મોદીના પ્રવચનના મહત્ત્વના મુદ્દા
• ભારત તરફ સમગ્ર વિશ્વ આશા અને આકાંક્ષાભરી મીટ માંડી રહ્યું છે. ગરીબ હોય કે તવંગર-તમામ દેશોને ભારતમાં રસ છે, તેઓ આપણી સાથે કામ કરી રહ્યા છે.
• ભારતીય સમાજ પૈસાનો પૂજારી નથી પણ મૂલ્યોનો સંવર્ધક છે તે પ્રકારની પ્રસંશા સમગ્ર વિશ્વમાંથી સાંપડી રહી છે.
• ૧૦૦ વર્ષ પૂર્વે એક ‘એનઆરઆઇ’ ભારત પાછા ફર્યા અને આજે એક બિનનિવાસી ગુજરાતી દરિયાપાર રહેતા સમગ્ર ભારતીય સમુદાયને આવકારી રહ્યા છે.
• હું જાણું છું કે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીમાં ભાગ લેવાનું ભૂતકાળમાં તમે ટાળતા હતા, પણ હું તો હંમેશા ભાગ લઉં છું.
• ગુજરાતમાં વર્ષ ૨૦૦૧માં ભૂકંપ થયો ત્યારે વિશ્વમાં એક પણ ભારતીય મૂળનો એવો નાગરિક ન હતો કે જેની આંખમાં આસું ન આવ્યા હોય.
• દરેક બાબતોનું ડોલર કે પાઉન્ડમાં મૂલ્ય અંકિત ન થાય. ભારતીય મૂળના લોકો સાથે અમારો સંબંધ તેનાથી પર છે.
• આ ભારતીય પ્રવાસી દિવસની શરૂઆત વર્ષ ૨૦૦૩માં અટલ બિહારી વાજપેયીની સરકારે કરી ત્યારથી તે નિરંતર ચાલતો આવ્યો, પરંતુ વચ્ચે વચ્ચે... તમારું પણ આવવાનું મન નહિ થયું હોય. બહુ ઓછા લોકો આવતા હતા, કેટલાકને મજબૂરીમાં આવવું પડતું હતું, પરંતુ હું દર વખતે આવતો હતો.
• ભારતીય સંસ્કાર, સંસ્કૃતિ, ફેમિલિયર વાતાવરણ કોઈપણ દેશના મૂળ નિવાસીઓને આકર્ષે છે. માટે દુનિયાના કોઈ પણ દેશમાં ભારતીય મૂળનાં લોકોનું પાડોશીપણું ગૌરવમય ગણાય છે. મોરેશિયસમાં ભારતની અનેક સંસ્કૃતિ, સમાજના લોકો પેઢીઓથી રહે છે ત્યાં લોકોએ ભારતથી પ્રતિકાત્મક ગંગાજળ લઈ જઈને વિશાળ ગંગાસાગર બનાવ્યું છે. એ ભાવજગતમાં શિવરાત્રીનો મેળો ભરાય છે. આવી અનેક બાબતો વિશ્વભરમાં આપણે એકતાંતણે બાધી રાખ્યા છે, જેનું જતન થવું જરૂરી છે.
• જે વ્યક્તિ વિવિધ દેશોમાં સંચરે છે અને વિદ્વાનોની સેવા કરે છે, તેની બુદ્ધિ પાણીમાં નાખેલાં તેલનાં બિંદુની જેમ વિસ્તાર પામે છે. આખા વિશ્વને એક પરિવાર માનનારી વસુધૈવ કુટુંબકમની સંસ્કૃતિમાં આપણે વિશ્વાસ કરીએ છીએ, એટલે કે ભારતના પૂર્વજોએ પૂરા વિશ્વને પરિવાર માન્યું છે, તે અમારી સંસ્કૃત્તિ છે.
• મારા મનમાં એક વિચાર છે. વિદેશમાં વસતા મિત્રો તેને અમલી બનાવી શકે. ભવિષ્યમાં વિદેશની યંગ ટીમ આગળ આવે તો આપણે આજનો જે ઇન્ફર્મેશન ટેકનોલોજીનો યુગ છે તેનો ઉપયોગ કરીને દર વર્ષે ‘ભારત કો જાનો’ ઓનલાઇન ક્વીઝ કોમ્પિટિશન શરૂ કરી શકીએ. જેમાં ભારતની બહાર રહેનારાં લોકો આગળ આવી ભાગ લે અને તેમનું સન્માન પ્રવાસી ભારતીય દિવસે કરવામાં આવે, જેથી વર્ષભર આપણી યુવાપેઢી ભારત સાથે જોડાતી રહે.
• ગાંધીની દીર્ઘ દૃષ્ટિએ વિશ્વને અહિંસાથી નવજાગરણની પ્રેરણા આપી. આજે પણ મોરેશિયસમાં ગાંધીસભા ગૃહમાં દર વર્ષે ગાંધી જંયતી ઊજવાય છે. ૭૦-૮૦ દેશોમાં રાષ્ટ્રપિતાની પ્રતિમા છે. વિશ્વમાનવની ઓળખાણ વધારે અને સમયસર થશે તેટલી ઝડપથી છેવાડાના માનવ સુધી મૂલ્યોને લઈ જઈ શકાશે.
• નરેન્દ્ર મોદીએ પોતાને વિઝાની બાબતમાં પડેલી તકલીફ અંગે રમૂજ કરતા ખીચોખીચ ભરેલા મહાત્મા મંદિરના મોટા હોલમાં હાસ્યનું મોજું છવાઈ ગયું હતું. ‘વિઝા મેળવવામાં કેટલી બધી તકલીફ પડે છે તે તમે બધા સારી રીતે જાણો છો, હું પણ એ પ્રક્રિયામાંથી પસાર થયો છું.’ એમ મોદીએ એમના સંબોધનમાં કહ્યું, ત્યાં તો હોલમાં ખડખડાટ હાસ્યનો ધ્વનિ છવાઈ ગયો હતો. શ્રોતાઓ પામી ગયા હતા કે મોદીને વર્ષ ૨૦૦૫ પછી અમેરિકા અને યુકેના વિઝા મળ્યા નહોતા, જેનો તેઓ ઉલ્લેખ કરી રહ્યા હતા.