અદાણી-સન સોલાર પેનલ માટે રૂ. ૨૫૦૦૦ કરોડનું રોકાણ કરશે

Friday 16th January 2015 08:22 EST
 

ગુજરાતમાં સોલાર પેનલના ઉત્પાદન માટે વિશ્વની અગ્રણી સોલાર ટેક્નોલોજી ઉત્પાદન કરતી કંપની સન એડિશન અને અદાણી જૂથે હાથ મિલાવ્યા છે. અદાણી જૂથ અને સન એડિશન હાથ ધરાયેલું સમગ્ર રોકાણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી ‘મેક ઇન ઇન્ડિયા’ કેમ્પેઇન હેઠળ હાથ ધરવામાં આવ્યું છે. આ પ્રસંગે અદાણી પાવર લિમિટેડના સીઇઓ વિનિત જૈને જણાવ્યું હતું કે, રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં ભારતે વિશ્વમાં અગ્રણી સ્થાન પ્રાપ્ત કરવાનું નક્કી કર્યું છે.
લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે સોલાર એનર્જી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, દેશના સૌથી વિશાળ સોલાર પેનલ એકમની સ્થાપનાનો નિર્ણય નરેન્દ્ર મોદીના આ અભિયાનની દિશામાં એક મહત્ત્વનુ પગલું છે.
કુલ ૧૫ હજાર રોજગારીની તકો સર્જાશે
બંને જૂથો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે રૂ. ૨૫ હજાર કરોડના ખર્ચે રાજ્યમાં સ્થપાનારા દેશના સૌથી વિશાળ સોલાર પેનલ ઉત્પાદન યુનિટના કારણે પ્રત્યક્ષ રીતે ૪૫૦૦ જેટલી રોજગારીની તકો ઊભી થશે. જ્યારે યુનિટના કારણે પરોક્ષ રીતે કુલ ૧૫,૦૦૦ જેટલા લોકોને રોજગારી પ્રાપ્ત થશે.
મુંદ્રામાં મહાકાય એકમ સ્થપાશે
સોલર પેનલના ઉત્પાદન માટે સ્થપાનારું એકમ મુંદ્રા ખાતે ઊભું કરવામાં આવશે. એકમનો તબક્કાવાર રીતે ત્રણથી ચાર વર્ષમાં વિકાસ કરાશે. સોલર પેનલના ઉત્પાદન યુનિટમાં પોલિસિલિકોન રિફાઇનિંગ, ઇન્ગોટ્સ, વેફર્સ, સેલ અને પેનલ પ્રોડક્શન જેવી તમામ વસ્તુઓના ઉત્પાદનને આવરી લેવામાં આવશે.


comments powered by Disqus