નવીન શાહ સાથે આ કાર્યક્રમને સી.બી.પટેલ અને ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના પ્રકાશક ABPL ગ્રૂપ દ્વારા સહઆયોજિત કરાયો હતો. લંડનના મેયર બોરિસ જ્હોનસન અને એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ દ્વારા આ કાર્યક્રમને સમર્થન અપાયું હતું. બ્રેન્ટ એન્ડ હેરોના એસેમ્બલી મેમ્બર નવીન શાહે કહ્યું હતું કે, ‘લંડનવાસીઓ મોટી સંખ્યામાં સિટી હોલ ખાતે ભોપાલ ગેસકાંડની ૩૦મી વર્ષીએ હાજર રહ્યાં તેનો મને આનંદ છે. આ પ્રસંગે ગેસ દુર્ઘટનામાં જાન ગુમાવનારા હજારો લોકોને અંજલિ અપાઈ હતી. દુષિત જળ અને તેના પરિણામે જૂની ફેક્ટરીની આસપાસ વસતા પરિવારો અને બાળકોને આરોગ્યની ગંભીર સમસ્યાઓ સહન કરવી પડે છે. કોમ્યુનિટી અને ધાર્મિક નેતાઓ અને બિઝનેસીસ દ્વારા આ માનવતાવાદી ઉદ્દેશ પ્રત્યે એકતા પ્રદર્શિત કરવામાં આવી છે. ભોપાલમાં સુંદર કામ કરતી ચેરિટીઓને દાન આપી પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.’
‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના પ્રકાશક/તંત્રી સી.બી. પટેલે જણાવ્યું હતું કે,‘ ભોપાલ કરુણાંતિકા બહુરાષ્ટ્રીય કંપનીઓ ત્રીજા વિશ્વના દેશોમાં જે રીતે કામ કરે છે તેમાં કલંક સમાન છે. વિદેશી અને ભારતીય સ્થાપિત હિતો દ્વારા લેવાતાં ગેરવાજબી લાભ સામે લાલ આંખ કરવામાં ભારત સત્તાવાળાઓ નિષ્ફળ ગયા તે પણ શરમજનક છે.’