ઢળતી જતી વય અને નાદુરસ્ત તબિયતને કારણે પોતાને પરવશ સમજતા અપણા વડિલો સાચા અર્થમાં પરવશ નહિં પણ પરોપકારી છે. આપણા વડિલોએ આપણને જ્ઞાન, સંસ્કાર, સમજદારી અને અનુભવનું જે ભાથુ આપેલું છે તેના ફળસ્વરૂપે જ આજે આપણે સૌ આ દેશમાં સિધ્ધીના શિખરો સર કરવામાં સફળ થયા છીએ. આપણા સૌના એ વડિલોએ કરેલા ઉપકારો આપણે જીંદગી ભર ભૂલી શકીશું નહિં. આવા જ ૮૫ વર્ષ કરતા વધુ વયના વડિલોના સન્માન સમારોહનું શાનદાર આયોજન ગત તા. ૮મી નવેમ્બર ૨૦૧૪ના શનિવારના રોજ હેરો વિલ્ડ ખાતે આવેલા સંગત સેન્ટરમાં 'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ' અને 'સંગત એડવાઇઝ સેન્ટર'ના ઉપક્રમે કરવામાં આવ્યું હતું. માતા અને પિતા સાચા અર્થમાં આપણા ભગવાન છે એમ માની આવા એક બે નહિં પણ પૂરા ૪૫ વડિલોની આરતી ઉતારી તેમને સૌને તેમના સ્થાને જઇને પ્રશસ્તિપત્ર અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું. ખરાબ હવામાનની આગાહી અને વ્યાપક પવન સાથે વરસાદ હોવા છતાં વડિલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને અત્યાર સુધીના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત સંગત સેન્ટરનો હોલ સંપૂર્ણપણે ભરાઇ ગયો હતો.
સૌ મહેમાનો અને ઉપસ્થિત રહેલા વડિલોનું ભાવભીનુ સ્વાગત કરી કાર્યક્રમના કો-અોર્ડીનેટર કમલ રાવે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી કાર્યક્રમના આયોજન પાછળનો હેતુ રજૂ કર્યો હતો. કાર્યક્રમનો વિધિવત શુભારંભ મુખ્ય મહેમાનો સર્વશ્રી શ્રી ધિમંતભાઇ ત્રિવેદી, બેન્ક અોફ બરોડાના યુરોપીયન હેડ, યુવાન ઉદ્યોગપતિ અને કિંગ્સ કિચનના ચેરમેન શ્રી મનુભાઇ રામજી, સામાજીક અગ્રણી શ્રી ધનજીભાઇ તન્ના, તેમના પત્ની શ્રીમતી હંસાબેન તન્ના, કિર્તી કેટરીંગના શ્રીમતી જયાબેન પટેલ, સંગત સેન્ટરના શ્રી કાન્તીભાઇ નાગડા અને શ્રી સીબી પટેલે દીપ પ્રગટાવીને કર્યો હતો.
તે પછી 'વોઇસ અોફ રફી' તરીકે જાણીતા યુવાન કલાકાર શ્રી અમિત કંસારાએ પ્રાર્થના રજૂ કરી માતા પિતાને જેમાં ભગવાન તુલ્ય ગણાયા છે તે ખૂબજ સુંદર શબ્દો ધરાવતા હિન્દી ફિલ્મ 'હમ સાથ સાથ હૈ'ના ગીત 'યે તો સચ હૈ કે ભગવાન હૈ'ને રજૂ કર્યું હતું.
કાર્યક્રમમાં જોડાયેલા ૮૫ વર્ષના વડિલોને લક્ષમાં લઇને વેક્ષહામ પાર્ક હોસ્પિટલ, સ્લાઉના કેર અોફ એલ્ડર્લી મેડિસિન અને એક્યુટ મેડિસીનના રજીસ્ટ્રાર (ફીજીશીયન) તરીકે સેવા આપતા ડો. શીતલબેન શાહે ૮૫ વર્ષની વયના વૃધ્ધોએ કેવા પ્રકારનું ભોજન લેવું જોઇએ અને કેવી તકેદારી રાખવી જોઇએ તેમજ ભોજન, તેની આપણા શરીર પર થતી અસર, તકલીફો વગેરે અંગે ટૂંકમાં પણ ખૂબજ મનનીય પ્રવચન આપ્યું હતું. જીપી તરીકે સેવાઅો આપતા અને વિવિધ સેમિનારોનું સંચાલન કરી ચૂકેલા ડો. જયશ્રીબહેન શાહે વડિલોના વયને લગતા શારીરિક અને વાસ્તવિક મુદ્દાઅો સાથે લાગણી સાથે સંકળાયેલા વિવિધ પાસાઅો અંગે સમજ આપી હતી. ડો. જયશ્રીબહેને વિવિધ વડિલોના અનુભવોને પણ પોતાના પ્રવચનમાં વણી લઇ પ્રશ્નોના જવાબ આપ્યા હતા.
