પતંગ-મહોત્સવ અને વાયબ્રન્ટ ઉમેરાયા. ૧૫મી ઓગસ્ટ અને ૨૬મી જાન્યુઆરીએ જે સ્થળે પ્રાદેશિક રાષ્ટ્રીય ઉત્સવની ઊજવણી થાય છે ત્યાં નગર આખું ઝળહળી ઊઠે છે અને દૂરદરાજનાં ગામડેથી સાંસ્કૃતિક ઉત્સવ નિહાળવા ૨૦-૩૦ હજારની મેદની ઊમટે છે. પૂર્વસંધ્યાના આ ઉત્સવો સ્થાનિક જાણીતા- અજાણ્યા ઇતિહાસને નાટક-નૃત્ય-સંગીતથી જબાન આપે છે. આ વાત સામાન્ય નથી. ગુજરાતને જાગતું કરનારી આ ‘યાત્રા’ છે જેને હું ‘ઇતિહાસ બોધ’ ગણાવું છું.
ફેરફારોની દુનિયા
વાયબ્રન્ટ પૂર્વે જ ગુજરાત પ્રધાનમંડળમાં સંભવિત ફેરફારોની હવા શરૂ થઈ ગઈ. મીડિયા-મિલનમાં કેટલાક પત્રકારોએ માહિતી કઢાવવાનો પ્રયાસ તો કર્યો, પણ મુખ્ય પ્રધાન આનંદીબહેને કોઈ નામ પાડ્યું નહીં. પરંતુ એક ઇશારો જરૂર રહ્યો કે વિધાનસભાના અધ્યક્ષપદે ફરી એક વાર આદિવાસી નેતાની પસંદગી કરવામાં આવી છે!
હવે પ્રદેશ પક્ષપ્રમુખનો નિર્ણય લેવાશે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જેવું ‘ઠરેલ નામ’ પણ વિચારણામાં છે, તે દરમિયાન કેન્દ્રીય પ્રધાનમંડળમાં મોહનભાઈ કુંડારિયાને પસંદ કરાયા છે. ‘ગુજરાતને અન્યાય’ની પીપુડી તો કોંગ્રેસે વગાડી, પણ નરેન્દ્ર મોદીને ગુજરાતના શ્રેષ્ઠ પ્રતિનિધિ ગણવામાં આવે તો કેન્દ્રમાં બીજા ગુજરાતી પ્રધાનોની ખાસ જરૂર રહેતી નથી એવો અભિપ્રાય ગળે ઉતરી જાય એવો છે ખરો!
ટીમ મોદી અને ટીમ ‘મૂડી’!
પરંતુ આ ‘ટીમ મોદી’ અને ‘ટીમ મૂડી’નો નઝારો એવો છે કે આગામી દિવસોમાં પણ મતદારોનો ભાજપ તરફી મિજાજ ચાલુ રહે તેમ જ કેન્દ્રના સ્તરે વિકાસ અને વહીવટમાં વધુ ગતિ પ્રાપ્ત થાય એ મુખ્ય હેતુ સાથે કેન્દ્રીય પ્રધાનમંડળનું વિસ્તરણ થયું છે. મનસુખ વસાવા તો હતા જ, હવે હરિભાઈ ચૌધરી અને મોહનલાલ કુંડારિયા પણ કેન્દ્રમાં રાજ્ય પ્રધાન બન્યા છે.
મુંબઈના ગુજરાતીનો વસવસો સમજી શકાય તેવો છે. શિવ સેના તેને શત્રુ માની રહી છે! ૧૯૯૫ની આસપાસ મુંબઈમાં ભારતીય જનતા પાર્ટીનું મહાઅધિવેશન મળ્યું ત્યારે જ આ સવાલ ઊઠ્યો હતો કે ભાજપે શિવ સેનાની સાથે જોડાણ કરવું જોઈએ કે નહીં? પ્રમોદ મહાજનનો આગ્રહ હતો કે કરવું જોઈએ એટલે છેવટે વાજપેયીજીએ જાહેર સમારોહ સંબોધનમાં કહ્યું કે પ્રમોદજી કા આગ્રહ હૈ તો હમ ઉન પર જિમ્મેવારી છોડ દેતે હૈ.
