સાચને આંચ હોતી નથી Tamari Vat patra

Saturday 29th November 2014 08:57 EST
 

સાચને આંચ હોતી નથી

તા. ૨૨-૧૧-૧૪નો 'ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ'નો અંક મળ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ. 'ગુજરાત સમાચાર'ના પહેલે જ પાને PIO અને આજીવન વિઝાની વિગત અને આપણા લાડીલા શ્રી ન.મો.ની ઓસ્ટ્રેલિયાની મુલાકાતના સમાચાર વાંચ્યા. આપણા લાડીલા ન.મો. આપણા ભારતીયો તરફથી જે સન્માન મેળવી ગયા તે બદલ તેમને ધન્યવાદ.

ન.મો.એ જ્યાં જ્યાં મુલાકાત લીધી છે ત્યાં સુવર્ણ અક્ષરે તેમનું નામ લખાઈ ગયું છે. કારણ કે તેઅો પોતે દેશના પ્રેમી છે અને દરેકની પ્રેમ અને લાગણીથી સેવા કરે છે. આપણા ગુજરાતી ભાઈઓ-બહેનો-વડીલો માટે ભારતની મુસાફરી સહેલી બનશે.

'ગુજરાત સમાચાર'ના પાન-૨૨ ઉપર 'ગુજરાત સમાચાર' અને 'સંગત સેન્ટર'ના ઉપક્રમે ૮૫ વર્ષથી વધુ વયના વયોવૃદ્ધ વડીલોનું શુભ સન્માન કરાયું અને સમગ્ર કાર્યક્રમ ખૂબ જ રંગેચંગે ઉજવાણો. આપણા વડીલો ખૂબ ખૂબ ખુશ થયા અને આપણા સેવાભાવી શ્રી ધનજીભાઈ તન્ના અને શ્રીમતી હંસાબહેન તન્નાને માનસન્માન અપાયા. ઉપરાંત દરેક વડીલોના નામ - ફોટા જોયા અને સર્વેને ખૂબ ખૂબ ધન્યવાદ. આ દરેક અગ્રણી વ્યક્તિની હાજરીથી આ પ્રસંગ ખૂબ ધામધૂમથી ઊજવાયો.

સી.બી.નું સભ્યપદ રદ કરવા બાબતે સરદાર પટેલ મેમોરીયલ સોસાયટીની કમીટી દ્વારા મંગાયેલ માફીના સમાચાર વાંચ્યા. 'ગુજરાત સમાચાર' તેમજ શ્રી સી.બી.ને સૌ કોઈ જાણે છે અને અંતમાં સફળતા મળી. સાચને આંચ હોતી નથી. શ્રી સી.બી.એ તન-મન-ધનથી આપણા ગુજરાતી અને હિન્દુ ભાઈઓની કેટલી સેવા અને કામ કર્યાં છે, કરે છે અને હજુ કરશે. સીબી પોતાના અમૂલ્ય ટાઈમનો ભોગ આપીને લાગણીપૂર્વક, ઉત્સાહથી અને પ્રામાણિકતાથી સામાજીક - ધાર્મીક સેવા કરે છે. તો આપણે શ્રી સી.બી.નો જેટલો આભાર માનીએ તેટલો ઓછો પડશે. ગાયના દૂધ સામે જુઅો. હું તો એટલું જ જણાવી શકું કે પરમકૃપાળુ પરમાત્મા 'ગુજરાત સમાચાર' અને શ્રી સી.બી.ને લાંબુ આયુષ્ય આપે અને આ શુભ સેવામાં વિશેષ પ્રગતિ કરે અને યાવતચંદ્ર દિવાકરૌ રહે.

- પ્રભુદાસ જે. પોપટ, હંસલો

૦૦૦૦૦૦૦૦

સબસે ઊંચી પ્રેમ સગાઈ

મારા માતુશ્રીના ૧૦૦મા જન્મદિન સમારંભ પ્રસંગે સીબી અન્ય પ્રોગ્રામમાં વ્યસ્ત હોવા છતાં તે પ્રોગ્રામને ટૂંકાવી સીબી અમારા આમંત્રણને માન આપી અમૂલ્ય સમયના ભોગે પણ પધાર્યા તે બદલ સીબીનો ફરીથી અંતઃકરણ પૂર્વક આભાર માનું છું. આપની હાજરીએ સોનામાં સુગંધ ભરી દીધી હતી. આપની હાજરીને લીધે ઔપચારિકતા એ મૈત્રીની પરાકાષ્ઠા બની ગઈ.

