ધાર્મિક ઝનૂનની પરાકાષ્ઠાઃ ઓવૈસી અને તોગડિયા

વિશ્વ હિંદુ પરિષદના સુવર્ણ જયંતી વર્ષમાં ૧૦૦ કરોડ હિંદુઓ સામે ૨૫ કરોડ મુસ્લિમોને ઉશ્કેરીને લોહીની નદીઓ વહાવવાની ઘોષણાઓ

ડો. હરિ દેસાઈ Tuesday 10th February 2015 13:20 EST
 

સમગ્ર ભારત વિશ્વમંચ પર કેન્દ્રસ્થાને આવી રહ્યાનું સતત અનુભવાઇ રહ્યું છે. હમણાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને એમના અંગત મિત્ર (નરેન્દ્રભાઇની દૃષ્ટિએ) એવા અમેરિકી રાષ્ટ્રપતિ બરાક હુસૈન ઓબામાના ઇલુ-ઇલુ પછી બરાકે મોદી ભણી વાક્બાણનો મારો, ગાંધીજીની આડશ લઇને, ચલાવ્યો એ પછી વિશ્વમંચ પરનો નજારો રોચક બની રહ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ઓબામાએ નિવૃત્તિ વેળા ભારતનું ભલું કરવા નહીં, પણ અમેરિકનોમાં પોતાની શાખ વધારવા માટે ભારતમાં ચાર બિલિયન ડોલરનું રોકાણ કરવા સામે ૧૦ બિલિયન ડોલરનો ધંધો મેળવ્યો. અને છોગામાં પાકિસ્તાનને પણ અબજો ડોલરની સહાય કરીને રાજી કરી દીધું. વિશ્વના દેશો વચ્ચેના સંબંધો બહારથી દેખાય એટલા સુંવાળા અને સુમધુર હોતા નથી, એ રાષ્ટ્રીય સત્તાકારણના નવા ખેલાડીઓને સમજાઇ જવું રાષ્ટ્રહિતમાં લેખાશે.
ઘરઆંગણે ઘરવાપસી અને હિંદુરાષ્ટ્રની રોકકળ અને ઉહાપોહ વધુ છે અને 'પરોપદેશે પાંડિત્યં સર્વેષાં સુકુરં નૃણામ્' એટલે અન્યોને ઉપદેશ આપવામાં કોઇ મણા નહીં રાખનારાઓને બીચમેં મેરા ચાંદભાઇની ભૂમિકા ભજવવાનું ફાવે છે. હમણાં મહારાષ્ટ્ર અને કર્ણાટકની ઘટનાઓનો સાથે અભ્યાસ કરવા જેવો છે.
ભારતને હિંદુરાષ્ટ્ર જાહેર કરવાના આગ્રહી વિશ્વ હિંદુ પરિષદના સુપ્રીમો ડો. પ્રવીણ તોગડિયા અને મજલિસે ઇત્તેહાદૂલ મુસલમીન (એમઆઇએમ)ના ટોચના નેતા અને આંધ્ર-તેલંગણની રાજધાની હૈદરાબાદમાં ફરી નિઝામશાહી સ્થાપવાનાં સ્વપ્ન જોનારા અકબરુદ્દીન ઓવૈસી અને એમના મોટા ભાઇ, જેઓ એમઆઇએમના સાંસદ છે એ, અસદુદ્દીન ઓવૈસી રીતસર ધાર્મિક ઝનૂનની પરાકાષ્ઠા સર્જીને સમગ્ર દેશને ફરી એક વિભાજન ભણી ધકેલવાનો પ્રયાસ કરી રહેલા લાગે છે. કેન્દ્રમાં મોદી સરકાર અને રાજ્યોની ભાજપ કે કોંગ્રેસની સરકારો રીતસર તમાશબીન બની રહ્યાનું અનુભવાય છે.
ઓછામાં પૂરું, તેલંગણ રાજ્યના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવ નિઝામશાહીના સમર્થક બંધુઓને સંરક્ષણ પૂરું પાડે છે. ચોર કોટવાળને દંડે એવા ખેલ ચાલી રહ્યા છે. એમઆઇએમ નેતા વડા પ્રધાન મોદીને હિટલર ગણાવે છે તો સામે પક્ષે ભાજપની નેતાગીરી તેલંગણના ઓવૈસીપ્રેમી મુખ્ય પ્રધાન રાવને હિટલર ગણાવે છે.
