આ ઉપરાંત બંને સ્ટાર ખેલાડીઓને સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમાનારી વન-ડે શ્રેણી માટેની ૧૫ સભ્યોની ટીમમાં પણ સ્થાન આપ્યું નથી. વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે શનિવારે પોતાની ૧૫ સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. વેસ્ટ ઇન્ડીઝના આક્રમક અને સફળ બેટ્સમેન ક્રિસ ગેઈલે ઓલારાઉન્ડર ડ્વેઈન બ્રાવો અને કેરોઈન પોલાર્ડને વર્લ્ડ કપ ટીમમાં સમાવેશ કરવામાં નહીં આવ્યો હોવાથી દેશના ક્રિકેટ બોર્ડ અને રાષ્ટ્રીય પસંદકર્તા ઉપર નિશાન સાધતાં તેમના આ નિર્ણયને ‘મૂર્ખામીભર્યું’ ગણાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે બ્રાવો ગત વર્ષે ભારત પ્રવાસને અધવચ્ચેથી જ રદ્દ કરનારી કેરેબિયન ટીમનો કપ્તાન હતો. બિનઅનુભવી ઝડપી બોલર જેસન હોલ્ડરને સાઉથ આફ્રિકા વિરુદ્ધ વન-ડે શ્રેણી અને ઓસ્ટ્રેલિયા-ન્યુઝીલેન્ડની યજમાનીમાં રમાનારા વર્લ્ડ કપની કપ્તાની સોંપવામાં આવી છે. માર્લોન સેમ્યુઅલ્સને ઉપ-સુકાની બનાવવામાં આવ્યો છે.
ક્લાઇવ લોઈડની આગેવાની હેઠળ પસંદગી સમિતિએ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં ૧૪ ફેબ્રુઆરીથી શરૂ થનારા ૫૦ ઓવરના વર્લ્ડ કપ માટે ૧૫ ખેલાડીઓની જાહેરાત કરી છે. ગેઈલ આ ટીમમાં બ્રાવો અને પોલાર્ડને ટીમમાં પસંદગી નહી કરી હોવાથી ઘણો નાખુશ છે. ગેલે રવિવારે દક્ષિણ આફ્રિકા ઉપર ટી-૨૦ મેચમાં વેસ્ટ ઇન્ડિઝની જીત દરમ્યાન ૪૧ બોલમાં ૯૦ રનનો દાવ રમ્યા પછી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
ક્રિસ ગેઈલે જણાવ્યું કે મને હજુ વિશ્વાસ નથી થતો કે આ બન્ને ખેલાડીઓ વર્લ્ડ કપ ટીમમાં કેવી રીતે પસંદ થયા નથી. જો તમે આ ખેલાડીઓનું પરફોર્મન્સ જોશો તો તમને ચોક્કસ લાગશે કે તેમના ઉપર અત્યાચાર કરી રહ્યા છે, પસંદગીકારોનું આ પગલું ‘મૂર્ખામીભર્યું’ છે. ગેલે કહ્યું કે આ બે ખેલાડીઓની પસંદગી નહી થતાં હું ઘણો નિરાશ છું.