સંઘર્ષનું નવું સમરાંગણઃ પશ્ચિમ બંગાળ

હરિ દેસાઈ Thursday 18th December 2014 04:42 EST
 

મિત્રો જ્યારે મૈત્રી ભૂલીને દુશ્મન બને ત્યારે એમની વચ્ચેનો સંઘર્ષ ભારે વસમો થઈ પડે છે. ક્યારેક મુખ્ય પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ચૂંટાતાં સ્વાગતમાં ફૂલના ગુલદસ્તા પાઠવનારાં તૃણમૂલ કોંગ્રેસનાં સુપ્રીમો મમતા બેનરજી હવે મોદીને તાનાશાહ ગણાવીને વડા પ્રધાને બોલાવેલી મુખ્ય પ્રધાનોની બેઠકોનોય બહિષ્કાર કરવા માંડ્યાં છે.

બંગાળની વાઘણ લેખાતાં મમતાદીદીએ વર્ષ ૨૦૧૧માં વિશ્વ કક્ષાનો એક વિક્રમ સર્જયો હતો. ૩૪ વર્ષથી એકધારું ડાબેરીઓનું એટલે કે સામ્યવાદીઓનું શાસન કોલકતાના રાઈટર્સ બિલ્ડિંગ પર ચાલ્યું આવતું હતું એને આ જૂનાં ઈન્દિરા ગાંધીનાં નિષ્ઠાવંત અને ભાજપની નેતાગીરીવાળા મોરચાની વાજપેયી સરકારમાં રેલવે પ્રધાન રહેલાં મમતા બેનરજીએ સમાપ્ત કર્યું.
વર્ષ ૨૦૧૧થી પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન રહેલાં મમતાદીદી જે સત્તા મોરચામાં હોય ત્યાં વિવાદો સર્જવા માટે જાણીતાં છે. કોંગ્રેસમાંથી છૂટાં થયાં ત્યારે એમને કોંગ્રેસ માર્કસવાદી નેતાઓ સાથે મળી ગયેલી લાગતી હતી. એમણે ૧૯૯૮માં તૃણમૂલ કોંગ્રેસની સ્થાપના કોંગ્રેસ અને કોમ્યુનિસ્ટોના વિરોધમાં કરી હતી. વાજપેયીના વડપણવાળી કેન્દ્ર સરકારમાં એ જોડાયાં ત્યારે એમનાં રૂસણાં અને મનામણાં ચાલુ હતાં. ત્રસ્ત વાજપેયીએ દીદીને મનાવવા માટે જ્યોર્જ ફર્નાન્ડીસને કોલકતા દોડાવવા પડતા હતા.
આવાં મમતા બેનરજી અને નરેન્દ્ર મોદી વચ્ચે જામી હોવાના સંકેત હવે સ્પષ્ટ છે. ચૂંટણીપ્રચાર વખતે મોદીએ દીદીને ભાંડવાનું ટાળ્યું હતું, પણ હવે એ કસર મોદીનિષ્ઠ ભાજપી અધ્યક્ષ અમીત શાહ પૂરી કરી રહ્યા છે. શાહે ટંકાર કર્યો છે કે મમતા બેનરજીને ઘર ભેગાં કરીને ભાજપનો ભગવો રાઈટર્સ બિલ્ડિંગ પર લહેરાવવો છે. વર્ષ ૨૦૧૬માં આવનારી વિધાનસભાની ચૂંટણીના મંડાણ અત્યારથી થઈ ચૂક્યાં છે. મુખ્ય પ્રધાન મમતા બેનરજીના ત્રણ-ત્રણ ટોચના નેતાઓને શારદા ચીટ ફંડ કૌભાંડમાં જેલભેગા કરવાના સીબીઆઈના પગલાએ મમતા દીદીને ભડકવાનું નિમિત્ત પૂરું પાડ્યું છે. ક્યારેક નરેન્દ્ર મોદી સહિતના ભાજપી નેતાઓ કોંગ્રેસના વડપણવાળી યુપીએ સરકાર પર આક્ષેપ કરતા હતા કે એ સીબીઆઈનો દુરુપયોગ કરી રહી છે. મમતા બેનરજી હવે આવો જ આક્ષેપ નરેન્દ્ર મોદીની સરકાર પર કરી રહ્યાં છે.
પશ્ચિમ બંગાળની ભૂમિ પર સત્તા હાંસલ કરવાનું ભાજપનું સ્વપ્ન લાંબો ઈતિહાસ તાજો કરાવે છે. બંગાળ એટલે નરેન્દ્રનાથ એટલે કે સ્વામી વિવેકાનંદની ભૂમિ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિવેકાનંદ સાથે જોડાવું ગમે છે. બેઉનાં નામ નરેન્દ્ર હોવા ઉપરાંત રામકૃષ્ણ મિશન સાથે જોડાવાનું પણ ગમે. જોકે રામકૃષ્ણ મિશનવાળા પોતાને હિંદુ ગણાવાનું પસંદ નહીં કરતાં હોવાની હકીકતને અત્યારે વિસારે પાડીને પણ એક નરેન્દ્ર સાથે બીજા નરેન્દ્રને જોડવામાં સૌનું કલ્યાણ જોવા મળે છે.
