લંડનઃ રજસ્વલા ધર્મમાંથી નિવૃત્તિનો ગાળો એટલે કે મેનોપોઝ આવવાનું હોય ત્યારે ઘણી મહિલાઓને હોર્મોન્સના અસંતુલનને કારણે અનેક તકલીફો થતી હોય છે.
અત્યાર સુધી મનાતું રહ્યું છે કે મેનોપોઝ દરમિયાન એક-બે કે વધુમાં વધુ ત્રણ-ચાર વર્ષ આ સમસ્યા રહે છે, પણ બ્રિટિશ રિસર્ચરોનું કહેવું છે કે આપણે ધારીએ છીએ એના કરતાં અનેકગણી લાંબી આ સમસ્યા ચાલી શકે છે. મેનોપોઝ દરમિયાન માસિકમાં અનિયમિતતા, હોટ ફ્લેશિઝ, ચીડિયાપણું, વજનમાં ઘણી બધી વધ-ઘટ જેવાં લક્ષણો જોવા મળે છે. તબીબી વિજ્ઞાન અનુસાર લગભગ ૫૦ ટકા મહિલાઓને બેથી પાંચ વર્ષ સુધી આ લક્ષણો પરેશાન કરે છે.
બ્રિટનમાં સ્ત્રીઓમાં મેનોપોઝ આવવાની સરેરાશ વય ૫૧ વર્ષ છે જ્યારે પિરિયડ્સ બંધ થઈ જાય છે અને એસ્ટ્રોજન હોર્મોન્સનું પ્રમાણ સાવ જ ઘટી જાય છે. રિસર્ચરોનું કહેવું છે કે એ પહેલાં લગભગ સરેરાશ ૭.૪ વર્ષ સુધી મહિલાઓ એનાં લક્ષણોથી પરેશાન થતી હોય છે. જોકે ૨૦ ટકા જેટલી મહિલાઓમાં આ લક્ષણો ૧૪ વર્ષ સુધી લાંબા ચાલી શકે છે.