ગયા જુલાઈમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત રશિયન રાષ્ટ્રપતિને મળ્યા ત્યારે તેમણે બન્ને દેશો વચ્ચેની વર્ષોપુરાણી મિત્રતા સંદર્ભે ઉદાહરણ ટાંકતા કહ્યું હતું કે ભારતમાં કોઈ બાળકને પૂછશો કે વિશ્વતખ્તે ભારતનો સર્વશ્રેષ્ઠ મિત્ર કોણ છે તો એ રશિયાનું નામ જ ટાંકશે. રાષ્ટ્રપતિ પુતિને ટૂંકા ભારત પ્રવાસ દરમિયાન આ ઉદાહરણને યથાર્થ ઠેરવે તેવા કરારો કરીને દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઇએ લઇ ગયા છે. મોદી અને પુતિન આમ તો છેલ્લાં કેટલાંક મહિનામાં એક યા બીજા આંતરરાષ્ટ્રીય પ્રસંગે મળતા રહ્યા છે, પણ તેમની વચ્ચે શીખર બેઠક પ્રથમ વખત યોજાઇ હતી. પુતિનના ભારત પ્રવાસ દરમિયાન બન્ને દેશો વચ્ચે પેટ્રોલ, ગેસ, મિલિટરી ટ્રેનિંગ એક્સચેન્જ, અણુઊર્જા, સ્વાસ્થ્ય ક્ષેત્રે સંશોધન સહિતના સમજૂતી કરાર થયા છે. બન્ને દેશોએ ઓઇલ અને ગેસ સંશોધનોમાં ભાગીદારી વધારી છે. નોર્થ સાઇબેરિયાના ઓઇલ-ગેસ ક્ષેત્રમાં રશિયન કંપની અને ઓએનજીસી વિદેશ લિમિટેડ સાથે મળીને કામ કરશે. કુડાનકુલમમાં રશિયા નિર્મિત ૧૦૦૦ મેગાવોટનું એક પરમાણુ રિએક્ટર કાર્યરત થઇ ગયું છે, અને ભારતમાં ૧૨ વધુ પરમાણુ રિએક્ટર સ્થાપવા રશિયાએ સહમતી દાખવી છે. ભારતમાં ઔદ્યોગિક એકમો માટે અનુકૂળ સ્થળ અને સ્માર્ટ સિટિ વિકસાવવામાં પણ રશિયા મદદ કરશે. આજે બધા જ પશ્ચિમી દેશો ક્રિમિયાના મુદ્દે યુક્રેન પર લશ્કરી કાર્યવાહી કરવા બદલ રશિયા પર પસ્તાળ પાડી રહ્યા છે, પણ ભારતે રશિયા સાથેના દ્વિપક્ષીય સંબંધોને પ્રાધાન્ય આપીને પશ્ચિમી દેશના આ વલણથી અંતર જાળવ્યું છે. ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે બીજો વિકલ્પ હોવા છતાં રશિયા ભારતનું સૌથી મહત્ત્વપૂર્ણ સંરક્ષણ સહયોગી બની રહેશે. ભારતે દોસ્તી નિભાવી છે, તો રશિયાએ પણ તેવો જ ઉષ્માપૂર્ણ પ્રતિભાવ આપ્યો છે તેનો ભાગ્યે જ કોઇ ઇન્કાર કરી શકશે