મકરસંક્રાતિઃ શુભકાર્યોનો પ્રારંભ

Thursday 08th January 2015 04:21 EST
 
 

મકરસંક્રાંતિના દિને ભારતમાં વહેલી સવારે નદી અથવા સરોવરમાં સ્નાન કરવાનું ખૂબ જ મહત્ત્વ છે. જો ત્યાં જઈ શકાય તેમ ન હોય તો પોતાના ઘરમાં જ શુદ્ધ જળમાં તલ તથા ગંગાજળ નાખીને સ્નાન કરી શુદ્ધ થઈને ભૂમિ ઉપર ચંદનથી ષટદલ કમળ દ્વારા રચના કરીને તેના ઉપર સૂર્યદેવનું આહ્વાન કરવું તથા તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરીને તેમાં ચંદન, પુષ્પો, તલ, અક્ષત, ફૂલો અને વિવિધ દ્રવ્યો નાખીને પૂર્વાભિમુખ થઈને સૂર્યદેવને અર્ધ્ય આપીને ઓમ્ હ્રી આદિત્યાય ભાનવે નમ: ના જાપ કરવા અને તલના લાડુમાં પૈસા મૂકીને ગરીબોને દાન આપવું. આમ દાન કરવાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે અને જે લોકો રોગ, ક્રૂર ગ્રહોની પીડાથી પરેશાન હોય તેમને શાંતિ મળે છે તથા સંતાનકામના, વિદ્યાપ્રાપ્તિ, ધનપ્રાપ્તિ’ જેવાં ઇચ્છિત ફળ મળે છે.
સૂર્યદેવ બાર રાશિમાં લગભગ એક એક માસને અંતરે પ્રવેશ કરે છે. તેથી એક વર્ષમાં સૂર્યદેવ બાર રાશિમાં પ્રવેશ કરે છે. આપણે તેને સંક્રાંતિ કહીએ છીએ. એ જ રીતે વર્ષના પણ બે ભાગ પાડવામાં આવે છે. પહેલો ઉત્તરાયણ અને બીજો દક્ષિણાયન. આ બન્ને અયન મળીને એક વર્ષ થાય છે. મકરસંક્રાંતિના દિવસે સૂર્ય પૃથ્વીની પ્રદક્ષિણા કરવાની દિશા બદલીને થોડો ઉત્તરની તરફ ઢળે છે, એટલે કે મકર રાશિમાં પ્રવેશ કરતા આ કાળ કે સમયને ઉત્તરાયણ કહે છે. મકરસંક્રાંતિ એ એક ખગોળીય ઘટના છે અને જેનાથી જડ અને ચેતનની દિશા અને દશા નક્કી થાય છે.
આ તહેવાર એવો છે કે જે અંગ્રેજી મહિના અનુસાર ૧૪ જાન્યુઆરીએ આવે છે. ભારતમાં ધાર્મિક, આધ્યાત્મિક, વૈજ્ઞાનિક અને જ્યોતિષીય દૃષ્ટિએ મકરસંક્રાંતિનું વિશેષ મહત્વ છે. મકરસંક્રાંતિ પહેલાં સૂર્ય ધન રાશિમાં હતો. ધન રાશિમાં સૂર્ય પ્રવેશ કરે છે ત્યારે ભારતીય પંચાંગ પ્રમાણે કમુરતાં ચાલતાં હોય છે. એટલે કે લગ્ન કે શુભ કાર્યો થઇ શકતાં નથી.
વિવિધ પુરાણોમાં જણાવ્યા મુજબ સૂર્યદેવનો જન્મ કશ્યપ મુનિના અંશ અને માતા અદિતિના ગર્ભથી થયેલો એટલે સૂર્યદેવ આદિત્યના નામથી જાણીતા થયા. સૂર્યદેવ વિશ્વની છેલ્લી હદ સુધી વિચરણ કરે છે અને તે મેરુ ગિરિનાં ઊંચાં શિખરો ઉપર મહાલતાં રાણી રાંદલના ઓરડે નિત્ય જાય છે.
