પોરબંદરના દરિયામાં કોઇ મોટા કાવતરાને અંજામ આપવાના નાપાક ઇરાદાથી વિસ્ફોટકો સાથેની એક પાકિસ્તાની ફિશિંગ બોટ ભારતીય તટરક્ષક દળોએ આંતર્યા બાદ રહસ્યમય સંજોગોમાં વિસ્ફોટ-આગ પછી ચાર શખસો સાથે ડૂબી જતાં ત્રાસવાદીઓએ મુંબઇ પરના ૨૬/૧૧ના હુમલાના પુનરાવર્તનનો પ્રયાસ કર્યાની પ્રબળ આશંકા છે. તટરક્ષક દળોએ બોટનો પીછો કર્યો હતો પરંતુ તે દરમિયાન બોટમાં વિસ્ફોટ સાથે આગ લાગી હતી અને ચાર શખસો સાથે બોટ ડૂબી ગઇ હતી. આ બનાવનાં પગલે વડાપ્રધાન મોદીને ૧૨મી જાન્યુઆરીનો પોરબંદર ખાતેનો કાર્યક્રમ પણ રદ કરી નાખવામાં આવ્યો છે.
સંરક્ષણ મંત્રાલયના સૂત્રોના જણાવ્યાનુસાર આ બોટ કરાચી નજીકના કેટી બંદરેથી ઊપડી હતી. તટરક્ષક દળોના ઇન્સ્પેક્ટર જનરલ (ઓપરેશન્સ) કે. આર. નૌટિયાલે કહ્યું હતું કે પાકિસ્તાનથી એક શંકાસ્પદ બોટ રવાના થઇ હોવાની ગુપ્તચર તંત્ર દ્વારા આંતરવામાં આવેલી વાતચીતના આધારે તટરક્ષક જહાજો અને વિમાન દ્વારા આ શંકાસ્પદ બોટનો પીછો કરવાનું ઓપરેશન હાથ ધરાયું હતું. સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકરે આયોજનબદ્ધ રીતે સમયસર આ ઓપરેશન પાર પાડીને સંભવિત ખતરો ટાળવા બદલ તટરક્ષક દળોને અભિનંદન આપ્યા હતા.નૌટિયાલે ઉમેર્યું હતું કે આ બોટ કોઇ 'ગેરકાયદે પ્રવૃત્તિ'ના ઇરાદા સાથે ન આવી રહી હોય તો તટરક્ષક દળોથી બચવા માટે તેમાં સવાર નાવિકો ભાગવાનો પ્રયાસ કરે તેવું બને નહીં.
સંરક્ષણ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે તટરક્ષક દળોના જહાજે પાકિસ્તાની બોટના ચેકિંગ માટે બોટ રોકવાની ક્રૂ-મેમ્બર્સને ચેતવણી આપી હતી પરંતુ તેમણે બોટ રોકવાના બદલે બોટની ઝડપ વધારીને ભારતીય જળસીમાથી દૂર પાકિસ્તાન તરફ નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે તટરક્ષક દળોના જવાનોની શંકા હકીકતમાં ફેરવાઇ હતી અને એક કલાક સુધી આગળ પાકિસ્તાનની બોટ અને પાછળ તટરક્ષક દળોનું જહાજ દરિયો ચીરતી પીછો કરતું હતું. વારંવારની ચેતવણીઓ છતાં બોટ ઊભી રહી ન રહેતાં અંતે તટરક્ષક દળોના જવાનોએ ફાયરિંગ શરૃ કરી દીધું હતું. તે પૂર્વે ચાર શખસો બોટમાં ઉપર જણાતા હતા અને ફાયરિંગ શરૃ થતાં જોતજોતામાં તેઓ કમ્પાર્ટમેન્ટમાં છુપાઇ ગયા હતા. આથી તટરક્ષક દળોની ટીમ તેને પકડવા આગળ વધી ત્યારે અચાનક બોટમાં બ્લાસ્ટ થતાં જવાનો ચોંકી ઊઠયા હતા અને તેમની નજર સામે જ બોટ સળગીને ડૂબી ગઇ હતી. રાત્રિના અંધકારમાં બનેલા આ બનાવે સૌને ચોંકાવી દીધા હતા. અંધારા, પ્રતિકૂળ હવામાન અને તોફાની પવનના કારણે બોટને કે તેમાં સવાર શખસોને પકડી શકાયા નહોતા. તટરક્ષક દળોએ બોટમાં સવાર કોઇ શખસ બચ્યો છે કે કેમ તેની ખાતરી કરવા સ્થાનિક દરિયાઇ વિસ્તારમાં શોધખોળ અભિયાન ચાલુ રાખ્યું હતું.