સુવિખ્યાત યોગ શિક્ષક અને 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ના સાથીઅો તેમજ અન્ય સંસ્થાઅોના સદસ્યોને યોગા શિખવતા શ્રીમતી મનિષાબેન વાળાએ ઉપસ્થિત વડિલોને હળવી કસરત અને યોગનું મહત્વ સમજાવી તેમની વયને અનુરૂપ યોગના હળવા આસનો, કસરત તેમજ શ્વાચ્છોશ્વાસની ક્રિયાઅો અને તેના ફાયદા અંગે સમજ આપી હતી. આરોગ્ય અને કસરત-યોગના જેટલું જ મહત્વ હાસ્યનું પણ આપણા જીવનમાં રહેલું છે તેને લક્ષ્યમાં રાખીને નોર્ધમ્પ્ટનથી ખાસ વડિલો માટે પધારેલા વિખ્યાત હાસ્ય કલાકાર શ્રી કાન્તીભાઇ પટેલે પેટ પકડીને હસાવતા ટૂચકાઅો રજૂ કર્યા હતા જેને પગલે સમગ્ર હોલ વડિલોના નિર્દોષ હાસ્યથી ગુંજી ઉઠ્યો હતો.
સમગ્ર કાર્યક્રમના પ્રેરણાસ્તોત્ર અને માર્ગદર્શક તેમજ 'ગુજરાત સમાચાર'ના તંત્રી શ્રી સીબી પટેલે ૮૫ વર્ષ કરતા વધુ વયના વડિલોના સન્માન સમારોહ પાછળના હાર્દને સમજાવતા જણાવ્યું હતું કે 'આપણા આ વડિલોએ આપણા સોનેરી ભવિષ્ય માટે ખૂબજ અદકેરૂ યોગદાન આપ્યું છે. આપણા આ વડિલોની સેવા કરવાનો મોકો આજે આપણા નસીબને લીધે આપણને સૌને મળ્યો છે. આ અવસરનો સદઉપયોગ કરવાની આપણી નૈતિક અને સામાજીક ફરજ છે. આપણા આ વડિલોનું સન્માન કરીને ખરેખર તો આપણે નવી પેઢીને એક રાહ બતાવી રહ્યા છીએ.'
બેન્ક અોફ બરોડાના યુરોપીયન હેડ શ્રી ધિમંતભાઇ ત્રિવેદીએ નત મસ્તક સૌ વડિલોને વંદન કરતા પોતાના પ્રવચનના શુભારંભ 'અોમ સહનાવવતુ...' શ્લોકથી કર્યો હતો. શ્રી ધિમંતભાઇએ આપણા આ વડિલો ખરેખર સાચા અર્થમાં આપણા માટે ભગવાન સમાન છે એમ જણાવી 'ગુજરાત સમાચાર' દ્વારા વડિલો માટે રસ લઇને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેની સરાહના કરી સૌ વડિલોને સુંદર રીતે સાચચવા સૌનાપરિવારજનોને નમ્ર વિનંતી કરી હતી.
ગ્રેટર લંડન અોથોરીટીના સદસ્ય શ્રી નવિનભાઇ શાહે આ કાર્યક્રમને વધાવી લેતા ખૂબ જ ટૂંકમાં જણાવ્યું હતું કે 'આજે આપણે સૌ આ વડિલોને સન્માન અર્પણ કરી રહ્યા છે અને ખરેખર તેઅો સાચા અર્થમાં સન્માનના અધિકારી છે. મેં સન્માનનીય વડિલોની વયનું લીસ્ટ જોયું છે જેમાંથી મને ઘણી રસપ્રદ માહિતી મળી છે. તમામ વડિલોની વય નો સરવાળો કરાય તો તે ૪,૦૦૦ કરતા વધારે વર્ષ જેટલો થાય છે અને આનંદની વાત એ છે કે મોટાભાગના વડિલો હેરો વિસ્તારના છે જે બદલ હું ગર્વ અનુભવું છું.'