સૃષ્ટિ પરની કોઈ એવી વસ્તુ નથી કે સૂર્યદેવ એને જોઈ ન શક્યા હોય. પુરાણો જણાવે છે કે, સૂર્ય પૃથ્વીથી એક લાખ જોજન દૂર છે અને વિધાતા વિશ્વકર્મા દેવ તેનું સંચાલન કરે છે. તેથી સૂર્યને ચંદ્ર, પૃથ્વી આદિ સઘળા ગ્રહો પ્રદક્ષિણા કરે છે. સૂર્ય પોતે બાર સ્વરૂપ ધારણ કરે છે તેથી બાર માસમાં સૂર્યદેવ બારે રાશિઓમાં પ્રવેશ કરે છે. એક એક માસે એક એક રાશિમાં સંક્રમણ કરે છે. સંક્રમણથી સંક્રાંતિ થાય છે. આ રાશિઓ પ્રમાણે થતી સંક્રાંતિમાં પૂર્ણ કર્મ કરવાથી વ્યક્તિને ચોક્કસ લાભ થાય છે.
ધન, મિથુન, મીન, કન્યા રાશિમાં ધન રાશિનું સંક્રમણ ષડ્શીત સંક્રાંતિ કહેવાય છે અને વૃષભ, વૃશ્વિક, કુંભ અને સિંહ રાશિ ઉપરનું સંક્રમણ વિષ્ણુપદી સંક્રાતિ કહેવાય છે. ષડ્શીત નામની સંક્રાંતિમાં કરેલ પુણ્યનું ફળ ૮૬ હજાર ગણું મળે છે અને વિષ્ણુપદી સંક્રાતિનું પુણ્ય લાખ ગણું મળે છે. ઉત્તરાયણ અને દક્ષિણાયનમાં આરંભના દિવસે કરેલું પુણ્ય કોટી કોટી ગણું અધિક થાય છે. બન્ને અયનોને દિવસે જે કોઈ પુણ્યનું કાર્ય કરવામાં આવે છે તે અક્ષય થાય છે. મકરસંક્રાંતિના રોજ દિવસ ઊગ્યા પહેલાં જપ, તપ, દાન, સ્નાન, શ્રદ્ધા, તર્પણનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે શુદ્ધ ઘી અને કામળાનું દાન મોક્ષ આપે છે.
સ્કંદપુરાણમાં જણાવ્યા મુજબ મકરસંક્રાંતિના દિવસે તલ, ફળ, ઘી, ગોળ, અનાજ, કપડાં અને સુવર્ણના દાનનો મહિમા અપરંપાર છે. આવા પ્રકારનાં ગુપ્તદાન આપનાર દાતા ઉપર સૂર્યદેવ તેનું ફળ અનેક ગણું કરીને બીજા જન્મમાં પાછું આપે છે. આ દિવસે શનિદેવની શાંતિ માટે સુવર્ણ, કાળા તલ, લોખંડ, ઈન્દ્ર જવ, નિલમ, અડદ, સરસિયું તેલ, કામળી, કાંચરી, છત્રી, કાળું વસ્ત્ર અને ભેંસનું દાન કરવાથી સંપૂર્ણ શાંતિ થાય છે. ઉત્તરાયણ એ સૂર્યનું પવિત્ર અયન ગણાય છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતાના આઠમાં અધ્યાય ‘અક્ષર બ્રહ્નયોગ’માં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે : ઉત્તરાયનમાં મૃત્યુ પામેલા બ્રહ્નજ્ઞાની બ્રહ્નપદને પામે છે. જ્યારે પાછલાં છ માસના દક્ષિણાયનમાં મૃત્યુ પામનાર ચંદ્રની જ્યોતિ પામી ફરી આલોકમાં આવે છે. મહાભારત કાળમાં અર્જુનનાં બાણોથી વિંધાઈને બાણશય્યા પર સૂતેલા અને ઈચ્છા મૃત્યુનું વરદાન ધરાવતા ભીષ્મપિતામહે પોતાનો દેહ ત્યાગવા માટે મકરસંક્રાતિના દિવસની જ પસંદગી કરી હતી. આ પર્વ જીવનમાં સંકલ્પ લેવા માટેનો શુભ દિવસ પણ છે.
