સંબંધને ઉષ્મા, અર્થતંત્રને ઇંધણ

ગાંધીનગરમાં પ્રવાસી ભારતીય દિવસ અને વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં વિશ્વ ઉમટ્યું

Friday 16th January 2015 08:13 EST
 

પ્રાથમિક અંદાજ મુજબ, બે દિવસની વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં કુલ ૨૧ હજાર મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડીંગ (એમઓયુ) અને ૧૨૨૫ વ્યૂહાત્મક ભાગીદારીના લેટર ઓફ ઇન્ટેન્ટ (એલઓઆઇ) થયા છે. આ કરારો અંતર્ગત આશરે ૨૫ લાખ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ આવશે. વાયબ્રન્ટ સેમિનારમાં કુલ ૧૧૦ દેશો, ભારતના ૨૫ રાજ્યો, ૫૬ ઇન્ટરનેશનલ ડેલિગેશન, ૩૦૦ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ (સીઇઓ) અને ૨૫૦૦૦ લોકોએ હાજરી આપી હતી.

ગયાનાના પ્રમુખ ડોનાલ્ડ આર રામોતર, આફ્રિકાના વિદેશ પ્રધાન મીતેનોઆના માસાબાન, મોરિશસના નાયબ વડા પ્રધાન શૌકત અલી, વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ, મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પ્રવાસી ભારતીય દિવસના સમાપન સમારોહમાં ૧૫ અગ્રણીઓને પ્રવાસી ભારતીય સન્માનથી નવાજવામાં આવ્યા હતા.
'મેક ઈન ઈન્ડિયા' માટે આમંત્રણ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવ જાન્યુઆરીએ ૧૩મા પ્રવાસી ભારતીય દિવસના સંમેલનને ખૂલ્લું મૂકતાં વિશ્વના ૨૦૦ દેશોમાં સ્થાયી થયેલા ઈન્ડિયન ડાયસ્પોરાને ‘મેક ઈન ઈન્ડિયા’માં જોડાવા આમંત્રણ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, દોઢસો વર્ષ પહેલા ગુલામીના કાળમાં ભારતીયો વિશ્વમાં જ્યાં વિકાસની સંભાવનાઓ હતી ત્યાં દરિયો ખેડીને જતા હતા. પોતાના સાહસના બળે નવું કરવાના ઉમંગે નવું ભારત વસાવતા હતા. કાળક્રમે પછીના સમયમાં શિક્ષણ, જ્ઞાનવૃદ્ધિ અને જીવનની ઊંચાઈઓ પામવા વિદેશોમાં સ્થાયી થયા. પોતાનો પ્રાણપ્રિય દેશ, સ્વજન, યાર-દોસ્તાર છોડીને દુનિયાના બીજા દેશમાં સંઘર્ષ કરવાનું કોઇને પણ ન ગમે, પણ તે સમય અલગ હતો. તે સમયે આપણે ત્યાં સંભાવનાઓ નહોતી. અવસરો મળતા નહોતા. આપણી જરૂરિયાતો પણ હતી. આજે સમય બદલાયો છે.
તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન તરીકેની જવાબદારી મળ્યાના ૬-૭ મહિનામાં વિશ્વના ૫૦ રાષ્ટ્રોના પ્રમુખ નાગરિકોને મળવાની તક મળી છે અને પ્રત્યેક મિટિંગમાં એ લોકોએ મને ખુલ્લા મને વાત કરી છે. ગરીબ હોય કે સમૃદ્ધ તમામ દેશોની નજર ભારત ઉપર છે. દરેકને એમ લાગે છે કે તેમને જ્યાં જવુ છે ત્યાં પહોંચવા ભારત સાથે ચાલવુ જોઈએ. આવા અવસર બહુ ઓછા આવે છે.
વિશ્વમાં ભારતીયો પ્રત્યે જે આદર છે તેને એક સંગઠન શક્તિમાં બદલીને આપણે માનવજાતના કલ્યાણને નેતૃત્વ આપી શકીએ તેમ છીયે. અને આથી, આ અવસર આ તકને આપણે ઝડપી લઈએ.
વડા પ્રધાને વિદેશોમાં વસતા ભારતીય મૂળના નાગરિકોને વિશ્વના સૌથી યુવાન દેશ ભારતમાં સ્માર્ટ સિટી, સ્કિલ ઈન્ડિયા, મેક ઈન્ડિયા જેવા ફ્લેગશીપ પ્રોગ્રામથી સર્જાઈ રહેલી વૈશ્વિક તકો તમારી
રાહ જોઈ રહ્યા હોવાનું કહીને તેમાં જોડાઈ આહલેક જગાડી હતી.

આ પૂર્વે મહાત્મા ગાંધીજીના સ્વદેશાગમનની ૧૦૦મી વર્ષગાંઠ નિમિત્તે ગાંધીનગરમાં ૧૩મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખૂલ્લું મૂક્યું હતું.

ગંગા માટે NRI પાસે મોદીની અપેક્ષા
• દેશની ૪૦ ટકા ભૂમિને આવરી લેતી ગંગા નદીનાં શુદ્ધિકરણ માટે મદદ કરે • ગંગાથી ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળની આર્થિક ઉન્નતિ • ગંગાના કાંઠે ૧૨૦થી વધુ શહેરો, ૬૦૦૦ ગામોમાં આર્થિક સમૃદ્ધિની વિપુલ તકો • ગંગાના શુદ્ધિકરણ માટે જ્ઞાન, ટેક્નોલોજી અને સમય આપે
• પર્યાવરણ, સર્વસમાવેશક વિકાસ, ગ્રામ વિકાસ, એડવેન્ચરમાં ઈન્વેસ્ટમેન્ટ કરે

પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીની સાથે-સાથે
• સોલ્ટ માઉન્ટ ખાતે દાંડી કુટિરનું નરેન્દ્ર મોદીએ ટેબ્લેટ ઓન કરીને અને રિમોટ દ્વારા આધુનિક પ્રદર્શન કક્ષનું ઉદ્ઘાટન કર્યું હતું. • ગાંધીજીની દક્ષિણ આફ્રિકાની સ્મૃત્તિમાં ભારત સરકારના સંદેશા વ્યવહાર વિભાગે ખાસ બે ટપાલ ટિકિટ અને ફર્સ્ટ ડે કવરનું વિમોચન કર્યું • ભારત સરકારે ૧૦૦ અને ૧૦નાં મૂલ્યના ગાંધીજીના તસવીરવાળા સિક્કાં બહાર પાડયાં છે. નરેન્દ્ર મોદીએ આ શતાબ્દી સ્મરણોત્સવ સિક્કાનું લોકાપર્ણ કર્યું • ગાંધીજીનું ભારતમાં આગમન થયું તેનાં ૧૦૦ વર્ષની ભારતમાં અને ગાંધીજીની ગાથા ગાતી વિશેષ ફિલ્મ પ્રર્દિશત કરવામાં આવી.


comments powered by Disqus