યુવાન ઉદ્યોગપતિ અને કિંગ્સ કિચનના ચેરમેન શ્રી મનુભાઇ રામજીએ સૌ વડિલોને વંદન કરતાં જણાવ્યું હતું કે 'આપ સૌએ આપના સંતાનો તેમજ અમારી સમગ્ર પેઢીને ખૂબ જ આપ્યું છે, પરંતુ જો આપણે નવી પેઢીને વધુને વધુ મજબૂત અને વિકાસશીલ બનાવવી હશે તો આપણે તેમને મોઢામાં કોળીયો આપવા કરતા તેમને જાતે જ વિકસવા-ખીલવા દેવી પડશે. મારા પિરવારે મારા માથા પર જવાબદારી નાંખતા આજે મને સફળતાનો સ્વાદ ચાખવા મળ્યો છે. આવી તક સૌને મળવી જોઇએ. અમુક વખત વધુ પડતી લાગણી અને બાળકોને બેઠો બિઝનેસ આપવાની વૃત્તિ જોખમી નિવડે છે.'
ખૂબજ ટૂંકા પણ પ્રોત્સાહક પ્રવચનો બાદ કલાકાર શ્રી અમિત કંસારાએ 'ભૂલો ભલે બીજુ બધુ માબાપને ભૂલશો નહિં' પિતૃભક્તિ ગીત રજૂ કરતા મુખ્ય મહેમાન શ્રી ધિમંતભાઇ ત્રિવેદી, શ્રી મનુભાઇ રામજી, શ્રી નવિનભાઇ શાહ, ધનજીભાઇ તન્ના, કાઉન્સિલર રેખાબેન શાહ તેમજ કાઉન્સિલર શ્રી નીતિનભાઇ પારેખે સૌ વડિલોની સામુહિક આરતી ઉતારી હતી. આ વખતે ઉપસ્થિત સૌની આંખોમાં ઝળઝળીયા આવી ગયા હતા અને સૌ વડિલોના ચહેરા પર ખુમારી સાથે સ્મિત ચમકી આવ્યું હતુ.
સમગ્ર કાર્યક્રમ વડિલોને લક્ષમાં લઇને તૈયાર કરવામાં આવ્યો હોવાથી અને વડિલોને જરા પણ કષ્ટ ન પડે તે આશયે ક્રમ મુજબ જેમ જેમ વડિલોના નામનું ઉચ્ચારણ કરાયું હતું તેમ તેમ ઉપસ્થિત મુખ્ય મહેમાનોએ વડિલોને તેમના સ્થાન પર જઇને નત મસ્તક થઇ વંદન કરીને તેમજ ઉષ્માસભર આલિંગન આપીને પ્રશસ્તિપત્ર અર્પણ કર્યા હતા.
કાર્યક્રમમાં ઉપસ્થિત અને સન્માનીત થયેલા શ્રી ધનજીભાઇ તન્નાએ તા. ૧૩-૧૧-૧૪ના રોજ આવતા તેમના જન્મ દિનની ઉજવણી અર્થે ભોજનના ખર્ચને સ્પોન્સર કર્યો હતો. ભોજન શ્રીમતી જયાબેને (કીર્તિ કેટરીંગ) કિફાયતી ભાવે આપ્યું હતું.
ભાષા નિષ્ણાંત શ્રી ઉપેન્દ્રભાઇ દવેએ કાર્યક્રમના પ્રારંભે ભાષા, પરંપરા અને સંસ્કૃતિ વિષે મનનીય વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન કમલ રાવે કર્યું હતું. આભાર વિધિ અને સન્માનીત વડિલોનો ટૂંકો પરિચય અમારા મેનેજીંગ એડિટર શ્રીમતી કોકિલાબેન પટેલે કરાવ્યો હતો. આવો જ કાર્યક્રમ પોતાના વિસ્તાર અને શહેરમાં કરવાની માંગણી કરતા સંખ્યાબંધ ફોન મળતા અમે આગામી વર્ષમાં ૮૫ વર્ષ કરતા વધુ વયના વડિલોના સન્માન સમારોહનું આયોજન લેસ્ટર, બર્મિંગહામ, માંચેસ્ટર, કાર્ડીફ અને સાઉથ લંડન વિસ્તારમાં કરવા આયોજન કરી રહ્યા છીએ.