પણ વીસમી સદીનો છેલ્લો દસક એ એકવીસમી સદીના બીજા દસકથી સાવ અલગ હતો. ખુદ શિવ સેનાના ‘કદાવર’ ગણાતા નેતા સુરેશ પ્રભુએ સવારે પક્ષમાંથી રાજીનામું આપ્યું અને બપોરે પ્રધાનમંડળમાં જોડાયા, શપથ પણ લીધા. બીજી બાજુ, અશોક દેસાઈને ઉદ્ધવ ઠાકરેએ મનાઈ ફરમાવી એટલે સોગંદવિધિમાં જ હાજર ના રહ્યા.
શિવ સેના, એનસીપી, કોંગ્રેસ અને ભાજપઃ આ ચતુષ્કોણની રાજકીય સ્થિતિ પરિસ્થિતિનો વિચિત્ર નકશો મહારાષ્ટ્રમાં જોવા મળે છે. આ લખાય છે ત્યારે ઉદ્ધવે ‘બે દિવસમાં નિર્ણય કરીશું’ એવું કહ્યું છે. મોટા ભાગે તો સેના ભાજપની સાથે રહીને મહારાષ્ટ્રમાં તેમ જ કેન્દ્ર સરકારમાં જોડાઈ જાય તેવો તખતો જ સાબુત છે.
ગુજરાતમાં ભાજપના નેતા-કાર્યકર્તાઓ નિગમ-સમિતિઓમાં પસંદગીની રાહ જોઈ રહ્યા છે અને પ્રધાનમંડળમાં પણ મોટા ફેરફારોની સંભાવના છે તેનો નવો નકશો જલદીથી તૈયાર થઈ જશે.
અભિનંદન, અનામિક શાહ
ગૂજરાત વિદ્યાપીઠ એટલે ગાંધીજીનાં સપનાંની રાષ્ટ્રીય યુનિવર્સિટી. જોકે, હવે યુજીસીની નિગેહબાની હેઠળના નિયમો ત્યાં પણ લાગુ પડે છે. કુલનાયક પસંદ કરવામાં વિલંબ થતો હતો તે ટાળવો પડ્યો અને નવા કુલનાયક તરીકે અનામિક શાહને પસંદ કરાયા. અનામિક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કેમિસ્ટ્રીના અધ્યાપક અને સંશોધક છે. તેમના પિતાજી કાંતિભાઈ શાહ ગાંધીવાદી ખરા (વજુભાઈ શાહના તે ભાઈ થાય) પણ તેમણે ભારતીય ક્રાંતિકારો વિશે સ્વાતંત્ર્યપૂર્વે જ પુસ્તકો આપ્યાં છે તે નોંધપાત્ર છે. એમ પણ કહી શકાય કે આ પ્રકારનાં પુસ્તકો તેમણે સહુ પ્રથમ આપ્યા હતા. મેં લખ્યું છે કે વિદ્યાપીઠની ચયન સમિતિને આની ખબર હોત તો કદાચ અનામિકાને પસંદ ન કરાયા હોત! વિદ્યાપીઠના જ કુલનાયક સુદર્શન આયંગરે હમણાં થોડાક દિવસ પૂર્વે એવો હાસ્યાસ્પદ અભિપ્રાય જાહેરમાં મુક્યો હતો કે નવજીવન પ્રેસ (તે પણ ગાંધીજીની દેન છે)નાં ગાંધીવિષયક પુસ્તકના મુખપૃષ્ઠ પર સુદર્શન ચક્ર (કે ચરખાનું ચક્ર?) છાપવું એ તો હિંસા છે!! પદવી એનાયત સમારંભમાં પણ તેઓ એક પ્રચલિત ‘સેક્યુલર’ની જેમ જ બોલ્યા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી વિદ્યાપીઠ પણ જાણે કે મોદી-વિરોધી પ્રવૃત્તિ કરનારાઓની સભાઓનું સ્થાન બની ગઈ હતી. અનામિક શાહ એ પ્રકારના ‘ગાંધીવાદી’ નથી એટલે માત્ર શિક્ષણ પર વધુ ધ્યાન આપશે તેવો સામાન્ય અભિપ્રાય છે.