પોરબંદર નજીક અરબી સમુદ્રમાં ખરેખર શું થયું તેનું રહસ્ય ઘેરાયું
પાકિસ્તાને શનિવારે કેટી બંદરેથી નીકળેલી ફિદાઇન આતંકીઓની બોટ ભારતમાં ઘૂસી હોવાના અહેવાલોને નકારી કાઢયા છે. પાકિસ્તાનના વિદેશ વિભાગના પ્રવક્તા તસનીમ અસલમે જણાવ્યું કે, સિંધ પ્રાંતના કેટી બંદરેથી કોઈ બોટને સમુદ્રમાં ઉતારવામાં આવી જ નહોતી, તેમણે જણાવ્યું કે, ભારત ફક્ત પાકિસ્તાનની છબી ખરડવા માટે થઈને આવા આરોપ લગાવી રહ્યો છે. ૩૧મી ડિસેમ્બરે રાત્રે કોસ્ટગાર્ડ દ્વારા પોરબંદરના દરિયાકાંઠેથી ૩૬૫ કિમી દૂર હાથ ધરવામાં આવેલાં ઓપરેશન પર ઘણી શંકાઓ ઊભી થઈ રહી છે. ભારતીય મીડિયા અને વિપક્ષો દ્વારા આ ઓપરેશન વિશે ખુલાસાઓ માગવામાં આવી
રહ્યા છે.
પાકિસ્તાનનાં સંરક્ષણ મંત્રાલયના મતે ૩૧ ડિસેમ્બરે બે પાકિસ્તાની રેન્જર્સની હત્યાના મામલેથી ધ્યાન ભટકાવવા ભારત આમ કરી રહ્યું છે. તો બીજી તરફ, ભારતીય કોસ્ટગાર્ડનું કહેવું છે કે, બોટમાં સવાર લોકોએ માછીમાર જેવાં કપડાં નહોતાં પહેર્યાં, તેમની પાસે માછીમારીઓની જાળી પણ નહોતી. પાકિસ્તાન ક્યારેય આ વાત સ્વીકારશે નહીં.
દાણચોરી, શસ્ત્રોની હેરાફેરી માટે પોરબંદરનો સાગરકાંઠો હોટફેવરીટ
પોરબંદર દરિયાકાંટો ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે ત્યારે ભૂતકાળમાં પણ પોરબંદરના સાગરકાંઠા પર દેશદ્રોહી તથા દણચોરી પ્રવૃત્તિ ઉપરાંત નારકોટિક્સની હેરાફેરી અને ડીઝલ દાણચોરી માટે પોરબંદરના સાગરકાંઠો કુખ્યાત બની ગયો છે.
૧૯૮૫ થી ૧૯૯૫ના દાયકામાં પોરબદંરનો કુખ્યાત સાગરકાંઠો દેશદ્રોહી અને દાણચોરીની પ્રવૃત્તિ કરતા લોકોના હાથમાં હોય તેમ સ્થાનિક કસ્ટમ્સના લાંચિયા ઇન્સપેકટરો તથા સ્ટાફ સાથે સેટિંગ કરી કરોડો રૂપિયાના સોના-ચાંદીના કન્સાઇમેન્ટ સંવેદનશીલ લેન્ડીગ પોઈન્ટ પર ઉતારવામાં આવતા હતા. તે સમયે ખાસ કરીને સોનાચાંદી તથા ઇલેક્ટ્રોનિક સામાનની દાણચોરી પુરબહારમાં કરવામાં આવતી હતી. આ ગોરખધંધામાં પોરબંદરના કુખ્યાત મામુમીયા પંજુમીયાનું નામ અગ્રેસર હતું અને તેની જ ગેંગ દ્વારા મોટાભાગના કામો કરવામાં આવતા હતા. બાદમાં ભારતનો નં.૧ દુશ્મન બની હાલ પાકિસ્તાનની છત્રછાયા નીચે જીવન જીવી રહેલો દાઉદ ઈબ્રાહીમને એન્ટ્રી થઈ હતી અને તેના દ્વારા સોના-ચાંદી અને ઇલેકટ્રોનિકની દાણચોરીને વેગ આપવામાં આવ્યો હતો. સોના-ચાંદીની દાણચોરીની પ્રવૃત્તિમાંથી હાથ કાઢી દાણચોરો દ્વારા તગડો નફો કમાવી આપતા નારકોટીક્સની હેરાફેરીમાં હાથ અજમાવવામાં આવ્યો હતો. નારકોટીક્સની સાથે શસ્ત્રો પોરબંદરની કુખ્યાત ગેંગો પાસે આવ્યા હતા તેને કારણે પોરબંદર એક વખત ગુનાખોરીનું શિકાગો બની ગયું હતું.
આતંકીઓએ બીજી બોટમાં ઘૂસણખોરી કરી? ૪૮ કલાકનું તલાશી અભિયાન
ગુજરાતમાં બે ઈન્ટરનેશનલ ઈવેન્ટ અને ૨૬ જાન્યુઆરીએ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ઓબામાના દિલ્હી આગમન સમયે ભારતને નીચે દેખાડવા આતંકવાદીઓ રઘવાયા થયાં છે. ગુપ્તચર એજન્સીઓએ એવો ઘટસ્ફોટ કર્યો હતો કે, આઠથી નવ ગ્રુપમાં વહેંચાયેલા ૪૦થી ૪૫ આતંકી ભારતમાં ઘૂસવા પ્રયત્નશીલ છે. જમીની સરહદથી ઘૂસવામાં નિષ્ફળતાના પગલે દરિયાઈ સરહદે ઘૂસણખોરીનો પ્રયાસ કરાયો. પણ, ૩૧ ડીસેમ્બરે આતંકીઓએ એક બોટ ફૂંકી મારવી પડી. આતંકવાદીઓ સાથે બીજી બોટ હતી.