ક્યારે, ક્યાં, કેવા કોમીભડકા થશે અને દેશની આઝાદીના સમયગાળામાં જે પ્રકારનાં કોમી વિભાજનો સર્જાયાં એવા સંજોગો આકાર લેશે એ કહેવું મુશ્કેલ બની જશે. પરિસ્થિતિ વણસી ગયા પછી એને અંકુશમાં લાવવાનું મુશ્કેલ બને એટલે વડા પ્રધાન મોદીએ આંતરિક સુરક્ષાની સ્થિતિ જાળવવા તેમ જ દેશનાં વિવિધ રાજ્યોની વિવિધ પક્ષોની સરકારો સાથે રાષ્ટ્રહિત કાજે સંવાદ અને સરદાર પટેલની કડકાઇવાળા વહીવટનો અનુભવ કરાવવો પડશે.
કર્ણાટક રાજ્યમાં અત્યારે કોંગ્રેસના સિદ્ધરામૈયાની સરકાર છે. છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની હાર થયા પછી કર્ણાટકનાં હિંદુ પરિબળો વધુ આક્રમક બનવાં સ્વાભાવિક છે. હમણાં બેંગાલૂરુમાં આયોજિત વિરાટ હિંદુ સમાવેશમાં નિમંત્રિત મુખ્ય વક્તા ડો. તોગડિયાના શહેરમાં આગમન પર જ પોલીસ કમિશનર એમ. એન. રેડ્ડીએ પ્રતિબંધ ફરમાવ્યો. વિમાનમથકે જ ડો. તોગડિયાની ધરપકડ થઇ. એમને કર્ણાટકની હાઇ કોર્ટે પણ 'ખતરનાક' માણસ ગણાવીને બેંગાલૂરુ પોલીસના પક્ષને વાજબી લેખાવ્યો હતો.
જોકે વિશ્વ હિંદુ પરિષદના સુવર્ણજયંતી વર્ષની ઉજવણીના ભાગરૂપે થયેલા બેંગાલૂરુના વિશાળ આયોજનમાં ડો. તોગડિયાના પહેલાંથી રેકોર્ડ કરેલા ૧૫ મિનિટના પ્રવચનનો વીડિયો રજૂ થયો, એને પણ કર્ણાટક પોલીસે ગુનો ગણાવ્યો. ડો. તોગડિયા ઝનૂનપૂર્વક વાત કરવા માટે જાણીતા છે. એમની આક્રમક શૈલીના ભાષણથી કોમી અથડામણો સર્જાવાની ધાસ્તીથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળે નહીં એ માટે કર્ણાટક સરકારે આગોતરી કાળજી લીધી હોય ત્યારે ડો. તોગડિયાએ કઇ બાબતો વીડિયો વ્યાખ્યાનમાં રજૂ કરી એ પણ જાણવી જરૂરી છેઃ બરાક હુસૈન ઓબામા જેવી વ્યક્તિએ ભારતને સહિષ્ણુતાની શીખ આપવાની જરૂર નથી, દેશમાં હિંદુ શાસનના ગૌરવને પુનર્સ્થાપિત કરીએ, ઘરવાપસીને વ્યાપક બનાવીએ, સમાન નાગરીક ધારાનો અમલ કરવા ઉપરાંત દેશમાં વસતા ત્રણ કરોડ બાંગલાદેશીઓને પાછા તગેડીએ. આ હતા મુખ્ય મુદ્દા.
અમારી દૃષ્ટિએ તોગડિયાએ જે મુદ્દા ઉઠાવ્યા એ વાજબી છે, છતાં સરદાર પટેલે જેને 'પાગલોં કા ખયાલ' ગણાવ્યો એ 'હિંદુરાષ્ટ્ર'ની જાહેરાત માટે આરએસએસના વડા મોહનરાવ ભાગવતથી લઇને ડો. તોગડિયા સુધીનાની ઘોષણાઓ વાસ્તવમાં દેશ અને વિદેશમાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓ માટે અજંપો જરૂર સર્જે છે.
હિંદુવાદી નેતાઓ અને ભાજપના સાંસદો ઘરવાપસી અને હિંદુરાષ્ટ્રને નામે સમયાંતરે ઊંબાડિયાં કરતા રહીને દેશભરમાં કોમી એખલાસના વાતાવરણને દૂષિત કરતા રહે છે. એમાંય પાછું રાષ્ટ્રીય સ્તરે અને રાજ્યોમાં ભાજપના વડપણવાળી સરકાર હોય ત્યારે નિરંકુશ હિંદુવાદી નેતાઓનાં નિવેદનો ભલે કોઇ વ્યૂહના ભાગરૂપે જ કરાતાં હોય, પણ એમનાથી શાસકોની છબિ ધૂમિલ જરૂર થાય છે.
