દેશના મંદિરો અને ગુરૂદ્વારાઅોમાં બનાવાતી ભોજન સામગ્રી અને પ્રસાદ અરોગ્યપ્રદ રહે તે માટે બ્રિટીશ હાર્ટ ફાઉન્ડેશન અને પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ દ્વારા સમગ્ર દેશમાં ઝુંબેશ આદરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત દેશના ૬૦ જેટલા મંદિરો અને ગુરૂદ્વારાઅોમાં બનાવાતા પ્રસાદ અને ભોજનનો પારંપરિક અસલ સ્વાદ જાળવવા સાથે નમક અને તેલ-ઘી (સેચ્યુરેટેડ ફેટ)નો ઉપયોગ કઇ રીતે ઘટાડીને તેને આરોગ્યપ્રદ બનાવવો તે અંગે વિસ્તૃત સમજ અને માર્ગદર્શન આપવામાં આવશે.
યુકેમાં રહેતા દક્ષિણ એશિયાઇ લોકોને ડાયાબિટીશ થવાની શક્યતા સામાન્ય લોકો કરતા બે ગણી છે જેને પગલે હ્રદય અને સર્ક્યુલેટરી રોગો વધે છે. તેલ ઘી અને મીઠાના વધુ પડતા પ્રમાણને કારણે અહિંના સ્થાનિક સામાન્ય લોકો જેટલું BMI હોય તો પણ ડાયાબિટીશ કે હ્રદયના રોગો થવાનું જોખમ વધી જાય છે.
બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનમાં હાર્ટ હેલ્થ ડાયેટીશીયન તરીકે સેવા આપતા ટ્રેસી પાર્કરે જણાવ્યું હતું કે 'ઘી, માખણ, ફુલ ફેટ દુધ અને અન્ય ડેરી ઉત્પાદનો અને વધુ પ્રમાણમાં નમકનો વપરાશ દક્ષિણ એશિયાઇ એટલે કે ભારતીય, પાકિસ્તાની, શ્રીલંકન, નેપાલીઝ લોકો માટે જોખમ ઉભુ કરે છે. આવો ખોરાક વજન વધારે છે અને હાઇ બ્લડ પ્રેશરની બિમારી કરે છે જેને પગલે હાર્ટએટેકની શક્યતાઅો વધી જાય છે.'
બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન દ્વારા અમલી બનાવાયેલ આ કાર્યક્રમ અંતર્ગત ૨ વર્ષ માટે પાયલોટ પ્રોગ્રામ ચલાવાયો હતો જેના અંતર્ગત પ્રતિ સપ્તાહ ૩,૫૦૦ લોકો માટે ભોજન બનાવાયું હતું. જેમાં મીઠાનો વપરાશ ૪૦% જેટલો અોછો અને ઘી-તેલનો વપરાશ અડધા કરતા અોછો હતો.
પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડના ચિફ ન્યુટ્રીશનીસ્ટ ડો. અેલિસન ટેડસ્ટોને જણાવ્યું હતું કે 'સાઉથ એશિયન લોકોને હ્રદય રોગ અને ડાયાબીટીશનું ખૂબ જ જોખમ છે. અમે કરેલા આ પ્રયાસોને હવે સફળતા મળતી જાય છે અને આરોગ્યપ્રદ સ્વાદિષ્ટ ભોજન સાથે જનજાગૃતિ વધે છે અને તેલ-ઘી અને નમકનો વપરાશ પણ ઘટ્યો છે.'
ટેબલ પર પડેલ મીઠાને દૂર કરીને તેમજ રાંધતી વખતે થોડુ અોછું મીઠું નાંખવાથી આ સમસ્યસાનો હલ લાવી શકાય છે. BHF દ્વારા આ અગાઉ વુલ્વરહેમ્પટન સ્થિત શ્રી ગુરૂતેગબહાદુર જી ગુરુદ્વારા અને ગ્રીનફર્ડ વેસ્ટ લંડન સ્થિત શ્રી જલારામ મંદિર ખાતે કઇ રીતે આરોગ્યપ્રદ ભોજન બનાવી શકાય તે અંગે નિદર્શન કરાયું હતું.
પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ અને બ્રિટીશ હાર્ટ ફાઉન્ડેશન દ્વારા બ્રિટનના તમામ મંદિર, ગુરૂદ્વારા, જૈન દહેરાસરો તેમજ અન્ય તમામ પ્રાર્થના સ્થળોના ટ્રસ્ટીઅો, સંચાલકો, પ્રમુખો, કારોબારી કમીટીના સદસ્યો તેમજ રસોઇની વ્યવસ્થા સંભાળતા વોલંટીયર્સ માટે વિશેષ 'શો એન્ડ ટેલ' વર્કશોપ્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિષ્ણાંતો અને ડાયેટીશીયન્સ કઇ રીતે ઘી-તેલ, માખણ અને મીઠાનો અોછામાં અોછો ઉપયોગ કરીને ભોજન સામગ્રીને સ્વાદિષ્ટ બનાવી શકાય તેની સમજ આપશે. આ કાર્યક્રમમાં વાર્તાલાપ, રસોઇ કરવાની પધ્ધતી અને સામુદાયિક રસોઇ અંગેના અનુભવોને જણાવવામાં આવશે.
આગામી કાર્યક્રમો
લંડન – ગુરુદ્વારા માટે જ તા. ૨૦-૧૧-૧૪
બર્મિંગહામ – મંદિરો માટે તા. ૨૧-૧૧-૧૪
લંડન – મંદિરો માટે તા. ૨૬-૧૧-૧૪
બર્મિંગહામ - ગુરુદ્વારા માટે તા. ૨૭-૧૧-૧૪
લીડ્ઝ – બધા ધર્મો માટે તા. ૨૮-૧૧-૧૪
હિન્દુ ધર્મના તમામ મંદિરો તેમજ ગુરૂદ્વારાના સંચાલકો, પ્રમુખો તેમજ કારોબારીના સદસ્યોને નમ્ર વિનંતી છે કે તેઅો પોતાનો સમય કાઢીને આ વર્કશોપમાં જોડાય અને આરોગ્યપ્રદ પ્રસાદ – ભોજન કઇ રીતે બનાવવું તેની સમજ મેળવે. જોડાવા માંગતા સૌ કોઇને પોતાના નામ [email protected] પર ઇમેઇલ કરીને નોંધાવવા વિનંતી છે.