મેનોપોઝ ૧૪ વર્ષ સુધી પણ ચાલી શકે છે

Tuesday 10th March 2015 14:09 EDT
 

લંડનઃ રજસ્વલા ધર્મમાંથી નિવૃત્તિનો ગાળો એટલે કે મેનોપોઝ આવવાનું હોય ત્યારે ઘણી મહિલાઓને હોર્મોન્સના અસંતુલનને કારણે અનેક તકલીફો થતી હોય છે.
અત્યાર સુધી મનાતું રહ્યું છે કે મેનોપોઝ દરમિયાન એક-બે કે વધુમાં વધુ ત્રણ-ચાર વર્ષ આ સમસ્યા રહે છે, પણ બ્રિટિશ રિસર્ચરોનું કહેવું છે કે આપણે ધારીએ છીએ એના કરતાં અનેકગણી લાંબી આ સમસ્યા ચાલી શકે છે. મેનોપોઝ દરમિયાન માસિકમાં અનિયમિતતા, હોટ ફ્લેશિઝ, ચીડિયાપણું, વજનમાં ઘણી બધી વધ-ઘટ જેવાં લક્ષણો જોવા મળે છે. તબીબી વિજ્ઞાન અનુસાર લગભગ ૫૦ ટકા મહિલાઓને બેથી પાંચ વર્ષ સુધી આ લક્ષણો પરેશાન કરે છે.
બ્રિટનમાં સ્ત્રીઓમાં મેનોપોઝ આવવાની સરેરાશ વય ૫૧ વર્ષ છે જ્યારે પિરિયડ્સ બંધ થઈ જાય છે અને એસ્ટ્રોજન હોર્મોન્સનું પ્રમાણ સાવ જ ઘટી જાય છે. રિસર્ચરોનું કહેવું છે કે એ પહેલાં લગભગ સરેરાશ ૭.૪ વર્ષ સુધી મહિલાઓ એનાં લક્ષણોથી પરેશાન થતી હોય છે. જોકે ૨૦ ટકા જેટલી મહિલાઓમાં આ લક્ષણો ૧૪ વર્ષ સુધી લાંબા ચાલી શકે છે.


comments powered by Disqus