વળી, બંગાળ ક્રાંતિકારીઓની ભૂમિ છે એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના નિષ્ઠાવંતોને વધુ માફક આવે એવું છે. ભાજપના પૂર્વાશ્રમી અવતાર જનસંઘની સ્થાપના ૧૯૫૧માં પશ્ચિમ બંગાળના જ ડો. શ્યામા પ્રસાદ મુખરજીના વડપણ હેઠળ થઈ હતી. જોકે શ્યામા પ્રસાદ હિંદુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા અને જવાહરલાલ નેહરુની પ્રથમ સરકારમાં ઉદ્યોગ પ્રધાન પણ રહ્યા હતા. કોલકતા સાથે સંઘ-ભાજપનું ભાવનાત્મક જોડાણ આરએસએસના સંસ્થાપક અને પ્રથમ સરસંઘચાલક ડો. કેશવ બલિરામ હેડગેવારનું ત્યાંની મેડિકલ કોલેજમાં અધ્યયન અને ક્રાંતિકારીઓના સંપર્કમાં આવવાનું ગણાવી શકાય.
બંગાળનો ઈતિહાસ આઝાદી પહેલાં અને પછી સંઘ-જનસંઘ-ભાજપને માફક આવે તેવો છે. વળી સિદ્ધાર્થ શંકર રે જેવા કોંગ્રેસી નેતાનાં કુકર્મોના પ્રતાપે એમણે મુખ્ય પ્રધાન પદેથી જવું પડ્યું અને જ્યોતિ બસુએ ત્રણ-ત્રણ દાયકા લગી સામ્યવાદી મોરચાની સરકારનું નેતૃત્વ કર્યું. અને સંઘને પ્રતિકૂળ એવી વિચારધારાનાં મૂળિયાં મજબૂત કર્યાં. એને ઉખાડવાનો સંકલ્પ કરીને મોદીના નેતૃત્વવાળી ભાજપ અહીં આક્રમક મિજાજ સાથે સત્તાપ્રાપ્ત કરવા માટેનો સંઘર્ષ આદરે એ સ્વાભાવિક છે.
વર્ષ ૧૭૫૭માં પ્લાસીનું યુદ્ધ થયું અને બંગાળના છેલ્લા સ્વતંત્ર નવાબ શિરાઝ-ઉદ-દૌલાના શાસનનો અંત આણી બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ કોલકતાથી ભારત વિજયની યાત્રા આરંભી હતી. કોલકતા બ્રિટિશ ઈન્ડિયાની રાજધાની પણ રહ્યું. ભારતના કપાળેથી એ કલંકને ભૂંસવા ભાજપ કમર કસે એ સ્વાભાવિક છે અને અરવિંદ ઘોષ જેવા ક્રાંતિકારીઓમાં શ્રદ્ધા વ્યક્ત કરતાં ભાજપ-સંઘની નેતાગીરી પશ્ચિમ બંગાળને નવા સંઘર્ષના સમરાંગણ તરીકે કેન્દ્રસ્થાને મૂકે એ સહજ લેખાય. સુભાષચંદ્ર બોઝ પણ ભાજપનું આસ્થાસ્થાન બની રહે છે. હકીકતમાં સુભાષચંદ્ર કોંગ્રેસના પ્રમુખ હતા. તેમનો ફોરવર્ડ પક્ષ ડાબેરી રહ્યો છે.
કોલકતા પર છવાયેલા ‘મમતા મેજિક’નો અંત આણવા માટે ‘મોદી મેજિક’ પ્રસરાવવા માટે સાગમટે પ્રયાસ કરવામાં ભાજપ માટે ત્રિકોણિયો જંગ છે. તૃણમૂલના મોરચાની સાથે જ માર્કસવાદીઓનો મોરચો પણ ભાજપના નિશાના પર રહેશે. મમતાની આડોડાઈથી ત્રસ્ત રતન ટાટાએ શિંગૂરમાંથી ઊચાળા ભરીને મોદીમાં શ્રદ્ધા રાખી નેનો કારના પ્રકલ્પને ગુજરાતમાં ખસેડ્યો. એ વાતે પણ મમતા-મોદી વચ્ચે ટકરાવ જન્માવ્યો છે.