વાત અહીં અટકતી નથી. હિંદુવાદી નેતાઓ આક્રમક શૈલીમાં ઉશ્કેરણીજનક ભાષણો કે વિવાદાસ્પદ નિવદનો કરતા રહે છે, પણ મુસ્લિમ આગેવાનો તો દેશને ફરીને તોડવા કે હિંસા સર્જી લોહીની નદીઓ વહાવવાની રીતસર હાકલ કરે છે. આંધ્ર પ્રદેશનું બે રાજ્યોમાં વિભાજન થયું. હૈદરાબાદ સહિતના તેલંગણ રાજ્યના મુખ્ય પ્રધાન તથા તેલંગણ રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)ના સુપ્રીમો કે. ચંદ્રશેખર રાવને ઓવૈસી બંધુઓ માટે કોણ જાણે કેમ પ્રેમ ઉભરાઇ જાય છે કે તેમનાં માત્ર ઉશ્કેરણીજનક નહીં, દેશમાં કત્લેઆમની હાકલ કરતાં અકબરુદ્દીન ઓવૈસીનાં ભાષણો થકી જે ધાર્મિક ઉન્માદ સર્જવામાં આવે છે તે સામે કોઇ કાનૂની કાર્યવાહી કરવાનું અપનેવાલે રાવ ટાળે છે.
અકબર ઓવૈસી અને અસદ ઓવૈસીના 'જલસાઓ' કે 'તકરીર'માં મંચ પર અનેક વાર પાકિસ્તાની મહેમાનો પણ હાજર હોવા છતાં તેઓ ખુલ્લેઆમ મુસ્લિમોની સુરક્ષા અને અનામત સહિતના અધિકારોની વાત કરવા કરતાં હિંદુ દેવ-દેવીઓને ભાંડવા, સંઘ પરિવાર અને નરેન્દ્ર મોદી જ નહીં, એ વેળાના કોંગ્રેસી મુખ્ય પ્રધાન કિરણ કુમારની રીતસર ઠેકડી ઉડાવવા જેવાં આક્રમક નિવેદનો કર્યા પછી થોડા દિવસ જેલમાં ગાળ્યા પછી વધુ મજબૂત થઇને બહાર આવે છે.
અત્યાર લગી નિઝામના હૈદરાબાદના જૂના પ્રદેશમાં જ પોતાની વગ ધરાવતા આ કટ્ટરવાદી મુસ્લિમ પક્ષે હવે મહારાષ્ટ્રમાં પણ ધારાસભામાં બેઠકો જીતીને પગપેસારો કર્યો છે. હવે ઉત્તર પ્રદેશ પર ચડાઇ કરવાની ઘોષણા કરીને ત્યાંના સમાજવાદી પક્ષને ચિંતામાં ગરકાવ કરી દીધો છે. નવાઇ એ વાતની છે કે મહારાષ્ટ્રની ભાજપ સરકારે કોમી ઉશ્કેરણી માટે નામચીન એવા એમઆઇએમના નેતાઓને પૂણેમાં સભા સંબોધવાની મોકળાશ આપી અને મુંબઇ તથા થાણેમાં એવી છૂટ નકારી.
અકબરુદ્દીન ઓવૈસી અને પ્રવીણ તોગડિયા ધાર્મિક ઝનૂનની પરાકાષ્ઠાનાં દર્શન કરાવતાં હોય એવાં નિવેદનો કરતા હોવાનું યુ-ટ્યુબ પર પ્રસારિત તેમનાં ગરમાગરમ ભાષણો સાંભળતાં અનુભવાય છે. દેશના માહોલને ફરીને કોમી વિભાજન ભણી ધકેલવાની દિશામાં આગળ વધારવા માટે કારણભૂત સાબિત થઇ શકે તેવાં એ ભાષણોના થોડા અંશ, અસંમતિ સ્પષ્ટ કરતાં, અમો અહીં રજૂ કરીએ છીએ.
