• ૬૦૦ ગેમ ચેન્જર્સમાં ૪૦થી વધુ ભારતીયોઃ ટેક્નોલોજી ક્ષેત્રે મહત્ત્વનું કામ કરનારાઓ, સંશોધનકર્તા અને નીતિ ઘડવૈાયઓ અને પોતાના કૌશલ્યથી ગેમ ચેન્જર બન્યા છે તેવા ૩૦ વર્ષથી ઓછી વયના સાહસિકોની એક યાદી ફોર્બ્સ મેગેઝિને તૈયાર કરી છે, જેમાં ૪૦ ભારતીયોનો સમાવેશ છે. ફોર્બ્સના આ ચોથા વાર્ષિક સંકલનમાં કન્ઝયુમર ટેક્નોલોજી, રિટેઇલ, મનોરંજન, સાયન્સ, ફાઈનાન્સ, મીડિયા, સોશિયલ એન્ટરપ્રિન્યરર્સ, કાયદા અને પોલીસી તેમ જ એન્ટરપ્રાઇઝ ટેક્નોલોજી સહિત ૨૦ ક્ષેત્રોનાં ૬૦૦ લોકોને આવરી લેવાયાં છે. યાદીમાં ૪૪ ભારતીયો અને ભારતીય મૂળના લોકો છે, તેઓ પાણી સાફ કરવાની બિનખર્ચાળ પદ્ધતિના સંશોધન ઉપરાંત આંતરરાષ્ટ્રીય અન્ન સલામતીની દિશામાં પગલાં ભરીને અને ચલાવવામાં સરળ હોય તેવી કાંખઘોડી વિકસાવવા જેવા કામ કરીને ચર્ચામાં આવ્યા છે અને નામના મેળવી છે. વેન્ચર કેપિટલ કેટેગરીમાં રફ ડ્રાફ્ટ વેન્ચર્સના સહસ્થાપક નીતેશ બંતા (૨૮), કન્ઝયુમર ટેક્નોલોજી કેટેગરીમાં અંકુર જૈન (૨૪), અવિનાશ ગાંધી (૨૬), વિજય ચુડાસમા (૨૮), વિનિશ મિશ્રા (૨૭), વિવેક રવિશંકર (૨૭) વગેરેનો આ યાદીમાં સમાવેશ થાય છે.
• ઝુકરબર્ગને જાનથી મારવાની ધમકી મળી હતીઃ ફેસબુક સીઈઓ માર્ક ઝુકરબર્ગે કહ્યું હતું કે એક સમયે તેમને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. પાકિસ્તાનના એક કટ્ટરવાદીએ ઝુકરબર્ગને ધમકી આપી હતી. કટ્ટરવાદીએ ઝૂકરબર્ગને ફેસબુક પરથી ઇસ્લામવિરોધી લખાણ દૂર કરવા કહ્યું હતું અને તેનો માર્ક ઝુકરબર્ગે ઇનકાર કર્યો હતો. જેના કારણે રોષે ભરાયેલા પાકિસ્તાનના એક કટ્ટરવાદી નેતાએ ઝુકરબર્ગને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઝુકરબર્ગે ફ્રાન્સના કાર્ટૂન મેગેઝિન ‘ચાર્લી એબ્દો’ના કાર્યાલય પર થયેલા આતંકવાદી હુમલા પછી પોતાના ફેસબુક પેજ પર એ ઘટનાને વખોડતાં લખ્યું હતું. ‘થોડા વર્ષો પહેલાં પાકિસ્તાનના એક કટ્ટરવાદીએ મને મોતની સજા આપવાની ધમકી આપી હતી કેમ કે મેં ફેસબુક પરથી ઇસ્લામવિરોધી લખાણ હટાવવાનો ઇનકાર કર્યો હતો.’ આ અંગે ફેસબુક પેજમાં લખતાં ઝુકરબર્ગે ધમકીની વાત કરી હતી. ઝુકરબર્ગે કહ્યું હતું. મને એ ધમકી મળ્યા પછી પણ હું મારા નિર્ણયમાં અફર રહ્યો હતો.
• ૧૦ વર્ષની બાળાએ વિસ્ફોટ કર્યો, ૧૯નાં મોતઃ આતંકવાદી હવે બાળકોનો દુરુપયોગ કરી રહ્યા છે. ઉત્તર નાઇજીરિયાના મેદુગુરીમાં ગત શનિવારે ૧૦ વર્ષની એક બાળકીએ ભારે ભીડવાળી મંડે માર્કેટમાં પોતાની કમર સાથે બાંધવામાં આવેલા વિસ્ફોટથી પોતાની જાતને ફૂંકી મારી હતી. બાળકીની સાથે અન્ય ૧૯ લોકોના પણ મોત થયા છે અને ૨૫થી વધુ લોકો ઘવાયા છે.
• અમેરિકાની શોધ કોલંબસે નહીં, પણ મુસ્લિમોએ કરીઃ તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયિપ એરડોગને વર્ષોજૂના ઇતિહાસને ખોટો ઠેરવીને તાજેતરમાં વિવાદિત નિવેદન કર્યું છે, જેમાં તેમણે અમેરિકાની શોધ કોલંબસે નહીં પણ મુસ્લિમોએ કરી હતી એમ જણાવ્યું છે. જોકે, આ અંગે તેમણે કોઈ સત્તાવાર પૂરાવા રજૂ કર્યાં નહોતા. ઇસ્તંબુલના એર શિખર સંમેલનમાં લેટિન અમેરિકાથી આવેલા મુસ્લિમ નેતાઓ વચ્ચે રૂઢિવાદી રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે લેટિન અમેરિકા અને ઇસ્લામ વચ્ચેનો સંપર્ક ૧૨મી શતાબ્દીથી થયો છે જ્યારે મુસ્લિમ નાવિકો ૧૧૭૮માં અમેરિકા પહોંચ્યા હતા ત્યારે તેમણે અમેરિકાની શોધ કરી હતી.