ક્યારે મિત્રવૃંદમાં ગણાતાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી આજે ભાજપની નેતાગીરીને બાંગલાદેશી ઘુસણખોરો અને જેહાદી આતંકવાદીઓનાં સંરક્ષક જણાય છે. પશ્ચિમ બંગાળમાં બોમ્બ બ્લાસ્ટમાં તૃણમૂલને જોડવાના પ્રયાસો બેઉ વચ્ચે નવી કડવાશ સર્જે છે. ૧૯૭૧માં પૂર્વ પાકિસ્તાનને સ્થાને બાંગલાદેશ સર્જવાનો યશ ભારતીય વડાં પ્રધાન ઈંદિરા ગાંધીને આપ્યા વિના છૂટકો નથી. અટલ બિહારી વાજપેયીએ તો સંસદમાં ઈન્દિરાજીને એ વેળા દુર્ગાનો અવતાર લેખાવ્યાં હતાં. આજે પ્રત્યેક રાજકીય પક્ષની દૃષ્ટિ બદલાઈ ગઈ છે.
ભારતની સાંસ્કૃતિક રાજધાની લેખાતા કોલકતા અને બંગાળ સાથે ગુજરાતનો ગાઢ સંબંધ રહ્યો છે. શાંતિ નિકેતન અને રવીન્દ્રનાથ ઠાકુર તેમ જ મહાત્મા ગાંધીનો સંબંધસેતુ રાજકીય અને સામાજિક જ નહીં, સાહિત્ય ક્ષેત્ર સુધી દૃઢીકૃત થતો રહ્યો છે. વડા પ્રધાન મોદીના વધુ એક આસ્થાસ્થાન સમું વ્યક્તિત્વ એટલે બંકિમચંદ્ર ચેટરજી કે ચટ્ટોપાધ્યાય. એની નવલકથા ‘આનંદમઠ’માંના ‘વંદે માતરમ્...’ ને જ રાષ્ટ્રગીત તરીકે સ્વીકારવાનો સંઘનો આગ્રહ જાણીતો છે. મૂળે કોંગ્રેસી એવા ડો. હેડગેવારે સ્થાપેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને તેનાં સંગઠનોને રવીન્દ્રનાથ ઠાકુર રચિત ‘જન ગણ મન’ બ્રિટિશ સમ્રાટ જ્યોર્જ પંચમનું સ્તુતિ ગાન લેખવાનું પસંદ પડે છે. વડા પ્રધાનના હોદ્દે વાજપેયી હતા ત્યારે પણ સંઘ પરિવારનાં સંગઠનો વતી આ સંદર્ભમાં તેમને આવેદનપત્ર અપાયાં હતાં. આશ્ચર્ય એ વાતનું છે કે રવીન્દ્રનાથ ભારત અને બાંગલાદેશ બેઉનાં રાષ્ટ્રગીતના રચિયતા છે.
પાકિસ્તાનના રાષ્ટ્રપિતા અને સૌરાષ્ટ્રના મોટી પાનેલીના જ મોહમ્મદ અલી ઝીણાએ ૧૯૪૬માં ‘ડાયરેક્ટ એક્શન’ની ઘોષણાથી કોલકતામાં જે કત્લેઆમ ચલાવી હતી એને ૨૦૧૪માં ય તાજી કરીને ૨૦૧૬ની ચૂંટણીના પરિણામોને પ્રભાવિત કરવાની ભાજપી કોશિશ સ્વાભાવિક છે. અત્યારે પશ્ચિમ બંગાળમાં ૭૨.૫ ટકા હિંદુ વસ્તી સામે ૨૫.૨ ટકા મુસ્લિમ વસ્તીને વોટબેંક તરીકે પોતાના ભણી આકર્ષવા માટે ઈસ્લામિક હિસ્ટ્રીમાં અનુસ્નાતક પદવી મેળવનાર મમતા બેનરજી અને ડાબેરી પક્ષો વચ્ચેની ખેંચતાણમાં ત્રીજા ખેલાડી તરીકે ભાજપ ફાવી જાય એવી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વ્યૂહ-ગણતરી છે.
ક્યારેક નક્સલવાદને જન્મ આપનાર પશ્ચિમ બંગાળ વર્તમાનમાં પણ નંદિગ્રામ-શિંગૂર થકી હિંસક અથડામણો તાજી કરે છે. નાલંદા વિદ્યાપીઠનો નાશ કરનાર અને એની ભવ્ય લાઈબ્રેરીના અમૂલ્ય સંગ્રહોને ભસ્મીભૂત કરનાર બખ્તિયાર ખીલજી જેવાએ બંગાળ પર રાજ કર્યું છે. બ્રહ્મોસમાજ અને બીજી સુધારાવાદી ચળવળોને જન્મ આપનાર બંગાળ અને બંગાળીઓ આઝાદીના સંગ્રામમાં પણ અગ્રેસર રહ્યા છે. એવા બંગાળમાં સામ્યવાદીઓના દાયકાઓના શાસને તેને જે રીતે પતનની ગર્તા તરફ ધકેલ્યું છે એ બંગાળને વિકાસના નવા રાજમાર્ગ પર મૂકવાની ઘડી આવી છે.


comments powered by Disqus