‘સેઇલ’માં સેલઃ ડિસઇન્વેસ્ટમેન્ટની દિશામાં મોદી સરકારનું પહેલું પગલું

Thursday 12th February 2015 05:49 EST
 
 

નવી દિલ્હીઃ મોદી સરકારે સરકારી સ્ટીલ કંપની સ્ટીલ ઓથોરિટી ઓફ ઇંડિયા (‘સેઇલ’)નો પાંચ ટકા હિસ્સો રૂ. ૮૩ના તળિયાના ભાવે વેચીને જાહેર સાહસોના ડિસઇન્વેસ્ટમેન્ટની દિશામાં પહેલું પગલું ભર્યું છે. આ વેચાણથી કેન્દ્રને રૂ. ૧૫૦૦થી ૧૭૦૦ કરોડ મળવાનો અંદાજ છે.
નાણાં મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે ‘સેઇલ’નો પાંચ ટકા હિસ્સો પ્રતિ શેર ૮૩ રૂપિયાના ભાવે વેચીને સરકાર ૧૫૦૦થી ૧૭૦૦ કરોડ ઉભા કરવાની આશા રાખે છે. નવી સરકાર દ્વારા જાહેર સાહસની કંપનીના શેર વેચવાનો આ પ્રથમ પ્રસંગ છે. સરકારે શુક્રવારથી ઓફર ફોર સેલનો પ્રારંભ કર્યો છે.
પશ્ચિમ બંગાળના બર્નપુર ખાતે આવેલો ‘સેઇલ’ પ્લાન્ટના શેર તળિયાના ભાવે વેચાણમાં મૂકવાથી ‘સેઇલ’ના હાલના ભાવ કરતા ખરીદનારને ૨.૭૫ ટકાનું ડિસ્કાઉન્ટ મળશે. કુલ વેચાણના ૧૦ ટકા શેર રીટેલ ગ્રાહકો માટે અનામત રખાશે.
ઉલ્લેખનીય છે કે, સરકારે સેઇલના ૧૦.૮૨ ટકા શેર વેચવાનો નિર્ણય ૨૦૧૨માં લીધો હતો, તે મુજબ પ્રથમ તબક્કામાં ૫.૮૨ ટકા શેર માર્ચ ૨૦૧૩માં વેચાણમાં મૂક્યા હતા. બાકીનો પાંચ ટકા હિસ્સો હવે વેચાશે.
નોંધનીય છે કે મોદી સરકારે ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા કુલ રૂ. ૧૬,૦૦૦ કરોડ એકઠા કરવાનું નક્કી કર્યું છે.


comments powered by Disqus