આજે સંયુક્ત કુટુંબની ભાવના વિલીન થઈ રહી છે. આ દેશમાં આપણી વસાહતે પૈસો અઢળક પેદા કર્યો છે. પણ આપણે કૌટુંબીક પ્રેમ ગુમાવ્યો છે. આ દેશમાં આપણી નવી પેઢી વડીલો પ્રત્યેની ફરજ ભૂલી રહ્યા છે. આજે વડીલોને જે સન્માન મળવું જોઈએ તે મળતું નથી. વડીલો એકાકી જીવન જીવી રહ્યા છે. આપણી પેઢીના દરેકે અથાક પરિશ્રમ કરી સંતાનોને ઉચ્ચ કેળવણી આપી છે. શૂન્યમાંથી સર્જન કર્યું છે. એ જ વડીલો સંતાનો તરફથી જે માન મળવું જોઈએ તેનાથી વંચિત છે ત્યારે તમારા જેવા સમાજસેવકે વડીલોનો સન્માન સમારંભ યોજી તેમને જે માનથી નવાજ્યા તે ખરેખર અભિનંદનીય છે.

'ગુજરાત સમાચાર - એશિયન વોઈસ' તરફથી આપે મારાં માતુશ્રી મણીબાનું કર્મયોગી સન્માન કર્યું. ખરેખર આ સન્માનના લાયક તો સીબી પોતે છો. આ પવિત્ર સન્માન સ્વીકારતા મારા આનંદને વ્યક્ત કરવા શબ્દો નથી. પૂજ્ય બા અને મારા સમસ્ત પરિવાર તરફથી આપને લાખ લાખ અભિનંદન.

સબસે ઊંચી પ્રેમ સગાઈ. અંતર્ગંત આપ જેવા નિસ્વાર્થ. સહૃદયી સમાજસેવકને જોતાં હું ગુજરાતી વિશ્વ ગુજરાતી.. સાચું લાગે છે.

- કાંતિભાઈ પટેલ, સડબરી

૦૦૦૦૦૦૦૦

મારો નાતો અતૂટ છે

ઘણા વખત પછી કલમને વેગ આપી આપનો સંપર્ક સાધી રહી છું. 'ગુજરાત સમાચાર' સાથેનો મારો નાતો અતૂટ છે. કારણ કે નાદુરસ્ત તબિયત હોવા છતાં અને આંખની તકલીફ હોવાથી નિયમિત પત્રો લખી શકતી ન હતી ત્યારે લેસ્ટરમાં 'vista' નામની સંસ્થા 'ગુજરાત સમાચાર'માંથી વાંચન સામગ્રી એકઠી કરી તેની અોડીયો સીડી તૈયાર કરી આંખોની તકલીફવાળા અને અંધજનોને મોકલાવે છે. જેથી તેમને સમાચાર સાંભળવા મળે છે. તેથી 'ગુજરાત સમાચાર' સાથેની નીકટતાનો આનંદ માણું છું.

તદુપરાંત મારા સ્વજનો અને મિત્રો પણ 'ગુજરાત સમાચાર'માંથી વાંચન કરી સમાચાર આપે છે. 'ગુજરાત સમાચાર'ના તંત્રી શ્રી સી.બી. પટેલ અને આપની ટીમનો દળદાર દિવાળી અંક રજૂ કરવા બદલ ખૂબ ખૂબ આભાર.

- જયાબહેન પાંઉ, લેસ્ટર.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

દિવાળી અંક માટે ધન્યવાદ

‘ગુજરાત સમાચાર – એશિયન વોઈસ’નો દિવાળી અંક ઘણો જ રસપ્રદ અને માહિતીસભર રહ્યો. મુખપૃષ્ઠ પણ ઘણું જ આકર્ષક છે. ફક્ત £૩૪ પાઉન્ડમાં આખા વર્ષના ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ + વર્ષના ૮થી ૧૦ બીજા અંકો અને આ ઓછું હોય તેમ દિવાળીની અમને સૌને બોણીરૂપે આકર્ષક દિવાળી અંક અને કેલેન્ડર...!! સી.બી. ભોળાનાથની તમારા પર અસીમકૃપા છે એટલે જ આ મોંઘવારી તમને નડતી નથી... અને નહિ જ નડે... ઘણો જ આભાર.

સી.બી.નો દિપાવલી સંદેશો ઘણો જ પ્રેરણાદાયક રહ્યો પણ છેલ્લેથી ત્રીજા ફકરામાં આપે લખ્યું છે કે બ્રિટનમાં રામરાજ્ય જેવું છે. રામરાજ્ય અહીં ૭૦ દાયકા સુધી હતું. આ મારો અને મારા જેવા ઘણાનો મત છે...ખેર, છતાં પણ હજુ આપણે અહીં ખરેખર માનવતાવાદી દેશમાં છીએ. આપણે નસીબદાર છીએ કે આપણને ઘણા જ સારી રીતે સ્વીકાર્યા છે અને ખાસ તો આપણે ભારતીયો દૂધમાં સાકરની જેમ ભળી ગયા છીએ. ભારત મારી જન્મભૂમિ અને બ્રિટન મારી કર્મભૂમી. આ દેશનો હું નાગરીક છું તેનો મને ગર્વ છે.