આ બોટ ક્યાં ગઈ? આ બોટમાં ઘૂસણખોરી કરવામાં આવી નથી ને? આ મુદ્દે ગુજરાત પોલીસ અને એજન્સીઓએ ૪૮ કલાકનું તલાશી અભિયાન હાથ ધર્યું છે.
સૂત્રોએ જણાવ્યું કે, પોરબંદરથી ૩૬૫ નોટિકલ માઈલ દૂર બનેલી ઘટનામાં એક બોટને ફૂંકી મારી કોસ્ટગાર્ડને ગૂંચવીને બીજી બોટમાં આતંકીઓ નાસી છૂટયા હોઈ શકે છે. આતંકીઓ સૌરાષ્ટ્ર-કચ્છના સાગરકાંઠેથી ભારતમાં ઘૂસણખોરી કરે તેવી સંભાવના જોતાં ૪૮ કલાકનું તલાશી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જળસીમામાં કોસ્ટગાર્ડ ઉપરાંત નેવીએ પણ UAVથી સર્વેલન્સ શરૂ કર્યું છે. તો, પોરબંદર, જામનગર અને કચ્છના સાગરસિમાડા ઉપર મરીન પોલીસ અને સ્થાનિક પોલીસે તલાશી અભિયાન શરૂ કર્યું છે. કચ્છમાં પગી, સમુદ્રમાં બોટ લઈને જતાં માછીમારો અને સંવેદનશીલ વિસ્તારના સ્થાનિક રહીશોને કોઈપણ શકમંદ વ્યક્તિ, વાહન કે વસ્તુની અવરજવર કે હેરાફેરી થતી જણાય તો તરત જ પોલીસને જાણ કરવા માટે સંદેશો આપવામાં આવી રહ્યો છે.
વિસ્ફોટ કરાયેલી બોટના અવશેષો ભારે ગુપ્તતા સાથે પોરબંદર લવાયા
પોરબંદરથી ૩૬૫ કિ.મી. દુર દરિયામાં કોસ્ટગાર્ડના હાથે પકડાય તે પહેલા જ આતંકવાદી મનાતા ચાર શખ્સોએ જાતે જ ફુંકી મારેલી ફિદાઇન પાક બોટના અવશોષોને લઇ કોસ્ટગાર્ડની રાજરત્ન શીપ પોરબંદર બંદરની જેટી ઉપર આવી પહોંચી હોવાનું જાણવા મળે છે.
જોકે, કોસ્ટગાર્ડની આ શીપમાં એફએસએલની ટીમથી લઇ તપાસનીશ એજન્સીઓને પણ પ્રવેશ આપવામાં આવ્યો નથી. જ્યાં સુધી કોસ્ટગાર્ડની ખીસ તપાસ ટુકડી આવી ન પહોંચે ત્યાં સુધી તમામ બાબતો અંતે ભારે ગુપ્તતા જાળવવામાં આવી રહી છે.
બીજી બાજુ બ્લાસ્ટ થયો ત્યારે અન્ય એક બોટ તુરંત પાકિસ્તાન તરફ પાછી ફરી હોવાની શંકાને પગલે આ બાબતે પણ તપાસ સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે. એવી વિગતો પણ ચર્ચાય છે કે બનાવ બન્યો ત્યારે બે શંકાસ્પદ આતંકવાદી લાઇફ જેકેટ પહેરી દરિયામાં કુદી ગયા હતાં, સુરક્ષા એજન્સીઓ આ મુદ્દાને પણ ચકાસી રહી છે.
હાલ તો આ ઘટનાને પગલે પોરબંદરથી લઇ જામનગર- કચ્છ સુધીના દરિયાઇ વિસ્તારોમાં ઘનિષ્ઠ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં અવરજવર કરતા વાહનોની તલાશી લેવામાં આવી રહી છે.
બોટમાં રહેલા આતંકીઓને રૂ. ૫-૫ લાખ ચૂકવાયા?
સંરક્ષણ મંત્રાલયે બોટમાં રહેલા એક ત્રાસવાદી અને આ હુમલામાં સામેલ અન્ય એક શખસ વચ્ચે ફોન પર થયેલી વાતચીતની ટેપ આંતરી છે. ‘ટાઇમ્સ નાઉ’ના અહેવાલ મુજબ આ વાતચીતમાં એક વ્યક્તિ ફોન પર આ બોટમાં રહેલા એક ત્રાસવાદીને કહી રહ્યો છે કે ‘સામેની બાજુએ સ્થિતિ જોઈને તમારે કામ પાર પાડવાનું છે.’ ફોનમાં સામેથી અવાજ આવ્યો કે બોટમાં રહેલા દરેકના પરિવારને પાંચ-પાંચ લાખ રૂપિયા ચૂકવી દેવાયા છે. અમને શસ્ત્રો મળી ગયા છે.