સીબી અને સરદાર પટેલ મેમોરીયલ સોસાયટી - ચર્ચાના ચોતરે -

Saturday 22nd November 2014 09:47 EST
 

સૌ પ્રથમ દિવાળીનો અંક મેળવતાં આનંદ થયો. સૌને આગામી વર્ષની શુભકામના.

‘ચર્ચાના ચોતરે’ વિભાગમાં સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી યુ.કે. વિશેની ચર્ચા અને વાચકોના મંતવ્યો જાણતાં લાગે છે કે ચર્ચાનો વિષય અર્ધસત્ય તરફ દોડી રહ્યો છે.

સી.બી. પટેલનું જીવન - ત્રણ ક્ષેત્ર સાથે સંકળાયેલું છે. અંગત, સામાજિક અને વ્યાપારી જીવન. આ ત્રણેય ક્ષેત્રની અલગ અલગ લાક્ષણીકતાઅો હોવી જોઈએ અને બની રહી છે. એક તંત્રી તરીકેનું સ્થાન વિચારીએ તો નીડરતા, પ્રામાણિકતા અને ન્યાયની માત્રાને સાથમાં રાખીને સી.બી.ને ગુજરાતી સમાજમાં આગવું સ્થાન હંમેશા મળતું રહ્યું છે.

કોઈ પણ સંસ્થા સાથે જોડાયેલું વ્યક્તિત્વ એ સંસ્થાને મદદરૂપ પણ થઈ શકે છે. ક્યારેક ભીતરમાં છુપાયેલી નીડરતા, પ્રામાણિકતા અને ન્યાયની માત્રા વ્યક્તિત્વ દ્વારા બાકીના સભ્યોને જાણે-અજાણે વિચારભેદ કે મનભેદ ઊભો થઈ શકે અને સચ્ચાઈનો સામનો કરવો પડે તો નવાઈ ન લાગવી જોઈએ.

ભૂતકાળમાં દ્રષ્ટી કરીએ તો હરેકૃષ્ણ મંદિરની લડત, એર ઈન્ડિયાની અમદાવાદ – લંડન વચ્ચેની સીધી ફ્લાઈટ અને ઘણાં નાના-મોટા પ્રશ્નો માટે અથાક પ્રયત્ન કરતા સી.બી.નો ગુજરાતી સમાજ આભારી છે.

ભૂતકાળમાં જાણે અજાણે સોસાયટીની મિટિંગમાં ક્યાંય પડકાર ફેંકાયો હશે અને પરિણામ રૂપે આજીવન સભ્ય ને રજા મળી હોય તો નવાઈ લાગે છે. અહીં એક કડવો અનુભવ ગુલાબના કાંટા જેવો છે. પરંતુ ગુલાબની સુંદરતા, સુગંધ ગુલાબના શોખીન માટે મહત્તવની છે. કાંટાનું દર્દ આપોઆપ ભુલાઈ જશે.

ગુજરાતી સમાજનું ભલું કેમ કરવું અને સભ્યોને મદદરૂપ થઈ શકે, ગુજરાતી સમાજનું ગૌરવ જળવાઈ રહે છે. 'ગુજરાત સમાચાર' અહીં રહેતાં તમામ ગુજરાતીઓને સાચા માર્ગદર્શન તરફ પ્રકાશિત થતું રહે છે તો સી.બી.ને કોઈપણ સંસ્થા સાથે જોડાવાની જરૂર પડશે નહીં. પરંતુ એક નીડર, પ્રામાણિક અને ન્યાયની માત્રાને ધ્યાનમાં રાખીને એક પત્રકાર તરીકેની ફરજ સંપૂર્ણપણે નિભાવી સૌને ઉપયોગી બની રહેશે એ જ અભ્યર્થના.

- ડો. પ્રવિણ કલૈયા, હોર્નચર્ચ

૦૦૦૦૦૦૦૦૦

સર્વેનો વિજય થયો.....

આ સપ્તાહના 'ગુજરાત સમાચાર'ના પાન નંબર ૫ ઉપર સરદાર પટેલ મેમોરીયલ સોસાયટીના સમાચાર વાંચીને આનંદ થયો. પોતાની ભૂલનો સ્વીકાર કરીને સીબીની લેખિત માફી માંગીને ફરીથી સરદાર પટેલ મેમોરીઅલ સોસાયટીમાં સીબીના આજીવન સભ્યપદને સ્થાપિત કર્યું છે તે બદલ ધન્યવાદ. સીબીએ પણ 'ખુલ્લા હ્રદયે આમાં કોઇનો પરાજય નથી થયો પણ સર્વેનો વિજય થયો છે!!!' એમ જણાવ્યું. આને કહેવાય સજ્જનતા.

ભરત સચાણીયા અને પરિવાર, લંડન.

૦૦૦૦૦૦

ન કોઇ જીતા ન કોઇ હારા

શ્રી સીબી પટેલનું આજીવન સભ્યપદ રદ કરવા અંગે સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી (યુકે) સાથેની માંડાગાંઠનો સુખરૂપ ઉકેલ આવ્યો તે જાણીને ખૂબજ આનંદ થયો.

'એશિયન વોઇસ – ગુજરાત સમાચાર'માં તા. ૧૫-૧૧-૧૪ના અંકમાં જેમ લખાયું છે કે 'નથી કોઇ જીત્યુ કે નથી કોઇ હાર્યું' તે ખૂબજ સૂચક પણ મહત્વપૂર્ણ વાત છે. હિન્દુ સમુદાયે પોતાની પરિપક્વતા દર્શાવી છે અને આશા રાખીએ કે આપણો સમુદાય વધુ મજબૂત બનીને બહાર આવશે. તો ચાલો સૌ સાથે મળીને આગળ વધીએ અને હર હર મહાદેવનો નાદ ગજવીએ.

- ચુનીભાઇ ચાવડા, ઇમેઇલ દ્વારા.


    comments powered by Disqus