દિવાળી અંકનું વાચન હજું પૂરું થયું નથી. થોડું બાકી છે. (૧) ગુજરાતની વાવ સમૃદ્ધિ (૨) દોઢસો વર્ષ પહેલાંનું ઇંગલેન્ડ વિજ્ઞાનવિશ્વમાં સૌથી મોખરે ભારતીય સંસ્કૃતિ (૪) કચ્છડો ખેલે ખલકમેં... (૫) અય વતન તેરે લિયે... આ બધા જ લેખો ઘણા જ રસપ્રદ છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં રાણકી વાવ – અડાલજ વાવ – મોઢેરાનું સૂર્યમંદિર વગેરે સ્થળે જવાનો મોકો મળ્યો હતો. અદભૂત ઇતિહાસ અને અવર્ણનીય શિલ્પ સ્થાપત્ય જોવા જાણવા મળ્યું. ૧,૦૦૦ વર્ષથી પણ જૂના વર્ષ પહેલાના આ સ્થાપત્યો બને તો દરેકે જીવનમાં એક વાર જોવાલાયક છે. જન્મભૂમિ ભારતમાં જઈએ ત્યારે જે ઉત્સાહમાં આપણે હોઈએ છીએ પણ ત્યા જઈએ એટલે એ સંબંધો-સમાજ -ગામ ઘર વગેરે આપણું હવે લાગતું નથી. ૫૧ વર્ષથી દેશમાં બહાર નીકળી ગયા બાદ લાગણી છે પણ લાગણીની ભીનાશ જાણે નથી.

આ સિવાય પૂ. રામબાપા માટે પણ જાણ્યુ. ખરેખર તેમણે આ દેશમાં ભક્તિનો અને હનુમાન ચાલીસાનો રંગ અનેક લોકોને લગાવ્યો છે.

લલીત લાડ! એ વાંચ્યા વગર અને જીવંતપથ વાચ્યા વગર ‘ગુજરાત સમાચાર’ અધૂરું લાગે છે.. લલિતભાઈ આમ લખતા જ રહેશો.

છેલ્લે ભારતી પંકજ વોરાની અને પંકજ વોરાની કવિતા ઘણી જ હૃદયસ્પર્શી છે. રામુભાઈ મટવાડકરની ગઝલ પણ હૃદયની વ્યથા રજૂ કરે છે.

- દેવી પારેખ, લંડન.

00000

યુદ્ધવિરોધી આંદોલનની કોન્ફરન્સ

જુલાઈ-૧૪ દરમિયાન 'Ware Resistance international'ની ત્રિવાર્ષિક સભા સૌ પ્રથમવાર આફ્રિકા ખાતે સાડા ચાર દિવસ માટે મળી હતી. સ્થળ હતુંઃ કેપટાઉન. નગરપાલિકાનો ઐતિહાસિક સિટી હોલ. આ હોલ સાથે સંકળાયેલ ઐતિહાસિક ઘટનાઓમાં મુખ્યત્વે ૧૯૮૫માં ડો. ઈવાન ટોમ્સના ફરજિયાત લશ્કરી ભરતીના કાયદાના વિરુદ્ધમાં ઉપવાસ, ૧૯૮૯માં આર્ચબિશપ ડેસ્મંડ ટુટુનો પીસ માર્ચ અને નેલ્સન મંડેલાનો જેલવાસ બાદ પ્રથમવાર દેશના નાગરિકોને ઉદબોધન મુખ્ય છે.

WRIની રચના ૧૯૨૧માં થઈ હતી જેનું સ્વપ્ન યુદ્ધ વિનાનું વિશ્વ છે અને બહાર પડાયેલા આવેદનના શબ્દો છેઃ 'યુદ્ધ એ માનવતા વિરુદ્ધ આચરવામાં આવતો ગુનો છે.' કારણ કે યુદ્ધોનો ઉપયોગ સત્તા જમાવવા અથવા તો આર્થિક શોષણ કરવા માટે કરવામાં આવે છે અને કોઈપણ અપવાદ વિના બધા જ યુદ્ધો દુઃખ અને વિનાશ જ નોતરે છે. તેમજ દબાયેલાઓને વધુ દબાવવાના નવા માળખાને જન્મ આપે છે.

