શું ભારત વર્લ્ડ કપ જાળવી શકશે? ટીમ ઇંડિયાના લેખાંજોખાં

Wednesday 11th February 2015 06:51 EST
 
 

૨૦૧૧માં ભારતને પ્રેક્ટિસનો લાભ મળ્યો
વર્ષ ૧૯૮૩માં ભારત વર્લ્ડ કપ જીતી લાવ્યું તે સુખદ આશ્ચર્ય હતું. તે સમયે દુનિયાની અન્ય ઘણી ટીમ એવી હતી કે પ્રબળ દાવેદાર માનવામાં આવતી હતી, પણ ભારતે બાજી મારી લીધી. આ પછી સતત ત્રણ વર્લ્ડ કપ સુધી લોકોને આશા હતી કે ભારત કપ જાળવી રાખશે અથવા ફરીથી અપાવશે, પણ તેમ શક્ય બન્યું નહીં. ૨૦૧૧માં ભારતે વર્લ્ડ કપ જીત્યો તેની પાછળ ઘણા કારણો જવાબદાર છે. ખાસ કરીને વર્લ્ડ કપ સમયે ભારતે ૯૫ મેચ રમી હતી જેમાંથી ૫૭ મેચમાં વિજય મેળવ્યો હતો. આ મેચના કારણે ભારતીય ખેલાડીઓને ઘણો મહાવરો મળ્યો હતો. તે ઉપરાંત ટીમમાં સિનિયર ખેલાડીઓની ભરમાર હતી તેથી તેમને સેટ થવામાં ખાસ મુશ્કેલી પડતી નહોતી.
સૌથી મોટું જોખમ
આ વખતે વર્લ્ડ કપમાં બે જૂથ બનાવવામાં આવ્યા છે. દરેક જૂથમાં તમામ ટીમ એકબીજા સાથે રમશે અને તેમાંથી સૌથી વધુ પોઈન્ટ મેળવનારી ચાર ટીમ ક્વાર્ટર ફાઇલમાં પહોંચશે. ભારત માટે એમ મનાય રહ્યું છે કે ગ્રૂપ મેચ દરમિયાન ભારત એકાદ મેચ હારી જાય તો પણ તેને ખાસ અસર થાય તેમ નથી. તે બાકીની મેચના આધારે ક્વાર્ટર સુધી તો આરામથી પહોંચી શકે તેમ છે. ભારતની ટીમ એકાદ મેચમાં જ હારી જાય તેવું માનવું પણ ભૂલ ભરેલું છે. ભારત આ પહેલાં પણ અનેક વખત અપસેટનો શિકાર બની ચૂક્યું છે. ૨૦૦૭ની જ વાત કરીએ તો તે સમયે બાંગ્લાદેશ સામે પરાજ્ય મળ્યા બાદ ભારતીય ટીમ દબાણ હેઠળ આવી ગઈ હતી અને નોકઆઉટ રાઉન્ડમાંથી જ બહાર થઈ ગઈ હતી. આ વખતે ભારત સામે ગ્રૂપમાં પાકિસ્તાન, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇન્ડિઝ, આયરલેન્ડ, ઝિમ્બાબ્વે અને યુએઈની ટીમ છે. આ જોતાં લાગી રહ્યું છે કે ભારત ક્વાર્ટર ફાઈલનમાં તો આવી જશે, પણ આગળના રાઉન્ડમાં મુશ્કેલી સર્જાશે.
ટીમમાં અનુભવનો અભાવ છતાં ઉત્સાહ
આ વખતે ભારતની ટીમ વર્લ્ડ કપ માટે મેદાને ઉતરશે તેમાં માત્ર ચાર ખેલાડીઓ પાસે જ વર્લ્ડ કપમાં રમવાનો અનુભવ છે. તેમાંય જ્યારે વિદેશી ધરતી પર આ મહાકુંભ યોજાઈ રહ્યો છે ત્યારે ભારતના યુવા ખેલાડીઓને મુશ્કેલી સર્જાય શકે તેમ છે. અહીંની પીચ અને વાતાવરણ તેમના માટે સૌથી મોટો પડકાર બની રહેશે. ૨૦૧૧માં ભારતે વર્લ્ડ કપ પોતાના નામે કર્યો તેની પાછળ એક કારણ એવું પણ હતું કે, તે સમયે ટીમમાં અનુભવી ખેલાડીઓની ભરમાર હતી. કયા ખેલાડીને રાખવો અને કોને ટીમમાંથી પડતો મૂકવો તે પ્રશ્ન હતો. આ વખતે પણ પ્રશ્ન એવો જ છે, પણ ખેલાડીઓમાં અનુભવ ઓછો છે. આ વખતે ટેસ્ટ દરમિયાન ભારતીય ખેલાડીઓ ઓસ્ટ્રેલિયાના મેદાન પર સેટ થઈ ગયા હોય તેમ જણાતું હતું, પણ હાલમાં જ પૂરી થયેલી ટ્રાઈ સિરીઝમાં ભારતને મળેલા કારમા પરાજયો કંઈક અલગ સ્થિતિ રજૂ કરે છે.
