જૂની વાતો યાદ કરીને પાર્ટનર સાથે ઝઘડો છો? તો સંબંધો પર જોખમ છે

Wednesday 08th April 2015 06:28 EDT
 

ન્યૂ યોર્કઃ માત્ર પતિ-પત્ની જ નહીં, મિત્રો, ભાઈ-બહેનો કે માતાપિતા સાથે કોઈ મતભેદ, કે ઝઘડો થાય ત્યારે કેટલાક લોકો એ વખતે તો મૌન રાખે છે, પણ અઠવાડિયાં, મહિનાઓ પછી એની એ વાત ઉખેળીને ફરી ચર્ચા શરૂ કરે છે. આ આદત સંબંધો માટે ખૂબ ખરાબ છે.
માર્ગોટ બ્રાઉન નામની અમેરિકન લેખિકાએ સુખી લગ્નજીવન માટેની ચાવીઓ આપતી ‘કિકસ્ટાર્ટ યોર રિલેશનશિપ નાવ’માં કહ્યું છે કે કોઈ પણ મુદ્દાની ચર્ચા ૭૨ કલાકની અંદર કરીને એને સોલ્વ કરી લેવી જોઈએ. લાંબો સમય એ મતભેદો, અણગમો અને નકારાત્મક ફીલિંગ મનમાં સંઘરી રાખવાથી સંબંધોનું આયુષ્ય ઘટે છે.
આ પુસ્તકમાં લેખિકાએ સુખી રહેવા ઇચ્છતાં યુગલોને સલાહ આપી છે કે જો કોઈ ઇશ્યુ હોય તો એની તરત અથવા તો ત્રણ દિવસની અંદર જ ચર્ચા કરી લો, નહીંતર એ વાતને મનમાંથી કાઢી નાખો. અઠવાડિયાઓ, મહિનાઓ અને વર્ષો પછી જૂના ઇશ્યુઝ ખોતરીને એની ચર્ચા કરવાનો કોઈ ફાયદો નથી.
અમેરિકામાં ફેમિલી થેરપિસ્ટ તરીકે કામ કરતા માર્ગોટ બ્રાઉનનું કહેવું છે કે ઝીણી ઝીણી બાબતોનું સતત મનદુખ સંબંધો માટે સ્લો પોઇઝન સમાન છે. આ નિયમ પાળવાથી ૬૦ ટકા ઇન્ટરપર્સનલ રિલેશનશિપના મુદ્દા આપમેળે સોલ્વ થઈ જાય છે અને મોટું સ્વરૂપ ધારણ નથી કરતાં એવો મારી ૨૧ વર્ષની પ્રેક્ટિસનું તારણ છે.


comments powered by Disqus