ઇન્ડિયન જીમખાના ખાતે ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરાઇ

Thursday 11th September 2014 10:37 EDT
 
ડાબેથી શ્રી અને શ્રીમતી સુદર્શન ભાટીયા, સમશુદ્દીન આગા, શ્રી પ્રીતમ લાલ (ફર્સ્ટ સેક્રેટરી, ભારતીય હઇકમિશન, લોર્ડ મેઘનાદ દેસાઇ અને શ્રી સીબી પટેલ.
 

ભારતીય હાઇકમિશન દ્વારા અોસ્ટર્લી સ્થિત ઇન્ડિયન જીમખાના ખાતે ભારતના સ્વાતંત્ર્ય દિનની શાનદાર ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે યોજાયેલા મેળામાં ભારતીય સમુદાયના વિવિધ સંગઠનો, રેસ્ટોરન્ટ્સ, મંદિરો, સંસ્થાઅોના ૫૦ કરતા વધારે સ્ટોલ્સ રખાયા હતા. તો બીજી તરફ વિવિધ સામાજીક, ધાર્મિક અને સાંસ્કૃતિક સંગઠનના અબાલવૃધ્ધ કલાકારોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ પ્રસંગે ભારતના હાઇકમિશ્નર શ્રી રંજન મથાઇએ રાષ્ટ્રધ્વજને ફરકાવીને સ્વાતંત્ર્ય દિનની શાનદાર ઉજવણીની શરૂઆત કરી હતી.

સતત ચોથી વખત યોજવામાં આવેલા ભારતના સ્વાતંત્ર્યદિનની ઉજવણીના મેળા - કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજીનો તેમજ ભારતના નવનિયુક્ત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દિલ્હી સ્થિત લાલ કિલ્લા પરથી કરેલા પ્રવચનના અંશો પ્રસારીત કરાયા હતા.

ભારતના લંડન સ્થિત હાઇકમિશ્નર શ્રી રંજન મથાઇએ પોતાના વક્તવ્યમાં લંડન અને બ્રિટનમાં વસતા સૌ ભારતીયો અને એનઆરઆઇ પરિવારોને ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પ્રસંગે શુભેચ્છાઅો પાઠવી હતી. ભારતીય હાઇકમિશન દ્વારા બ્રિટનમાં રહેતા વિવિધ પ્રાંતના લોકો સમૂહમાં એકત્ર થાય અને તે રીતે ભાઇચારો વધે તેમજ તેઅો સૌ ભારતના પ્રતિનિધિ સમાન હાઇકમિશનના અધિકારીઅોના સીધા પરિચયમાં આવે તે આશયે આ કાર્યક્રમનું આયોજન થાય છે.

આ કાર્યક્રમમાં લોર્ડ મેઘનાદ દેસાઇ, પંજાબી અગ્રણી ડો. રેમી રેન્જર, શ્રી અતુલ પાઠક, સધર્કના મેયર કાઉન્સિલર સુનિલ ચોપરા, ભવન્સના ચેરમેન જોગિન્દર સેંઘર, અોવરસીઝ ફ્રેન્ડ્ઝ અોફ બીજેપીના ચેરમેન લાલુભાઇ પારેખ સહિત અન્ય અગ્રણીઅો ઉપસ્થિત રહ્યા હતા.

આ મેળામાં વિવિધ સામાજીક – ધાર્મિક સંગઠનોએ ગરમા ગરમ છોલે-પુરી, જલેબી, દાળ-ભાત, બીરયાની - પુલાવ, ખમણ-ઢોકળા, ભજીયા - પકોડા, જ્યુસ, પાણી અને સોફટ ડ્રિંક્સ, ખીચડી દહી વગેરે કોઇ જ ચાર્જ વગર મફત પિરસ્યા હતા, જેના માટે અમુક સ્ટોલ્સ પર તો રીતસર લાઇનો લાગી હતી.  


    comments powered by Disqus