હૈદરાબાદમાં ફરીને નિઝામશાહી સ્થાપવા થનગનતા એમઆઇએમના નેતા અકબરુદ્દીન ઓવૈસી 'એઇ હિંદુસ્તાન'ને પડકારીને પોતાના રાષ્ટ્રદ્રોહી વલણનો પરિચય આપી સમર્થકોમાં ઉન્માદ સર્જતાં જાહેર ધમકી આપે છેઃ 'પોલીસને પંદર મિનિટ હટાવી લ્યો અને જુઓ ૨૫ કરોડ મુસલમાનો ૧૦૦ કરોડ હિંદુઓના લોહીની નદીઓ વહાવે છે કે નહીં... આ દેશની તકદીર મુસલમાનો જ લખશે.' પ્રત્યેક એકશનના રિએકશનની વાત કરીને ઓવૈસી મુંબઇના બોમ્બવિસ્ફોટને બાબરીધ્વંશ અને ગુજરાતની કોમી અથડામણોના પ્રત્યાઘાતનું પરિણામ લેખાવી ન્યાયોચિત ગણાવે છે. કસાબને ફાંસીએ લટકાવી દીધો, ટાયગર મેમણને સજા ફરમાવાઇ, પણ હજુ બાબરી ધ્વંશના દોષિતોને કોઇ સજા થઇ નથી. મુસલમાનોને ઇન્સાફ અને અનામતનો આગ્રહ કરતાં સંઘ, ભાજપ, બજરંગ દળ, વીએચપીને એ ખુલ્લેઆમ પડકારે છે. મોદી અને મુખ્ય પ્રધાન વિશે અશોભનીય શબ્દપ્રયોગ કરે છે. દેવ-દેવીઓની ઠેકડી ઉડાવતાં 'હર આઠ દિનમેં હિંદુઓં કા એક નયા ખુદા પૈદા હો જાતા હૈ' કહે છે. ગોમાંસ ખાવાની મજા આવે છે અને હિંદુઓ જ એમની ગાયમાતાને વેચે છે એવું ઓવૈસી કહે છે. ઓવૈસી બંધુઓમાં નાનો ભાઇ વધુ ઝેરીલાં પ્રવચન માટે જાણીતો છે અને મોટા ભાઇ બાજી સંભાળી લેવા માટે.
સામે પક્ષે ડો. તોગડિયા હિંદુ આસ્થાસ્થળો પરના હુમલા કે તેમના ધ્વંશ માટે ઇસ્લામની જિહાદી વિચારધારાને જવાબદાર લેખાવે છે. જેહાદી આતંકવાદના પ્રતિકાર માટે ધર્મયુદ્ધની હાકલ કરે છે. જેહાદના ઉત્તરમાં (૧) ધર્મયુદ્ધ (૨) જેહાદીઓનો આર્થિક બહિષ્કાર અને (૩) જેહાદનું શિક્ષણ આપતા પવિત્ર કુરાન પર પ્રતિબંધની માગણી કરે છે. અકબરુદ્દીનને 'કૂતરા' સાથે સરખાવીને એના થકી હિંદુઓની કત્લેઆમની ધમકી અને પોલીસ હટાવી લેવાય તો મુસ્લિમોની શી વલે થાય તેનાં થોડાં ઘણાં ઉદાહરણો આપીને ઓવૈસીને તોગડિયા પડકાર ફેંકે છે કે બિહાર અને અન્યત્ર લાશોના જે ઢગલા થયા તેમાં હિંદુની એકેય લાશ નહોતી.
વિશ્વ જ્યારે અહિંસાના પૂજારી એવા મહાત્મા ગાંધીનું આદર સાથે સ્મરણ કરીને વિશ્વશાંતિ માટે એમણે ચીંધેલા માર્ગે આગળ વધવા ભણી પ્રયત્નશીલ હોય ત્યારે ગાંધીજીના પોતાના દેશમાં, ગાંધીજીના પોતાના જ પ્રદેશના એટલે કે સૌરાષ્ટ્રના ડો. તોગડિયા સહિતના હિંદુનેતા ધર્મયુદ્ધની હાકલ કરતા હોય ત્યારે ગાંધીજીનો આત્મા, જ્યાં પણ હોય, કણસવો સ્વાભાવિક છે. હિંસાનો ઉત્તર હિંસાથી જ આપવાની માનસિકતા દેશની યુવાપેઢીને પણ આકર્ષતી હોવાનું અનુભવાય છે. જોકે આ સઘળો ઘટનાક્રમ આવકાર્ય નથી, અને ખાસ કરીને હિંદુ ધર્મ અને હિંદુવાદી ગણાતા પક્ષનું દેશ પર શાસન હોય ત્યારે સંયમ જાળવવો અનિવાર્ય બની જાય છે. શાસકોએ કાયદાની મર્યાદામાં રહીને કડક પગલાંની ધાક સમાજમાં ભાંગફોડ કરવા કે હિંસા ફેલાવવા ઉત્સુક તત્વો પર બેસે એટલો કડકાઇનો પરિચય તો કરાવવો ઘટેઃ ભલે પછી એ અકબરુદ્દીન ઓવૈસી હોય કે પ્રવીણ તોગડીયા.


comments powered by Disqus