સારાનરસાનો ભેદ પારખી દાન કરવા માટે હવે સુપાત્રને શોધવામાં મદદ કરશે: એશિયન ચેરિટી ક્લેરીટી

Tuesday 13th January 2015 10:40 EST
 
શ્રી સુભાષભાઇ ઠકરારશ્રી પ્રતિકભાઇ દત્તાણી
 

આપણા શાસ્ત્રોમાં અને ધર્મમાં દાનનો ખૂબ જ મહિમા છે. એટલે જ તો દરેક વાર તહેવારે કે પછી પારિવારીક પ્રસંગોએ દાન કરવા માટે શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે. પરંતુ સાથે સાથે એમ પણ કહેવાયું છે કે દાન કરવું તો સુપાત્રને જ કરવું. પરંતુ આપણને કઇ રીતે ખબર પડે કે જે સંસ્થાને દાન કરીએ છીએ તે કેવી છે? તેઅો હિસાબો બરોબર રાખે છે? શું તેઅો દાનની રકમ યોગ્ય જગ્યાએ વાપરે છે? શું તેઅો કાયદાઅો, નીતિનિયમો વગેરેનું પાલન કરે છે ખરા? આ અને આપણા મનને મુંઝવતા અન્ય તમામ પ્રશ્નોના ઉકેલ માટે 'એશિયન ચેરિટી ક્લેરીટી' (એસીસી) સંસ્થાની રચના કરવામાં આવી છે.

લંડનના ચેમ્બર અોફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વાઇસ પ્રેસિડેન્ટ અને જાણીતી સોલીસીટર પેઢી CBW બ્લેકસ્ટોન ફ્રેન્ક્સ એલએલપીના પાર્ટનર શ્રી સુભાષભાઇ ઠકરાર અને ચેરીટી સ્પેશ્યાલીસ્ટ શ્રી પ્રતિકભાઇ દત્તાણીએ 'એશિયન ચેરીટી ક્લેરીટી' (એસીસી)ની રચના કરી છે. આ સંસ્થાના પ્રથમ હેતુ છે દાતાઅોને વિવિધ ચેરીટીઅો અંગેની સંપૂર્ણ મદદરૂપ માહિતી આપી દાન કરવા માટે ઉત્તેજન આપવાનો અને બીજો હેતુ છે ચેરીટી સંસ્થાઅોના સેવા કાર્યો પર પ્રકાશ પાડી તેમનો વિકાસ કરવાનો.

પ્રતિકભાઇ દત્તાણીએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે 'અમે આપણી વિવિધ એશિયન સખાવતી સંસ્થાઅોને લક્ષમાં લઇને અલગ અલગ કુલ ૧૮ માપદંડો રાખ્યા છે. ચેરીટી દ્વારા હિસાબો નિયમીત રીતે ચેરીટી કમિશનમાં જમા કરાવાય છે? ટ્રસ્ટીઅોની વરણી કઇ રીતે કરાય છે? શું તે માત્ર દાન પર જ નભે છે કે તેના આવકના અન્ય સ્ત્રોત પણ છે? નિર્ણય પ્રકિયા કેવી છે? સંસ્થામાં મહિલાઅોની ભાગીદારી કેવી છે? શું મેનેજમેન્ટ ટીમને આસાનીથી મળી શકાય છે? શું તેઅો પોતાની કામગીરીનો હિસાબ જનતાને આપે છે? આ અને આવા અન્ય પ્રશ્નોના ઉત્તર મેળવીને જે તે સંસ્થાનું આર્થિક આરોગ્ય, ઉત્તરદાયિત્વ, પારદર્શીતા અને વિવિધ પાસાઅો અંગે અભ્યાસ કરવામાં આવે છે અને પછી જે તે સંસ્થાને 'સ્ટાર' મુજબ ક્રમ આપવામાં આવે છે. સૌથી સારી કામગીરી કરનાર સંસ્થાને મહત્તમ ત્રણ સ્ટાર મળે છે અને વિવિધ યોગ્યતા અને ગુણવત્તા મુજબ જે તે ક્ષેત્રમાં વધતા અોછા સ્ટાર મળે છે. ચેરીટીના દાન-ભાંડોળ અને કદ મુજબ એસીસી દ્વારા ખૂબ જ સાધારણ કહી શકાય એવી ફી લેવામાં આવે છે પણ સંસ્થાના અભ્યાસ અને હિસાબો વગેરેની ચકાસણી બાદ પ્રમાણપત્ર તરીકે જે ક્રમ આપવામાં આવે છે તેનાથી ચેરીટી સંસ્થાનો ખૂબજ વિકાસ થઇ શકે છે. હવે પહેલાના જેવું રહ્યું નથી, યુવાનો દાન કરતા પહેલા જે તે સખાવતી સંસ્થાના બધા પાસા તપાસે છે અને જે તે સંસ્થા કેટલી ભરોસાપાત્ર છે તે ચકાસીને જ દાન આપે છે.'

શ્રી સુભાષભાઇ ઠકરારે જણાવ્યું હતું કે 'એસીસી'નો ઇરાદો જે તે ચેરીટી સંસ્થાઅોને મદદ કરવાનો છે અને તે સંસ્થાઅોની કામગીરીની સ્વતંત્ર માહિતી આપણા સમાજને આપવાનો છે. અમને ચેરીટી સંસ્થાઅો તરફથી ખૂબ જ સારો સહયોગ સાંપડ્યો છે.

આ સંસ્થાના સલાહકારોની યાદીમાં સર્વશ્રી સીબી પટેલ, નેટ પુરી (ચેરમેન, પ્યુરીકો) અલ્પેશ પટેલ (સ્થાપક, પ્રેફીનીમ પાર્ટનર્સ) શાક્સ ઘોષ (ભૂતપૂર્વ CEO, પ્રાઇવેટ ઇક્વીટી ફાઉન્ડેશન) અને ડો. ગૌતમ બોડીવાલા (પ્રો. ચાન્સેલર, ડી મોન્ટફર્ટ યુનિવર્સીટી)નો સમાવેશ થાય છે.'

આ સંસ્થાની રચના પહેલા કેટલાય મહિના સુધી પાઇલોટ ગૃપ સમી ૪૨ ચેરીટી સંસ્થાઅોની તપાસ કરાઇ હતી અને તેના પરિણામ મેળવવામાં આવ્યા હતા. એસીસીના વિમોચન બાદ અત્યારે સુધીમાં સો જેટલી સંસ્થાઅોને ક્રમ અપાઇ ચૂક્યા છે અને ઘણી બધી સંસ્થાઅો પોતાને ક્રમ અપાય તે માટે આતુર છે. જેમને ક્રમ અપાઇ ચૂક્યા છે તે સંસ્થાઅોની યાદી એસીસીની વેબસાઇટ પર મૂકાઇ છે અને તેમાંથી જે તે સંસ્થાઅો અને તેમના ગુણાંક વિષેની તમામ માહિતી મળી રહે છે. એસીસી આ પ્રકારની સૌ પ્રથમ સંસ્થા છે અને તેની વધુ માહિતી આપને વેબબસાઇટ www.asiancharityclarity.org.uk પરથી મળી રહેશે અથવા તો આપ ઇમેઇલ [email protected]. પર ઇમેઇલ પણ કરી શકો છો.


    comments powered by Disqus