વોશિંગ્ટનઃ થોડા દિવસ પણ જો તમે શારીરિક પ્રવૃતિઓથી દૂર રહ્યા તો તમારા શરીરની રક્તવાહિનીઓને નુકસાન થઈ શકે છે. આ સ્થિતિમાં ખાસ તો પગની રક્તવાહિનીઓને નુકસાન થયા પછી નૈસર્ગિક રીતે તેના સમારકામમાં લાંબો સમય લાગે છે એવું તારણ એક અભ્યાસમાં નીકળ્યું છે.
મિસૌરી સ્કુલ ઓફ મેડિસીનના સંશોધકોએ હાથ ધરેલા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે રોજિંદા ક્રમમાં જો શારીરિક પ્રવૃતિમાં માત્ર થોડા દિવસો માટે ઘટાડો આવે તો પણ યુવાન અને સ્વસ્થ લોકોના પગમાંની રક્તવાહિનીઓને નુકસાન થાય છે અને વાસ્ક્યુલર ડિસ્ફંક્શનની સમસ્યા સર્જાઈ છે. જેની અસર લાંબા સમય સુધી જોવા મળે છે. સંશોધકોની ટીમના લીડર એસોસિએટ પ્રોફેસર પૌલ ફેડલે અને જ્હોન થાયફોલ્ટે જણાવ્યું હતું કે માત્ર પાંચ દિવસ માટે પણ જો શારીરિક નિષ્ક્રિયતા રહે તો પણ વાસ્ક્યુલર ડિસ્ફંક્શનની સમસ્યા સર્જાતી હોય છે. આ સ્થિતિ સુધારવા માટે ફરી શારીરિક પ્રવૃતિઓ શરૂ કરવી પડે અને ઓછામાં ઓછા ૧૦ હજાર પગલાં ચાલવામાં આવે ત્યારે આ સ્થિતિમાં સુધારો થઈ શકે છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે શારીરિક નિષ્ક્રિયતાના કારણે સર્જાતા નકારાત્મક પરિણામોને દૂર કરી શકાય છે. શરીરમાં રોગની કોઈ પણ સ્થિતિ હોય તેમાં પણ ગમે ત્યારે તમે સક્રિયતા દર્શાવી શકો છો અને જીવનને વધુ સમય સુધી સ્વસ્થ રાખી શકો છો. સંશોધકોના અભ્યાસમાં જે તારણો મળ્યાં છે એ અનુસાર જ્યારે શારીરિક પ્રવૃતિઓનું પ્રમાણ ઘટી જાય છે ત્યારે રક્તવાહિનીઓમાં લોહીનું પરિભ્રમણ ધીમું થઈ જાય છે. આથી રક્તવાહિનીઓ સંકોચાવા લાગે છે. આ સ્થિતિમાં આવી ગયા પછી રક્તવાહિનીઓને ફરીથી મૂળ સ્થિતિમાં કાર્યરત કરવા માટે નિયમિત વ્યાયામ આવશ્યક બની રહે છે. આથી સતત બેઠાડું જીવન જીવતા અને ઉપરથી અવારનવાર ફાસ્ટ ફૂડ આરોગતા રહેતા લોકો માટે ઘણી જોખમકારક સ્થિતિ સર્જાઈ શકે છે. આ સ્થિતિ નિવારવા શારીરિક પ્રવૃતિઓનું પ્રમાણ નિયમિત અને રોજિંદા ક્રમમાં રહે એ અનિવાર્ય હોવાનું પણ સંશોધનમાં જણાવ્યું છે.