જયપુરઃ જો પુરુષોએ હાર્ટએટેકથી બચવું હોય તો તેમની કમરને વધતી અટકાવવી જોઇએ. જો કમર ૩૬ ઇંચ કરતા વધી જાય તો હાર્ટએટેકનું જોખમ વધારે રહે છે. મહિલાઓની કમર ૩૬ ઇંચથી વધારે હોય તો તેમને પણ આવું જ જોખમ રહે છે.
દેશના અગ્રણી હાર્ટસ્પેશિયાલિસ્ટ ડો. નરેશ ત્રેહાને તાજેતરમાં જયપુરમાં ‘દાસ્તાં-એ-દિલ દિમાગ’ કાર્યક્રમમાં આ માહિતી આપતાં કહ્યું હતું કે અઠવાડિયામાં પાંચ વખત કાર્ડિયાક એક્સરસાઇઝ કરવી જોઈએ એટલે કે ૪૫ મિનિટ સુધી ચાલવું જોઈએ.
ડો. ત્રેહાને કહ્યું હતું કે જો તમારે હાર્ટને તંદુરસ્ત રાખવું હોય તો કેટલીક બાબતોનું ધ્યાન અવશ્ય રાખવું જોઇએ. જેમ કે,
• હાઇ રિસ્ક ગ્રૂપ હોય તો, ૨૦ વર્ષની વયે અને ફેમિલી હિસ્ટ્રી ન હોય તો ૩૦ વર્ષની વયે પહેલું ચેકઅપ કરાવવું. • છાતીમાં દર્દ થાય અને પરસેવો આવે તો એસ્પ્રિનની ગોળી એક ગ્લાસ પાણીમાં ઓગાળીને પી લેવી. • હાર્ટએટેક આવે ત્યારે ગોલ્ડન પીરિયડ ૬૦ મિનિટ હોય છે. દસથી પંદર મિનિટ સુધી એન્જાઇના અથવા એસિડિટી થાય તો તુરંત નજીકની હોસ્પિટલમાં કાર્ડિયોગ્રામ કરાવો. • આર્ટરિઝમાં ૩૦ ટકા સુધી બ્લોકેજ હોય તો દવાઓ અને લાઇફસ્ટાઇલ બદલવાથી ઠીક થઈ શકે છે. જો બ્લોકેજ વધારે હોય તો બાયપાસ સર્જરી કરવી જોઈએ. ડાયાબિટીસના દર્દીમાં સ્ટેન્ટ લગાવવું લાભદાયી હોતું નથી. • સૌથી વધારે પસંદ હોય તેવી ચીજો સૌથી ઓછી ખાવ. • રિફાઇન્ડ ફ્લોર, મેંદો, ખાંડના બદલે મિશ્રિત અનાજની રોટલી, અને સુકામેવાથી કાર્બોહાઇડ્રેટ્સ લો. • એક મુઠ્ઠીમાં જેટલા ડ્રાયફ્રૂટ આવે એટલા જ રોજ ખાવ. બદામ, અખરોટ, પિસ્તા લાભદાયી રહે છે, પણ કાજુ ઓછા ખાવા જોઈએ. • સતત સ્ટ્રેસ હૃદય માટે હાનિકારક છે. માટે અઠવાડિયામાં ત્રણ વખત અડધો કલાક યોગ અવશ્ય કરો.