ટોરોન્ટોઃ આંતરરાષ્ટ્રીય સંશોધકોની એક ટીમના તારણ મુજબ સ્ત્રીઓ ભલે પુરુષો કરતાં વધુ લાગણીશીલ સ્વભાવ ધરાવતી હોય, પરંતુ મુશ્કેલીમાંથી માર્ગ કાઢવાનો સમય આવે છે ત્યારે સ્ત્રી અને પુરુષ બંને સમાન બૌદ્ધિકક્ષમતા ધરાવે છે.
કેનેડાની વિલ્ફ્રેડ લો’રિયર યુનિર્વિસટીના રિસર્ચ ઓથર રેબેકા ફિર્સડોર્ફ જણાવે છે કે, 'કોઈ નકારાત્મક બાબતને પહોંચી વળવા માટે સ્ત્રીઓ વધુ હિંમત અને ધૈર્ય દાખવી શકે છે જ્યારે પુરુષો આમ કરવામાં ઓછી સંવેદનશીલતા દાખવે છે.' આ સંશોધન અગાઉનાં એક સંશોધનનાં તારણોને પ્રતિપાદિત કરે છે, જેમાં તારણ કાઢવામાં આવ્યું હતું કે, સ્ત્રીઓ પુરુષો કરતાં અન્યની લાગણી વધુ સારી રીતે સમજી શકે છે.
આ અભ્યાસમાં ૬૧૦૦ લોકોએ ભાગ લીધો હતો, જેમાં તેમને હત્યા, ત્રાસ, જૂઠ્ઠાણું, ગર્ભપાત અને પ્રાણીઓ પર થતાં સંશોધન જેવી વિવિધ દુવિધાઓ વિશેના ૨૦ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ સંશોધનમાં સાબિત થયું હતું કે, નુકસાનકાર પ્રવૃત્તિઓનાં પરિણામો વિશે વિચારવામાં સ્ત્રી અને
પુરુષો સમાન બૌદ્ધિકક્ષમતા ધરાવે છે.