મકરસંક્રાંતિ મૂળ હિન્દુ ધર્મનું પર્વ છે. આર્ય ધર્મ અને આર્ય સંસ્કૃતિનો ઉત્સવ છે. મધ્ય એશિયાથી ઈરાન થઈ જ્યારે આર્યો હિન્દુસ્તાનમાં પ્રવેશ્યા ત્યારે તેની યાદગીરીનો ઉત્સવ એટલે મકરસંક્રાતિ. આ દિવસે પતંગ ઉડાડવાની પરંપરાનો ઉલ્લેખ રામચરિત માનસમાં તુલસીદાસે પણ કર્યો છે તેમાં બાલકાંડમાં ઉલ્લેખ છે કે ‘રામ ઈક દિન ચંગ ઉડાઈ ચંદ્રલૌક મેં પહૂંચી ગઈ.’
ત્રેતાયુગમાં એવા ઘણા પ્રસંગ છે જ્યારે ભગવાન શ્રીરામે પોતાના ભાઈઓ અને હનુમાનજી સાથે પતંગ ઉડાડી હતી. તો વળી પતંગબાજી સાથે સંકળાયેલો આ દિવસનો ઈતિહાસ પણ રસપ્રદ છે. પતંગબાજીનો શોખ આમ તો નવાબી શોખ કહેવાતો અને સૌપ્રથમ ઈ.સ. પૂર્વ ૨૦૬માં પ્રથમ પતંગ ચગાવનાર ચીનના હુઆન થેંગ હતા તેમ માનવામાં આવે છે. તેમણે પ્રથમ ભમરા જેવી પતંગ બનાવી હતી. ચીનમાં પતંગનો ઉપયોગ લશ્કરમાં સંકેત તરીકે થતો હતો.
આ પતંગબાજીનો શોખ ઊડતાં ઊડતાં ભારતખંડમાં, પશ્ચિમ એશિયામાં, અગ્નિ એશિયામાં, ઈજિપ્તમાં, ગ્રીસ અને હિન્દુસ્તાનમાં સર્વપ્રથમ પતંગબાજી વર્ષ ૧૭૫૦માં શાહઆલમના સમયમાં પૂરબહારમાં ચગ્યો હતો. નવાબો તેમ જ શહેનશાહોએ આ પતંગબાજીને શાહી રમતનો દરજજો આપ્યો જે ફૂલીફાલીને અમદાવાદ, સુરત જ નહીં બલકે સમગ્ર ગુજરાતમાં મોજમજા અને પ્રમોદનો લહાવો લૂંટતી પ્રજાજનોના ઉત્સવપ્રિય માનસને સંતોષી રહી છે.
મકરસંક્રાતિનું પર્વ પ્રાચીન અને વ્યાપક પણ છે. ભારતમાં સંક્રાંત અનેક નામે પ્રચલિત છે. જેમ કે પંજાબમાં લોહડી, મહારાષ્ટ્રમાં ક્રિકાંતિ અને ભોગી, બંગાળમાં સંક્રાંતિ, તમિલનાડુ અને દક્ષિણ ભારતમાં પોંગલ, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં સંક્રાંત, પૂર્વ ઉત્તર પ્રદેશ અને બિહારમાં ખીચડી અને ગુજરાતમાં તેની મકરસંક્રાંતિ કે ઉત્તરાયણના નામથી ઊજવણી થાય છે.
ઉત્તરાયણની આગલી રાતથી પતંગોત્સવની ઉજવણીમાં નાના-મોટા સહુ લોકો પરોવાઈ જાય છે. ઉત્તરાયણના દિવસે ફૂલગુલાબી વાતાવરણમાં પતંગોત્સવના મહિમાની સાથે સાથે તલ અને ગોળ તથા સીંગની ચિક્કી, શેરડી, જામફળ, બોર, ખજુર, જીંજરા અને ચટાકેદાર સુરતી ઊંધિયું અને રસઝરતી જલેબી ખાવાનું ચલણ માત્ર ગુજરાતીઓમાં જ છે. રાત્રે ફટાકડાની આતશબાજી વચ્ચે આ પર્વને હર્ષોલ્લાથી ઊજવે છે. આમ મકરસંક્રાંતિએ આકાશ, પ્રકાશ, પ્રકૃતિ અને સંસ્કૃતિનું અનેરું પર્વ છે.


comments powered by Disqus