બેટિંગ લાઇનઅપ શ્રેષ્ઠ, પણ પ્રદર્શન ખરાબ
ભારતીય બેટ્સમેનોથી દુનિયાનો બોલરો ડરે છે, પણ આ ડર તાજેતરમાં રમાયેલી ટ્રાઇ સિરીઝે દૂર કરી નાખ્યો છે. રોહિત શર્માએ માત્ર એક મેચમાં રમીને અને સદી ફટકારીને તેણે પોતાની ક્ષમતા તો સિદ્ધ કરી હતી પણ ઈજાને કારણે બાકીની તમામ મેચમાં તે રમી શક્યો નહીં. બીજી તરફ ટેસ્ટ ટીમમાં સુકાની તરીકે કોહલીએ એક પછી એક સદી ફટકારી પણ પછીથી ટ્રાઈ સિરીઝમાં તેનું ફોર્મ ક્યાં જતું રહ્યું તે ચર્ચાનો વિષય બની ગયો છે. ભારત પાસે અત્યારે ધવન, રહાણે, રોહિત, કોહલી, રાયડુ, ધોની, રૈના જેવી મોટી બેટિંગ લાઈનઅપ છે. જોકે અત્યારે આ તમામ ખેલાડીઓ ખરાબ પ્રદર્શનનો શિકાર બન્યા છે. વર્લ્ડ કપ દરમિયાન તેમનું ફોર્મ ચિંતાજનક છે.
વર્તમાન સમયમાં સૌથી ખરાબ બોલિંગ લાઇનઅપ
ભારતીય ટીમ પાસે અત્યારે એવો કોઇ બોલર જ નથી કે જેની ક્ષમતા પર આંખો મીંચીને વિશ્વાસ મૂકી શકાય. ભારત પાસે બોલરો સારા છે, પણ તેમની બોલિંગમાં સાતત્યતા નથી. અત્યારે ભુવનેશ્વર કુમાર ઈજાઓ સામે લડી રહ્યો છે. બીજી તરફ શમી અને ઈશાંત શર્માની બોલિંગ પણ ખાસ ધારદાર રહી નથી. ઇશાંતને તો આમ પણ ઇજાને કારણે ટીમમાંથી પડતો મૂકાયો છે. યાદવ અને બીન્ની પાસે સાતત્યતા અને મહાવરાનો અભાવ છે. સ્પિનરોની વાત કહીએ તો અશ્વિન સતત નિષ્ફળ ચાલી રહ્યો છે, પણ મહાવરો નથી. જાડેજા ઓલરાઉન્ડર તરીકે સારો સાબિત થયો છે, પણ અત્યારે તે પણ ખરાબ ફોર્મમાં છે. આવા સંજોગોમાં ભારત પાસે સારી બોલિંગ લાઈનઅપ પણ નથી.
અતિ વ્યસ્ત આયોજનના કારણે થાક
ભારતીય ટીમની વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી તેનાં કાર્યક્રમ સતત ચાલી રહ્યા છે. ભારતે ઘરઆંગણે મેચ રમી, ત્યાર બાદ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ રમી, આ પછી ટ્રાઈ સિરીઝ અને હવે વર્લ્ડ કપની પ્રેક્ટિસ મેચ ચાલે છે. છેલ્લા એક વર્ષનું આયોજન જોઈએ તો ભારતીય ટીમનો કાર્યક્રમ સતત વ્યસ્ત રહ્યો છે. તેના કારણે ઘણા ખેલાડીઓ ઈજાગ્રસ્ત છે અને ઘણાં થાકી ગયા છે. થોડા સમય પહેલાં જ બોર્ડે ભારતીય ટીમના ખેલાડીઓને થોડો સમય આરામ કરવાની સલાહ આપી હતી. તે પણ જાણે છે કે અત્યારે ટીમ થાકેલી હશે તો સારો દેખાવ નહીં કરી શકે.


comments powered by Disqus