ન્યૂ યોર્કઃ વ્યક્તિ નાનીમોટી શારીરિક તકલીફોના નિવારણ માટે વારંવાર પેઇનકિલર દવાઓ ફાકતી રહેતી હોય તો એનાથી લાંબા ગાળે ડિપ્રેશનનું જોખમ રહે છે. અમેરિકાની સેન્ટ લૂઇ યુનિવર્સિટીના રિસર્ચરોએ ડિપ્રેશનના દર્દીઓમાં પીડાશામક દવાઓનો વપરાશ કેટલો હોય છે એ જાણવા માટે અભ્યાસ કર્યો હતો. જેમાં એ બાબત પર ધ્યાન કેન્દ્રીત કરાયું હતું કે વ્યક્તિ ડિપ્રેશનમાં હોય ત્યારે તેને થતી વારંવારની પીડા કે દુઃખને ટાળવા માટે તે કેટલી પેઇનકિલર્સ લે છે તેનો અભ્યાસ કરવો.
રિસર્ચરોએ ડિપ્રેશનથી પીડાતા દર્દીઓનો ભૂતકાળ તપાસતાં જાણવા મળ્યું હતું કે હકીકતમાં આ દર્દીઓ જ્યારે ડિપ્રેશનમાં નહોતા ત્યારે વધુ માત્રામાં પેઇનકિલર્સ લેતા હતા. એટલું જ નહીં, જેટલી વધુ પીડાશામક દવાઓ લેવામાં આવી હતી એટલું જ વધુ તીવ્ર અને ગંભીર ડિપ્રેશન એ વ્યક્તિ અનુભવે છે એવું પણ આ અભ્યાસમાં નોંધાયું છે. જ્યારે વ્યક્તિ લાંબા ગાળા માટે ઓપિઓઇડ પ્રકારની પેઇનકિલર ડ્રગ્સે લેતી હોય છે ત્યારે એને ડિપ્રેશન આવવાનું જોખમ સૌથી વધુ હોય છે.