ભારતમાં ૧૯૮૫માં શ્રી નારાયણ દેસાઈના વડપણ હેઠળ સ્વરાજ આશ્રમ વેડછી ખાતે અને ૨૦૧૦માં ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતે કોન્ફરન્સ યોજાઈ હતી. WRI ૪૦ દેશોમાં ૮૦થી વધુ જુદી જુદી સંખ્યાઓ સાથે મળીને કામ કરે છે. આ વખતના કાર્યક્રમો-ચર્ચાઓમાં ૧. હિંસાને સમજવી ૨. અહિંસાના જુદા જુદા પ્રયોગો (આફ્રિકામાં) ૩. કોર્પોરેશન્સ સામે તેમજ જીવાદોરી - અસ્તિત્વ સામે અહિંસક લડતો ૪. શાંતિ કેમ સ્થાપીશું વિગેરે વિષયો પર વિચારણા કરવામાં આવી હતી.

મિત્રો આજના યુદ્ધખોર વાતાવરણમાં દિલોદિમાગને શાતા તેમજ ઉજ્જવળ ભાવિ તરફ અંગુલિનિર્દેશ કરે છે.

- ભીખુભાઈ પટેલ, નોટિંગહામ

૦૦૦૦૦૦૦

ભારતના પ્રધાન મંડળનું પ્રથમ વિસ્તરણ

ભારતના પ્રધાન મંડળના વિસ્તરણ અંગે જણાવવાનું કે અનેક મહત્વના ખાતાઓ એક પ્રધાનના હાથમાં હોવાથી મુશ્કેલી સર્જાતી હતી. જેનો હવાલો નવનિયુક્ત પ્રધાનોને ફાળવીને સમતોલ બનાવવાનું કાર્ય થયું. ગોવાના મુખ્ય મંત્રી મનોહર પરિકરને સુરક્ષા વિભાગ સોંપાયો. જે પ્રસંશાને પાત્ર છે. સાદાઇના પ્રતિક સમાન શ્રી પારીકાર ગોવાના મુખ્યમંત્રી હતા ત્યારે હમેશા બસ, ટ્રેન અને સ્કૂટર પર ફરતા. તેઓ પ્રમાણિક નેતા છે.

ઉતર ગુજરાતમાંથી શ્રી હરિભાઈ ચોધરીને ગૃહના રાજ્ય મંત્રી અને સોરાષ્ટ્રમાંથી શ્રી મોહનભાઈ કુંડારિયાને કૃષિ ક્ષેત્રે રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા તે આવકારપાત્ર છે. શ્રી મોહનભાઈ લંડન અમદાવાદની સીધી વિમાની સેવાની ઓલ પાર્ટી કમિટીના

સભ્ય હોવાથી હવે કેન્દ્રમાં પ્રધાન થયા બાદ આપણી લંડન-અમદાવાદની સીધી ફ્લાઇટના આંદોલનને જરુર સફળતા મળશે. મજાની વાત એ છે કે 'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ'ના અમદાવાદ ખાતેના કન્સલ્ટીંગ એડિટર શ્રી ભૂપતાઇ પારેખને ગુજરાતના મુખ્ય મંત્રી સુશ્રી આનંદીબેન પટેલે એક ખાસ સંદેશો પાઠવીને કહ્યું હતું કે સીબીને કહેજો કે 'મેં પણ અમદાવાદ લંડનની સીધી વિમાની સેવા તાત્કાલિક મળે તે માટે શ્રી મોદીજીને પત્ર લખ્યો છે.

ગુજરાત રાજ્યના સ્પીકર તરીકે યુવાન આદિવાસી શ્રી ગણપતભાઈ વસાવાની ફરી નિયુક્તિ થઇ તે બદલ અભિનંદન.

ભરત સચાણીયા અને પરિવાર, લંડન.

0000000

મન થાય છે

ચાંદની રાતમાં,

ચાંદ જેવું રૂપ તમારું,

જોવાનું મન થાય છે.

તમો ક્યાં છો? દેખાતા નથી.

તમોને મળવાનું મન થાય છે.

સપનામાં તો અક્સર આવો છો,

આવીને ચાલ્યા જાઓ છો,

દિલમાં તમોને રાખવાનું મન થાય છે.

હું તો રાહ જોતો અહીં બેઠો છું,

તમોને આંખમાં કેદ કરવાનું મન થાય છે

- અમૃતલાલ પી. સોની, વેમ્બલી, લંડન

ટપાલમાંથી તારવેલું

* લેસ્ટરથી ચંદુલાલ સોનેચા જણાવે છે કે 'તમો શ્રી સચ્ચિદાનંદજી (દંતાલીવાળા)ના પુસ્તકની લેખમાળા ચાલુ કરો તો સારું. સી.બી. પટેલ પણ તેમના પ્રશંસક છે.'


    comments powered by Disqus