અત્યાર સુધી એક જ વખત ઉપાડની રકમના ૨૫ ટકા કરમુક્ત ગણાતા હતા. હવે તમામ ઉપાડની ૨૫ ટકા રકમ ઉપર આવક તરીકે માર્જિનલ ટેક્સ લાગુ થશે. દરમિયાન ચાન્સેલર ઓસ્બોર્ને જણાવ્યું હતું કે પેન્શનરો તેમના પેન્શનનો ઉપયોગ બેન્ક એકાઉન્ટ તરીકે કરી શકશે. તેમણે કહ્યું હતું કે વર્કર તેમની ૫૫ વર્ષની વય પછી તેમના પેન્શનમાંથી ગમે તેટલી, ઓછી કે વધતી રકમ ઉપાડી શકશે. તેનો ઉપયોગ બચત, રોકાણ અથવા ખરીદી અને વેકેશન સહિત કોઈ પણ ખર્ચ માટે કરી શકશે.
સરકાર દ્વારા નિવૃત્તિભંડોળ વિષયક નવા સુધારાઓના પગલે બચતકારે તેઓ મૃત્યુ પામે ત્યારે નિવૃત્તિ આવક પૂરી પાડવા એન્યુઈટી ખરીદવાની જરૂર નહિ રહે. આ સાથે પેન્શન પોટ પરનો ૫૫ ટકાનો ડેથ ટેક્સ પણ રદ કરવામાં આવનાર છે. પાર્લામેન્ટ સમક્ષ રખાયેલા ટેક્સેશન ઓન પેન્શન્સ બિલમાં આ જોગવાઈઓ સામેલ કરવામાં આવી છે.
