• SAC અમદાવાદના વડા કિરણકુમાર ઇસરોના ચેરમેન પદેઃ કેન્દ્ર સરકારે સોમવારે અમદાવાદસ્થિત સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડાયરેક્ટર એ.એસ. કિરણકુમારની ઇસરોના નવા ચેરમેનપદે નિમણૂક કરી છે. સરકારે ઇસરોના તત્કાલીન ચેરમેન રાધાક્રિષ્ણનની નિવૃત્તિ બાદ અર્થ સાયન્સ મંત્રાલયના સચિવ શૈલેશ નાયકને ઇસરોના ચેરમેન તરીકે વધારાનો ચાર્જ સોંપ્યો હતો. આ હોદ્દા માટેનાં બે દાવેદારોમાં શ્રીહરિકોટા સ્થિત સતિષ ધવન સ્પેસ સેન્ટરના નિર્દેશક એમ. વાય. એસ પ્રસાદની સાથે કુમાર પણ એક હતા. પરંપરા પ્રમાણે ઇસરોના વડા સ્પેસ કમિશનના ચેરમેની સાથે જ સ્પેસ ડિપાર્ટમેન્ટના સચિવ પણ રહેશે.
• સરકાર લંડનમાં ડો. આંબેડકરનું ઘર ખરીદેઃ લંડનમાં ડો. બાબાસાહેબ આંબેડકરનું નિવાસસ્થાન રહી ચૂકેલી ત્રણ માળની ઇમારત સરકાર ખરીદી લે તેવી ભાજપે માગણી કરી હતી. મુંબઈ ભાજપ અધ્યક્ષ આશિષ શેલારે કહ્યું કે આ ઘર મેળવવા વડા પ્રધાનના હસ્તક્ષેપ માટે તેમણે કેન્દ્રીય નાણા પ્રધાન અરુણ જેટલીને પત્ર લખ્યો છે. શેલારે ઉમેર્યું કે ડો. આંબેડકરના અનુયાયીઓ તથા મહારાષ્ટ્રનાં લોકો માટે આ એક ભાવનાત્મક મુદ્દો છે. આ ઘરની બજાર કિંમત રૂ. ૪૦ કરોડ છે. ગયા વર્ષે આ બાબતે હીલચાલ શરૂ થયા બાદ ભારતીય અધિકારીઓએ આ મિલકતમાં રસ દાખવવાનું બંધ કર્યું હતું. પૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે પણ આ મિલકત ખરીદવા માટે સરકારને અનુરોધ કર્યો હતો. ચવ્હાણે કહ્યું કે મારો કાર્યકાળ પૂરો થવા આવી રહ્યો હતો ત્યારે મેં મકાન ખરીદવા કેન્દ્રને જણાવ્યું હતું.
• જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિનું શાસન લાગુ કરાયુંઃ જમ્મુ-કાશ્મીરમાં કોઈપણ પક્ષ સરકાર રચવાની સ્થિતિમાં ન હોવાથી ગત સપ્તાહે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે. નેશનલ કોન્ફરન્સ અને પીડીપીએ સરકાર ન રચાઈ તે અંગે એકબીજા પર દોષારોપણ કર્યું છે. ભાજપ હજી પણ સરકાર રચી શકાય તે માટે પ્રયાસની વાત કરે છે. રાજ્યપાલ એન. એન. વોરાએ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને રિપોર્ટ સુપરત કર્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે ઓમર અબ્દુલ્લાએ કાર્યકારી મુખ્ય પ્રધાન પદેથી પોતાને મુક્ત કરવાની વિનંતી કરી હતી. ત્યાર બાદ રાજ્યપાલનું શાસન લાગુ કરી દેવાનો નિર્ણય લેવાયો હતો. ગૃહ પ્રધાન રાજનાથ સિંહે રાજ્યપાલનો રિપોર્ટ વડા પ્રધાન કાર્યાલયને મોકલી આપ્યો હતો. જમ્મુ-કાશ્મીરના બંધારણીય કલમ ૯૨ હેઠળ રાજ્યપાલનું શાસન લાગુ કરાયું છે.
• પક્ષના લોકોનાં વાણી-વિલાસથી અમિત શાહ નારાજઃ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું હતું કે પક્ષના જ કેટલાક નેતાઓના વકતવ્યો અયોગ્ય છે. તેમણે સ્વીકાર કર્યો કે ધર્માંતરણ અંગે ભાજપના નેતાઓએ જે વિવિધ વિચારો વ્યકત કર્યા તેનાથી ભારતીય જનતા પાર્ટીની પ્રતિષ્ઠા ખરડાઈ છે. ભાજપના વડાએ જણાવ્યું હતું કે ભાજપના ધારાસભ્યો, સાંસદો આવી જ રીતે વાણી-વિલાસ કરતા રહેશે તો તેનું મોટું નુકસાન ભાજપે જ સહન કરવું પડશે.
• ધર્મની રક્ષા માટે હિંદુ મહિલાઓ ચાર બાળકો પેદા કરે: ભાજપના ઉન્નાવના સાંસદ સાક્ષી મહારાજે સાધુ-સંતોની એક રેલીને સંબોધતાં જણાવ્યું કે ધર્મનાં રક્ષણ માટે દરેક હિંદુ મહિલાએ ઓછામાં ઓછાં ચાર બાળકો પેદા કરવાં જોઈએ. દેશની માતાઓએ ચાર સંતાનમાંથી એક ધર્મને અને એક દેશને સર્મિપત કરી દેવો જોઈએ. તેમણે કહ્યું કે, અગાઉની સરકારે આપેલા ‘છોટા પરિવાર સુખી પરિવાર’ અને ‘હમ દો હમારા એક’ જેવા તમામ નારા અમે અપનાવ્યા છે, જે હવે નહીં ચાલે. ૪ પત્નીઓ અને ૪૦ બાળકોનો કોન્સેપ્ટ પણ નહીં ચાલે. તેમનાં આ નિવેદન બાદ ભાજપ અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું કે, આ તેમનું અંગત નિવેદન છે, આ પક્ષનું વલણ નથી. જોકે, બાદમાં તેમણે પોતાનું નિવેદન ફેરવી તોળ્યું હતું.
• શ્રીલંકામાં સિરિસેના નવા રાષ્ટ્રપ્રમુખ બન્યાઃ શ્રીલંકામાં છેલ્લા એક દાયકામાં બનેલી એવી સૌથી મોટી રાજકીય ઘટનામાં રાષ્ટપ્રમુખ પદની ચૂંટણીમાં મૈત્રીપાલ સિરિસેનાએ દેશના રાષ્ટ્રપ્રમુખ રાજપક્ષેને કારમી હાર આપી છે. આ પરિણામો સાથે જ મહિંદા રાજપક્ષેએ પરાજયનો સ્વીકાર કરી લીધો છે.
• સુનંદા પુષ્કરની હત્યા થઇ હતીઃ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસના નેતા શશી થરુરની પત્ની સુનંદા પુષ્કરના શંકાસ્પદ મોતનું રહસ્ય સ્પેશિય ઇન્વેસ્ટીગેશન ટીમ (સીટ) ઉકેલશે. દિલ્હી પોલીસે આને હત્યાનો કેસ ગણીને તપાસ શરૂ કરી છે. બીજી બાજુ દિલ્હી પોલીસ કમિશનર બી.એસ. બસ્સીએ ફરી જણાવ્યું કે પ્રથમ દૃષ્ટિએ સુનંદાના મૃત્યુને હત્યા માનવાનાં નક્કર કારણ હોવાથી અમે તેની તપાસ માટે સીટ બનાવી છે.